Friday, 1 May 2020

કોરોના, શિક્ષણના મૂલ્યો બદલશે કે?!

               વર્તમાન સંકટ એ રીતે પણ ખાસ બન્યું છે કે એણે સમગ્ર વિશ્વને હચમચાવ્યું છે. ભૂકંપ, સુનામી વાવાઝોડું કે રમખાણો કોઈ શહેર, પ્રદેશ કે દેશ પૂરતા સીમિત રહે છે પણ અતિ સૂક્ષ્મ કોરોના વાઇરસે એવો આંચકો આપ્યો છે કે સમગ્ર માનવજાત સ્તબ્ધ બની છે. આવા સંજોગોમાં શિક્ષણના જ નહીં, લગભગ તમામ કટાર લેખકોને પણ શું લખવું?’નો મૂંઝારો અવશ્ય વર્તાતો હશે જ. હા, થોડા આર્થિક-સામાજિક વિશ્લેષકોને ઘણુબધું લખવાની ઇચ્છા થતી હશે!

                દેશમાં લોકડાઉનનો બીજો તબક્કો શરૂ થઈને આવતા અઠવાડિયે પૂરો થશે. જેઓ આખો કે મોટાભાગનો દિવસ બહાર પ્રવૃત્ત રહેતા હતા તેઓની માનસિક સ્થિતિ ચિંતાજનક બની છે. ઘણાને રોજી-રોટીની જ મોટી ચિંતા છે. એક બાજુ પરિવારથી દૂર કમાવા માટે આવ્યાતા ને હવે ઘર અને રૂપિયા બધુ જ થંભી ગયું હોય ત્યારે એવા મનુષ્યનો વિરાટ સમૂહ શું ન કરી શકે એ વિચારતાં હ્રદય ધ્રુજી જાય છે. છતાં આ સંકટ સામે લડવા માટે એકમાત્ર ધીરજ સિવાય મોટી મૂડી બીજી એકેય જણાતી નથી. જેની પાસે બિલકૂલ નથી તેને થોડુંયે મળે તેની, જેની પાસે થોડું છે તેને થોડું વધારે, અને જેની પાસે વધારે છે તેને હજુયે વધારે મેળવવાની તીવ્ર લાલસા રહેતી હતી. ત્યાં જ કોરોનાએ માનવજાતના અસ્તિત્વ(શરીર)ને ટકાવી રાખવા માટે વિરાટ પડકાર ફેંક્યો છે!

                દુનિયાના દરેક મનુષ્યને સબાર ઉપર માનુષ (સર્વ જીવોમાં શ્રેષ્ઠ)નો ફાંકો હતો. આજે એ વિચારતો થઈ ગયો છે કે જે આજ સુધી માન્યુતુ એ સત્ય નહોતું પણ ઘમંડ હતો! શિક્ષણના વૈધિક માળખામાં આધ્યાત્મિક દર્શનનો ખાસ પ્રભાવ રહ્યો જ નહોતો. હવે દુનિયાએ એ દિશામાં વિચારવું પડશે. ભૌતિકવાદની આંધળી દોટમાં મનુષ્ય માત્ર શરીરની જાહોજલાલી માટે જ દોડતો-હાંફતો રહ્યોતો. પોતાના મન અને આત્મા તરફ તો એ ટાઇમપાસ જેટલો સમય પણ નહોતો આપતો! આજે હવે ભારતીય પ્રાચીન સંસ્કૃતિનું એ દર્શન વધુ પ્રસ્તુત બની ગયું છે. આવનારી શિક્ષણ વ્યવસ્થામાં એકાંતની પ્રવૃત્તિઓ વિશે વિચારવું પડશે એ નક્કી જ છે.

                સાંભળ્યું છે ને વાંચ્યું પણ છે કે કોરોનાએ આખી પૃથ્વીને Reset કરી છે. હવા શુદ્ધ થઈ ગઈ છે. પાણી નિર્મળ બન્યું છે. પક્ષીઓના સૂક્ષ્મ અવાજો પણ સંભળાઈ રહ્યા છે ને પક્ષી-પ્રાણીઓના દુર્લભ દ્રશ્યો આંખ સામે ઉજાગર થયા છે. કેટલું અદભૂત લાગી રહ્યું છે, નહીં? હકીકત એ છે કે સમગ્ર માનવજાતે જ આ બધાના અસ્તિત્વ સામે ખતરો ઊભો કર્યો હતો. બસ, એક અતિ સૂક્ષ્મ વાઇરસે માનવીના ગુમાનનો મુગટ(Corona) ઉતારી દીધો છે અને એ દ્વારા એક જોરદાર થપ્પડ મારી છે. પણ આટલાથી સુધરી જવાશે?

                ભવિષ્યનો માનવ સમાજ એક નવા માળખા સાથે આકાર લઈ રહ્યો છે. સમજો કે એનો સમૂળગો અભ્યાસક્રમ બદલવો પડશે. યે નજદીકિયા હવે દૂર હૈ કિનારા જેવી બનશે. બે માનવીઓ વચ્ચેના ભૌગોલિક અંતરમાં હવે કાયમનું અંતર પડી ગયું સમજજો. દિલથી કે હુંફથી ભલે નજીકતાનો અનુભવ થશે, પણ બચકે રહેના રે બાબાનો ડર હવે દુનિયાભરના મનુષ્યને રહેવાનો જ છે. અપ્રાકૃતિક વ્યવસ્થા (કે સમાજ) હવે પુનઃ નવા ઢાંચામાં ફેરવાશે. સમાજ સ્વયં Reset થશે. ખરું ને?

               આ સ્થિતિમાં સમાજ પર આધારિત કે સમાજને બદલનારી શિક્ષણ વ્યવસ્થા પણ બદલાશે. શું અને કેવું બદલાશે એ તો ધીમે ધીમે સમજાશે. પણ તાજેતરનો એક કિસ્સો વાંચો. સરકારી કામકાજમાં રોકાયેલી એક સ્ત્રી (મહિલા) કર્મચારીએ ઘર અને કામના સ્થળે પહોંચવામાં 8-10 કિલોમીટર અંતર કાપવું પડતું. કોરોનાના અસરગ્રસ્ત વિસ્તારને લીધે પોલીસની નાકાબંધીમાંથી બીતા બીતા આવવું પડતું. ક્યારેક સાચી વાત કહેવા છતાં પોલીસનો દંડો ખાવો પડ્યો હતો.

                આ કર્મચારીના પિતાજીનું ઘર (પિયર) નજીકના અંતરે હતું. જો તે ત્યાં થોડા દિવસ રહે તો પોતાની સરકારી ફરજ પણ સારી રીતે પૂર્ણ કરી શકે તેમ હતી. પણ એવું થઈ શક્યું નહીં. કેમ? તેના પિતાજીના સોસાયટીવાળાઓએ તેણીને ત્યાં રહેવા માટે મંજૂરી જ ન આપી. તેઓએ કહ્યું કે, ‘કોરોનાની સ્થિતિમાં સોસાયટીની બહારની કોઈ વ્યક્તિ દાખલ થઈ શકશે નહીં! એ સ્ત્રી (મહિલા કર્મચારી) કામ પ્રત્યે વફાદાર હતી અને સ્વસ્થ જ હતી છતાં સમાજના જ એક જૂથે તેનો બહિષ્કાર કરી દીધો હતો! માણસનો માણસ પરથી આટલી હદે વિશ્વાસ ઊઠી જશે એવું તો કદાચ કોરોનાના મનમાં પણ નહીં જ હશે!

                આમાં શિક્ષણ સાથે સંકળાયેલા આપણાં જે મૂલ્યો છે પ્રેમ, સહકાર, બંધુતા કે વસુધૈવ કુટુમ્બકમ એ ક્યાં ગયા? હવે આ મૂલ્યો ટકશે ખરા? બીજો એક કિસ્સો પણ જાણીએ. એક સામાન્ય શરદી-ખાંસીવાળા વ્યક્તિને અછૂત ગણીને હડધૂત કરવામાં આવ્યો! શું અસ્પૃશ્યતા નવા સ્વરૂપે આવી? તો પછી અસ્પૃશ્યતા નિવારણ, સમાનતા, શ્રમનું ગૌરવ એ બધા મૂલ્યોએ ટકશે કે? શહેરની બીમારી વખતે ગામડા તરફ પલાયન થઈ જતાં લોકો હવે ક્યાં જશે? ગામડાના લોકો પણ શહેરીજનોને મારા આંગણીયા પૂછીને કોઈ આવે તો આવકાર મીઠો આપજે! ગીત ગાઈને હોંશભેર ગળે વળગાડશે ખરા? હાથ મિલાવવા, ગળે વળગાડવા કે સ્પર્શથી શેર લોહી ચઢી જાય છે એવું હવે શીખવાશે ખરું?

                ના. હવે સામાજિક દૂરી (social distancing)’ ને શિક્ષણમાં સમાવવી પડશે. આજ સુધી એ અવગુણ ગણાતો હતો હવે તેને ગુણ તરીકે શીખવવો પડશે. સમૂહમાં બેસીને નાસ્તો કરવો એ ગુણ હતો હવે એ અશિષ્ટાચાર ગણાશે! શિક્ષકોની તાલીમ દરમ્યાન એકબીજાનો પરિચય કે આવડત વધારતી તેમની સામૂહિક રમતો હવે online કરી દેવી પડશે ને? રાષ્ટ્રીય પર્વોની ઉજવણી માટે હવે મોટા મોટા મેદાનો જોઈશે એ ખરું, પણ વાર્ષિકોત્સવ દ્વારા કેળવાતા મૂલ્યોનું શું? સાથે રમીએ સાથે જમીએ, સાથે કરીએ સઘળા કામ, એ સુભાષિતોને પણ બદલવા પડશે ને?

                કેટલા બધા સવાલો છે, નહી? તેથી જ હવે કેળવણીકારો, શિક્ષણવિદ્દો કે સામાજિક ચિંતકોએ નવો અભ્યાસક્રમ લખવો પડશે. દુનિયાભરના આવા લોકો એક અજીબ ટર્નિંગ પોઈન્ટ પર આવીને ઊભા રહી ગયા છે જ્યાંથી પાછળ નહીં, આગળ જ વધવું પડે તેવું છે. પણ આગળ તો મોટી ખાઈ આવી ગઈ છે. હવે શું?! ગજબની દ્વિધા છે!

-ડૉ. વિજય મનુ પટેલ 

Saturday, 25 April 2020

Zoom એજ્યુકેશન: ટાઇમપાસ તો નથી ને?!

               કોઈ નવી શરૂઆત હંમેશાં આવકારદાયક ગણાય, પણ દરેક નવી શરૂઆત શું એટલી બધી અજોડ હોય છે કે તેને સમાચારપત્રો અને મીડિયામાં ચમકાવવી પડે?! કોરોના મહામારી પછીના અનિવાર્ય લોકડાઉનમાં સૌ કોઈએ નવી શરૂઆત કરવી પડી છે, એટલે શિક્ષણ પણ એમાં બાકાત નથી રહ્યું. કોર્પોરેટ્સ મિટિંગ્સ, ટૂંકાગાળાના અભ્યાસક્રમો અને વૈશ્વિક સંસ્થાઓ સાથેનું આઉટસોર્સીંગ જેવા કામો તો ઘરે બેઠા થતા જ હતા હવે તેમાં શાળાના વૈધિક શિક્ષણને ઓનલાઈન કરવાનું ચલણ વધ્યું છે.

                દરેક નવી વિષમ પરિસ્થિતી નવી ઉપાધીઓ લાવે, પણ તેમાંથી નવા રસ્તાઓ પણ જન્મતા હોય છે. શાળાના શિક્ષણને ઘેરબેઠા ભણાવવાના નુસ્ખાઓની શરૂઆત થઈ છે, પણ ઘણાબધા લોકો અને સંસ્થાઓને એ એટલું બધુ સાહસિક કદમ લાગ્યું છે કે તેને પબ્લિસિટી સ્ટંટ બનાવી કાઢ્યું છે. રાજ્યથી લઈને સ્થાનિક સ્તર સુધી આવા લોકો એ રીતે પોતાના online શિક્ષણનો પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે કે જાણે તેઓ જ આવું કરનારા સૌથી પહેલા છે!!

                એક-બે કિસ્સામાં તો એવું જાણવા મળ્યું કે આવો કૂદકો આંધળૂકિયો જ હતો કેમ કે, આ રીતે ભણાવવા માટે ન તો તેમની પાસે કોઈ પ્લેટફોર્મ હતું કે ન તો અગાઉથી તૈયાર કરેલું સાહિત્ય (materials) હતું! Online ભણાવવા માટે શિક્ષક પાસે કઈ કઈ સુવિધાઓ કે જાણકારી હોવી જોઈએ તેની તૈયારી સુદ્ધાં કરવામાં આવી નહોતી. અને વળી, આ બધુ જ મફતિયું મળ્યું એટલે સૌ કોઈ લેવા દોડ્યા! કેટલીયે જાણીતી સંસ્થાઓ પોતાની નવી પહેલના પ્રચાર-પ્રસારમાં આંખે પાટો બાંધીને કૂદી પડી હતી. આ એપ્લીકેશનની વિશ્વસનીયતા અને તેની કાર્યક્ષમતા વિશે તેમને કોણ પૂછવા જાય? અને કોણ સાચું કહેશે? વિદ્યાર્થીઓ અને વાલીઓ આ અંગે આગળ આવે તો ઝૂમ દ્વારા શિક્ષણની ઉપયોગિતા અંગે સાચું ચિત્ર સ્પષ્ટ થાય.

                એમાંયે ઘણાબધા વ્યક્તિઓ અને સંચાલકો એવાય ખરા કે જેઓ આજ સુધી પોતાનું ઇ-મેઈલ નિયમિત રીતે જોતાં નહોતા. પોતાની સંસ્થાની વેબસાઈટસ પર પણ છેલ્લે શું અને ક્યારે પોસ્ટ કરી હતી તેની પણ જાણ નહોતી! આવા લોકો જ્યારે સમાચારપત્રમાં મોટા ઉપાડે અમે તો ઓનલાઈન ભણાવીએ!ની ગુલબાંગો હાંકે ત્યારે કેટલાયે લોકોને ગેરમાર્ગે દોરી લઘુતાગ્રંથિ પેદા કરવાનું પાપ કરતાં હોય છે. નવું કર્યાનો નિજાનંદ હોય પણ તેને જાહેર કરવાની તીવ્ર ઘેલછા આત્મશ્લાઘાની પરાકાષ્ઠા કહેવાય.

                શિક્ષણ જગતમાં એવી કેટલીય વેબસાઈટસ અને પ્લેટફોર્મ્સ છે જેમની પાસે તકનીકી રીતે ઉત્તમ કહી શકાય તેવા વિડિયોઝ, ઓડિયોઝ અને પ્રિન્ટ કરી શકાય તેવું મૂલ્યાંકન સાહિત્ય છે તેમ છતાં તેઓ પોતાની ખાસ જાહેરાત પણ કરતાં હોય તેવું જણાતું નથી. ઓનલાઈન ભણાવી શકાય તેવું સક્ષમ આંતરમાળખું આ લોકો પાસે છે. છતાં આજ સુધી એ તરફ જોયુ સુદ્ધાં ન હોય તેવી પ્રાદેશિક શૈક્ષણિક સંસ્થાઓ અચાનક કોઈ તૈયારી કે મૂડીરોકાણ વિના ઓનલાઈન ભણાવવા નીકળી પડે ત્યારે તે હાસ્યાસ્પદ તો લાગે જ છે.

                બીજી તરફ આ ઉતાવળ એટલા માટે પણ યોગ્ય જણાતી નથી કે શાળાના અભ્યાસક્રમને આ રીતે વર્ચુયલી શીખવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ ટેવાયેલા જ નથી. એમને પણ આ પ્રક્રિયા કેમ કરવી, તેને માટે કઈ કઈ વસ્તુઓ જોઈશે, કયા પ્રકારની સાવચેતી રાખવી વગેરેની કોઈ જાણકારી કે પ્રશિક્ષણ આપ્યા વિના જ જોતરી દેવામાં આવ્યા છે. ઘરમાં બેસી રહે એના કરતાં આમ કરજોનો આદેશ છોડીને સંચાલકો અને શિક્ષકો પણ online educationના ખાડામાં કૂદી પડ્યા છે. પણ હવે ખાડામાં અંધારું હોય તો પણ બહાર નીકળવાની મથામણ કરવા કરતાં ત્યાં જ થોડો સમય પડી રહેવામાં તેઓ ઈતીશ્રી માની રહ્યા છે!!

                જેમની પાસે વેબિનાર્સ કે ઓનલાઈન મિટિંગ માટેનું સમૃદ્ધ માળખું છે તેવા કોર્પોરેટ્સ પણ આનો વારંવાર ઉપયોગ કરતાં નથી. માહિતીના આદાન-પ્રદાન કે તાલીમ માટે તેનો વિશેષ ઉપયોગ થાય છે. ઉપરાંત, સ્નાતક કે પછીના વૈધિક શિક્ષણની અનુકૂળતા ન હોય તો અવૈધિક રીતે આવા ઓપન સોર્સથી ભણવાનું કાર્ય ચાલતું હોય છે. પણ આટલી પરિપક્વતા, સમજ કે તકનીકી કુશળતા શાળામાં વિદ્યાર્થીઓ પાસે હોય છે ખરી? તો પછી શાળાના વિદ્યાર્થીઓ માટે online શિક્ષણ કેટલું કારગર? અપરિપક્વ કે અજ્ઞાની વ્યક્તિઓ ઇન્ટરનેટ પર બેસે તો એ તલવારની ધાર પર બેસવા બરાબર છે એવા સમયે શાળાઓ ઝૂમી રહી છે!!

                ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ સ્પર્ધાત્મક અને પ્રવેશ પરીક્ષાઓ માટે કેટલાક ખાનગી કોચિંગ ક્લાસીસ દ્વારા online વર્ગોનું સંચાલન થતું હોય છે. શક્ય છે કે ઉચ્ચતર માધ્યમિક કક્ષાના વિદ્યાર્થીઓને કઇંક અંશે અનુકૂળ આવેય ખરું. પરંતુ પ્રાથમિક કક્ષાના બાળકો માટે પણ વર્ચ્યુયલી ભણાવવાની મહાત્વાકાંક્ષા વધારે પડતી લાગે છે. બાળ મનોવિજ્ઞાન કહે છે કે પ્રત્યક્ષીકરણ વિના  શીખવું મહદંશે શક્ય નથી. કેમ કે 5 થી 12 વર્ષના બાળકો ઘણુખરું સ્પર્શ દ્વારા શીખે તો તેઓ વધુ સારી રીતે આત્મસાત કરી શકે છે. આ વાત વર્ચ્યુઅલમાં આવે ખરી?! માત્ર વર્કશીટ્સ, કવીઝ કે કોયડા સ્વરૂપે બાળકોને પ્રવૃત્તિમાં રોકી શકાય છે, ભણાવી શકાતા નથી!

                વર્તમાન કોરોના સંકટે આવનારા સમયની દુનિયા અને તેના વ્યવહારની બદલી નાંખ્યા છે અને એમાં આ રીતે ઘરે રહીને પણ પ્રવૃત રહેવાની નવી બારીઓ ઊઘડશે એમાં કોઈ શંકા નથી. શાળા-કોલેજો હવેથી એ દિશામાં વિચારશે એમ કહેવા કરતાં તેમણે એમ વિચારવું જ પડશે એમ કહીશ. પણ આનો મતલબ એવો કદી થતો નથી કે એ નવી વ્યવસ્થાને સમજ્યા વિના જ કૂદી પડવું. સાયકલ શીખવતા પહેલા એક પગ ઉપર ઊભા રહીને શરીરનું સંતુલન જાળવવાનું શીખવવામાં કોઈ વાંધો ખરો?

                જે હવે લાંબાગાળા માટે વિચારવું પડવાનું છે તો પછી તેને હવે પૂરી તૈયારી અને માળખાકીય રીતે વિચારવાની શરૂઆત ક્યારથી કરવાની છે? આ વિશે હજી કોઈ જ કશું વિચારતું નથી. મોટાભાગની શાળા-કોલેજો અદ્ધર-પદ્ધર પ્રયોગો કરીને સમય વીતાવે છે, કેમ કે એ લોકો જાણે છે કે જૂનું તો હજીયે રહેવાનું જ છે તો પછી ઝાઝું વિચારવાનું કે ખર્ચવાનું રહે જ નહીં ને? સહેલું ને સટ્ટ!

 

-ડૉ. વિજય મનુ પટેલ 

Saturday, 18 April 2020

જોઈએ છે: એક તાનાશાહ!


               છેલ્લા બે-ત્રણ વર્ષથી મનમાં એક દુષ્ટ વિચાર આવે છે કે નરેન્દ્ર મોદીએ સરમુખત્યાર બની જવું જોઈએ! ઘણાંને આવો વિચાર પસંદ ન આવશે, પણ આટલી ગીચ અને બિનસાંપ્રદાયિક વસ્તીને માટે લોકશાહીના મૂલ્યો, આદર્શો અને સિદ્ધાંતોને ટકાવી રાખવા આસાન નથી જણાતા. સ્વતંત્રતાના અધિકારને સ્વછંદી બનાવી દેવાના અને રાષ્ટ્ર કર્તવ્યને હિન્દુવાદી ગણી કાઢવાના અભરખા ઘણાંને આવવા માંડ્યા છે.

                સર્વધર્મ સમભાવના આદર્શનું ગળું બધાએ ભેગા મળીને ઘૂંટવા માંડ્યુ છે. લઘુમતી પ્રજાએ રાષ્ટ્ર પ્રત્યેના કર્તવ્યને માત્ર ને માત્ર પોતાના સ્વાર્થ અને પ્રચાર સુધી સીમિત કરી દીધું છે. અહીંની અજ્ઞાન અને ધર્માંધ વસ્તીએ લોકશાહીને બેફામ બનીને વર્તવાની શાસન વ્યવસ્થા સમજી લીધી છે. જે બુદ્ધિજીવી અને સત્તાલોલુપ છે તેઓએ અનીતિ અને કુટિલ-કર્મો દ્વારા દેશમાં અરાજકતા અને અજંપાને સતત જન્મ આપતા રહેવાનું જ કામ કર્યું છે.

                દેશની સરહદોમાં ઘૂસ મારીને, સરકારી લાભો ખાટીને, ધર્મના ધતિંગો પેદા કરીને રાષ્ટ્રને ખતમ કરનારા તત્વોને આ લોકશાહી અટકાવી શકશે નહીં. આવી ઊધઈઓને મારવા માટે તો એક સરમુખત્યારની દવા જ જોઈએ છે! લોકશાહીના ધાન્યમાં એવી જીવાતો પેદા થઈ રહી છે જેનો ઈલાજ ન થાય  શ્રેષ્ઠ ગણાતું લોકશાહીરૂપી ધાન્ય સડી જશે! મતલબી ધંધાદારીઓ, સ્વાર્થી પક્ષો, કટ્ટરપંથી વિચારધારા,    ભ્રષ્ટ પત્રકારીત્વ અને સંપત્તિના લોભીયાઓને લોકશાહીમાં ફાવતું પડી ગયું છે!

                કાશ્મીરની સ્વતંત્રતા તેઓને બંધન લાગે છે. સ્ત્રીઓની તલાકમાંથી મુક્તિ તેઓને ધર્મની દખલ લાગે છે. દેશની સુરક્ષાના સોદામાં તેઓને મનમાની લાગે છે. અરે, માનવ મૃત્યુની આપદાઓના ઉપાયરૂપ લોકડાઉનમાં તેમણે માનવ અધિકારોનું હનન લાગે છે! આવી વિકૃત માનસિકતાઓની આભામાં લોક્શાહીને તડપાવી મારવી છે? એના કરતાં તો વટભેર એક સરમુખત્યારને વેઠવામાં નાનમ શાની?

                શોષિત, લુલી, અને નિ:સહાય લોકશાહી કરતાં તો ખુમારીથી અનુશાસન સ્થાપતો એક સરમુખત્યાર વધુ કારગર નીવડે એવું લાગે છે. આટલી બધી વસ્તીને લોકશાહીના નામે રેઢી ન મૂકી દેવાય. એના કરતાં બંદુકના ભયથી કતારબંધ ચાલતો દેશ વધુ સારો ન હોય કે?

                ચાલો, લોકશાહી ઉત્તમ શાસન વ્યવસ્થા છે, ખરું. તો પછી પ્રજાને પણ ઉત્તમ બનાવવી પડશે ને? મન ફાવે તેમ લવારા કરતાં કે ધર્મના ધતિંગો કરતી પ્રજાને સુધારવા માટે થોડો સમય લાકડીના સટાકા પણ બોલાવવા પડે ને? એટલે થોડા વર્ષો તો થોડા વર્ષો, પણ મને લાગે છે કે હવે આ દેશને એક સરમુખત્યાર જોઈએ છે, એટલે મોદીજી એ બને! એમ કરતાં કરતાં લોકશાહી શું છે તેનો બરાબર સ્વાદ ચખાડે! વિચાર દુષ્ટ છે પણ આવ્યો છે શું કરું?!

- ડૉ. વિજય મનુ પટેલ         

Monday, 6 April 2020

નાનો છેદ નાવને ડૂબાડી શકે છે!

      કોઈ સામૂહિક પ્રસંગમાં બધાએ જ મૌન પાળવાનું છે એવું જણાવ્યા પછીયે કોઈ એક વ્યક્તિ પણ મોઢું ખોલી દે તો સમગ્ર મૌન વ્યવસ્થા (કે નિ:શબ્દ શાંતિના અનુભવ) ઉપર પાણી ફરી જાય, ખરું? તેવું જ આખા દેશાના લોકોને ઘાટા પાડી પાડીને કહેવાયું હોય કે 21 દિવસ ઘર સિવાય કોઈપણ સ્થળે ચારથી વધુ માણસોએ ભેગા થવાનું નથી અને છતાં ધર્મના પ્રચાર-પ્રસાર અર્થે હજારોની ભીડ બેગી થાય (કે કરાય!) તો આખા દેશના આરોગ્ય સામે મોટો ખતરો પેદા થઈ જાય. આને ધર્મ ન કહેવાય, અધર્મ જ કહેવો પડે!
માનવ જીવનને ઉન્નત બનાવવા માટેના બે મુખ્ય માર્ગો છે: ધર્મ અને વિજ્ઞાન. આ બંને પૂરક અને બેમાંથી એકનું હાવી થવું એટલે પતન નિશ્ચિત માનવું. એકના મૂળમાં શ્રદ્ધા છે અને બીજાના મૂળમાં શંકા! વિચિત્ર લાગે તેવી વાત છે ને? પણ એમ છતાં આ બંને વચ્ચે યોગ્ય સંતુલન રહે તો જ માનવ ઉન્નતિ સાધી શકે. કેવી પરિસ્થિતિમાં બંનેમાંથી કોને કેટલું મહત્ત્વ આપવું તેવી વિવેકબુદ્ધિ પણ આ બંનેના સંતુલન વિના સંભવ નથી. જે લોકોને આપણે જડ કે રૂઢિચુસ્ત કહીએ છીએ તેઓ ઘણુખરું આ બંનેના અસંતુલનથી પીડાતા લોકો છે.
વિનોબાજીના વિચારો અહીં મૂકું: કોલેજમાં પ્રોફેસર તર્કશાસ્ત્ર ભણાવે છે, “માણસ મર્ત્ય છે, સૉક્રેટિસ માણસ છે, એટલે એ અચૂક મરવાનો.” આવું અનુમાન પ્રોફેસર શીખવે છે. સોક્રેટિસનો દાખલો આપે છે, પોતાનો કેમ નહીં? પોતે પણ તો મર્ત્ય છે? બધા માણસ મર્ત્ય છે. આવું પ્રોફેસર શીખવશે જ નહીં. તે મરણને સોક્રેટિસના માથે ધકેલી દે છે. કારણ કે તે હાજર નથી! ગુરુ અને શિષ્ય બંને સોક્રેટિસને મરણ અર્પણ કરીને પોતે સલામત બનીને ફરતા રહે છે. મૃત્યુને વિસરી જવાનો આવો પ્રયાસ રાત અને દિવસ જાણીબુઝીને ચલાવાય છે. 
મરકસ(ધાર્મિક મેળાવડા)માં જે થયું તે મનુષ્યની વિવેકબુદ્ધિ પર હાવી થયેલા અધર્મના પ્રચારનું ભૂત હતું. અજ્ઞાનતાની અસ્વીકૃતિ અને પરપીડનવૃત્તિની નિર્લજ્જતા હતી. વિજ્ઞાનને બદલે ધર્મને જ સર્વસ્વ ગણી લેવાની જીદ હતી. બધુ જ “અલ્લાહ”ને માથે ઢોળી દેવાની જબરી પલાયનવૃત્તિ હતી!! અલાહના દૂત બનવા નીકળેલા એવા ટોળાનું અમાનુષી કૃત્ય હતું કે જેના સ્વીકાર કરવામાં પણ ‘અલ્લાહની મરજી વિના કશું જ થવાનું નથી’નો અહંકાર માથે ચઢ્યો હતો. વિજ્ઞાનના સત્યને ધર્માંધતા દ્વારા છુપાવવાની ગુસ્તાખી હતી. આ વિનિપાત અધર્મએ સર્જ્યો હતો.
જે ધર્મ અન્યોનું ભલું ન કરી શકે તેવા ધર્મને ઝાઝી સ્વીકૃતિ નથી મળતી અને ધારોકે આવા માણસો વિશાળ ટોળું પણ બનાવી લે તો પણ એ દૈવી શક્તિથી આગળ કશું જ કરી શકશે નહીં. અહીં એ ધ્યાનમાં રાખવું જોઈએ કે જેઓ જથ્થામાં સૌથી વધુ હોય છે તેનો નાશ કે નુકસાન પણ વિશેષ જ થવાનું! દુનિયાના કોઈપણ ધર્મએ પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાના પ્રયત્નો કર્યા છે ત્યારે તે વહેલા-મોડા વિનાશમાં જ પરિણમ્યા છે. જેઓએ ધર્મના મર્મને સમજ્યો, અને સાચવ્યો એવા લોકો જ જીવનની ઉન્નતિ અને ઊંચાઈને પામી શક્યા છે.
જનતા કર્ફ્યુની કેળવણી વિશેની વાત બે અઠવાડિયા પહેલા આજ કૉલમ દ્વારા રજૂ કરી હતી. એક નવું ક્ષેત્ર છે, વિકટ છે કેમ કે આ દેશમાં લોકશાહી છે! અતિ વસ્તીની ગીચતા અને તેમાંએ ધર્માંધતાથી છલકાતી મોટી વસ્તી. આ બધાને જે રીતે ‘સરમુખત્યાર’ સાચવી શકે તેટલો એક લોકશાહી નેતા ન સાચવી શકે. આવી વસ્તી અરાજકતા અને અશાંતિના દ્રશ્યો જ નહીં પરિણામો પણ પેદા કરી દે છે. 
આખા દેશમાં મંદિરો, ગુરુદ્વારા, ચર્ચ અને ઘણીબધી મસ્જિદો બંધ હતી ત્યારે નિઝામુદ્દીનની મસ્જિદમાં દેશ-વિદેશના અભણ લોકો ભેગા થયા હતા? ના. એ બધા ધર્મનો મેક-અપ ચઢાવીને તેનો પ્રચાર-પ્રસાર કરવા નીકળ્યા હતા! ચીન કે સાઉદીમાં કેમ આવું ન બન્યું? એટલે ઘણીવાર મોદી ‘સમુખત્યાર’ બને એવો દુષ્ટ વિચાર આવી જાય છે! આ કઈં વર્ગખંડના 60 છોકરા સાચવવાની વાત છે કે?! (હજી જો જો, ઘણા દેશવિરોધીઓ આ જમાતને નામે ઉતરી પડશે મેદાનમાં!) 
દરેક મનુષ્ય પાસે જીવન જીવવાના બે વિકલ્પો છે: એક, વ્યક્તિગત વિકાસ અને બીજો, સામાજિક વિકાસ. પ્રથમ, સમાજમાં રહીને અથવા એકાંત શોધીને થઈ શકે. મોટાભાગની વસ્તી સામાજિક વ્યવસ્થામાં રહે છે તેથી તેને પોતાના વિકાસની સાથે સામાજિક નીતિ-નિયમોનું પાલન કરવાનું રહે છે. આમાં કેટલાક લોકો પોતાને જ અલ્લાહ કે ભગવાન માનતા હોય છે એટલે સામાજિક કે પ્રસાશનિક વ્યવસ્થાને ધરાર અવગણીને પોતે પોતાનું મહત્ત્વ સ્થાપિત કરવાની ગુસ્તાખી કરતાં હોય છે. મરકસ આવું ઉદાહારણ હતું.
વર્તમાન કોરોના વાયરસની બિમારીના ઉદાહરણો આખી દુનિયા સમક્ષ છે. દુનિયાના કરોડો લોકો ભલે પોતપોતાના ઇષ્ટદેવને પ્રાર્થના કરતાં હોય છતાં અહીં એકલો ‘ધર્મ’ કોઈને બચાવી શક્યો નથી. જે દેશના લોકોએ વિજ્ઞાનની જાણકારી મેળવી, વિજ્ઞાને રજૂ કરેલી ‘શંકા’માં ‘શ્રદ્ધા’ મૂકી એવા દેશ અને લોકો પોતાનું અસ્તિત્વ સરળ રીતે બચાવી શક્યા છે. કુદરતી આપત્તિઓ માનવીના ‘સ્વધર્મ’ની યાદ અપાવે છે, નહીં કે બાહ્ય ધર્મની. આવા વિકટ સમયમાં સૌથી પહેલો માનવધર્મ જ હોય. જે લોકો બાહ્ય ધર્મને જ સ્વધર્મ માનવાનો દંભ કરે છે તેઓ પોતે તો ડૂબે જ છે, પણ ઘણીવખત અન્યોનું પણ અહિત કરી નાંખતા હોય છે.
જો કે આવી વિકટ પરિસ્થિતોમાં કેટલાક તકવાદીઓ આર્થિક, ધાર્મિક કે રાજકીય રોટલો સેકી લેવામાં એટલા સ્વાર્થી બની જતાં હોય છે કે પોતાનો સ્વધર્મ જ ચૂકી જતાં હોય છે. ગીતાના ‘ફળ વિના કર્મ કરો’નો ઉપદેશ પણ ક્યાંથી યાદ આવે?! પોતાના અસ્તિત્વ વિના કોઈ ધર્મ ટકી શકતો નથી આટલી સીધી સાદી વાત મરકસમાં ભેગા થયેલાં હજારો લોકોને ન આવી? આને અજ્ઞાનતા, ભ્રષ્ટ કે વિપરીત બુદ્ધિ સિવાય બીજું શું કહી શકાય?
ઘણી વખત સંશાધનો કરતાંયે ‘સમજદારીભર્યું’ વર્તન મોટી શક્તિ અને ક્ષમતા બની જતાં હોય છે. હાલની સ્થિતિ એવી જ છે. એકાદ કે થોડા લોકોની અવળચંડાઈ નાવને ડૂબાડી શકે તેમ છે. દેશના નેતૃત્વ પર વિશ્વાસ રાખીને તેમના આદેશોનું પાલન કરો, બસ! 


- ડૉ.વિજય મનુ પટેલ

Saturday, 21 March 2020

જનતા કર્ફ્યુ: કેળવણીનુ નવું ક્ષેત્ર?!

             કોઈ ચમત્કાર જ બચાવી શકે! આવું વિધાન દરેક વ્યક્તિએ પોતાના આયુષ્યકાળ દારમ્યાન ઓછામાં ઓછું એકવાર તો સાંભળ્યું જ હશે. આજકાલ વિશ્વની સાથે આપણી સ્થિતિ પણ આવી જ બની છે. ગઇકાલનો જનતા કર્ફ્યુનો અમલ અનેકવાર થાય તો કદાચ ચમત્કાર થઈ શકે છે ખરો! અને જો ન થાય તો ભારત અસાધારણ કુદરતી પ્રકોપનો ભોગ બની જશે. જો કે માનવી જ મુશ્કેલી ઊભી કરે છે, અને તેનો રસ્તો પણ તે પોતે જ શોધે છે. પણ આ બે વચ્ચેના સમયનો મોટો તફાવત જ અસાધારણ નુકસાન અને ઝાટકા આપી જતો હોય છે. 
                આપણી વૈધિક કેળવણીમાં માનવ સભ્યતા, સંસ્કૃતિ, ભાષા સંબંધો, આર્થિક ઉપાર્જન વગેરે જેવી અનેક બાબતો સમાવિષ્ટ છે. સમયાંતરે તેમાંથી કેટલૂક ઓછું થઈને નવું ઉમેરાતું રહે છે. આમ વૈશ્વિક શિક્ષણની પ્રક્રિયા ભલે કોઈ ચોક્કસ માળખામાં જકડાયેલી હોય છે પરંતુ તે પરીવર્તનશીલ તો રહે જ છે. કોરોના-19ના સંક્રમિત વાયરસે એક નવો અવતાર લીધો છે, જેણે દુનિયાની બધી વિદ્યાશાખાઓને ડામાડોળ કરી નાંખી છે. હજી યોગ, દાક્તરી, ઈજનેરી કે અન્ય વિજ્ઞાન તેને ઓળખવામાં-અટકાવવામાં સફળ થયા નથી.
                આવી સ્થિતિમાં દેશના વડાપ્રધાને જનતા કર્ફ્યુ નામના ઈલાજને જન્મ આપ્યો છે! સરમુખત્યાર, સામ્યવાદી સરકારી પ્રશાસકો વાયરસની સામે લડવા માટે શસ્ત્ર કે સૈનિકો સિવાય બીજું વિચારી જ ન શકે. આવા સંજોગોમાં લોકશાહી પ્રશાસકે એક નવી પ્રવૃત્તિમાં દેશના લોકોને જોડવા આહ્વાન કર્યું. આ પ્રયોગ કેટલો સફળ થયો છે તેનું અનુમાન તો દુનિયાએ કર્યું જ હશે. પણ સામૂહિક કેળવણીનો આ નવો અવતાર હતો એટલું તો ચોક્કસ કહેવું પડે.

                દુનિયાના શિક્ષણવિદ્દોએ કેળવણીની પરિભાષામાં આ નવા જનતા કર્ફ્યુના અભિગમને આવકારવો પડશે. શિક્ષણનું એક ધ્યેય આધ્યાત્મ વિકાસનું ખરું, પણ આજ દિન સુધી એ વ્યક્તિગત આત્માની ઉન્નતિ સુધી જ સીમિત રહ્યુ હતું. હવે સામૂહિક આત્મોન્નતિ વિશે વિચારવાનો સમય આવ્યો છે. જગતના બાહ્ય યુદ્ધો બંદૂકના દારૂગોળાથી લઈ બૉંબર વિમાનના અણુબોંબ વડે જીતી શકાય છે એવા ભ્રમમાં આજ સુધી દુનિયાના ખેંરખાઓ માનતા રહ્યા હતા.
                પણ 2019ના અંતમાં જન્મેલા કોવિદ-19 નામના વાયરસે સમગ્ર વિશ્વને પોતાની તાકાત કોઈ પરમાણુ બોમ્બથી ઊતરતી નથી તે બતાવી દીધું છે. ભીતરની લડાઈ સામે ખેંરખાઓ પરાસ્ત થયા છે. આવી સ્થિતિમાં ચમત્કારની પ્રતિક્ષામાં સૌ કોઈ હોય એ સ્વાભાવિક છે. વિશાળ વસ્તી ધરાવતા ચીનમાં આ હાહાકાર પેદા થયો ને તેના શાસકોને થપ્પડ મારીને વિશાળ વસ્તી ધરાવતા આપણાં જ દેશમાં તોફાન મચાવવા તત્પર છે ત્યારે દુનિયા લાચાર નજરે આપણી તરફ જોઈ રહી છે.
              આવા સન્નાટામાં પોતાની કુશાગ્ર બુદ્ધિ અને વ્યૂહરચનાના ભાગરૂપે મોદીજીએ એક અનોખો પ્રયોગ જનતા કર્ફ્યુ નામે વહેતો કર્યો છે. ગઈકાલે તેનો પહેલો પ્રયોગ હતો! લશ્કરી દમનને બદલે દેશની જનતાને સ્વયં શિસ્તના પાઠ ભણાવતી આ વિનંતીને સ્વીકારવાની ત્રેવડ આપણી પ્રજામાં રાતોરાત આવતી નથી એ ખરું પણ તેવું કરાવવામાં કોરોના આતંકની પરિસ્થિતિનો તેમણે ખૂબી અને  સાંવેગિક ઢબે ઉપયોગમાં લઈ લીધી. એમ કરીને એમ જાણી લીધું કે ભવિષ્યમાં આવી કે આનાથી વિપરીત મહામારીમાં લોકોના મન-હ્રદયને કેવી રીતે ઊર્જાનું પાવરહાઉસ બનાવી દેવાય.
               વિશ્વના સમાજશાસ્ત્રીઓ, શિક્ષણશાસ્ત્રીઓ અને મનોવૈજ્ઞાનિકોએ પોતાના શાસ્ત્રોમાં તો ઘણું વાંચ્યું-લખ્યું અને વિચાર્યુંયે હશે, પણ વિશ્વની તાકાતવર મહાસત્તાઓને ધૂળચાટતા કરી નાંખનાર અતિસૂક્ષ્મ હુમલાની સામે બાથ ભીડવામાં પ્રજાની સ્વયં શિસ્ત અમોઘ કે વિફળ શસ્ત્ર પુરવાર થશે એ બાબતે પોતાના શાસ્ત્રોને ક્યારેય ઢંઢોળ્યા નહીં હોય. કદાચ જનતા કર્ફ્યુ જેવો ખ્યાલ જ પ્રથમ વખત અનુભવ્યો હશે. સામૂહિક કેળવણી, અને તે પણ ભારત જેવા ગીચ વસ્તીવાળા દેશમાં મહદંશે પણ સફળ થઈ જશે તો પણ ચર્ચા કે ચિંતનનો વિષય બનશે જ.
              માનવી સર્વ જીવોમાં શક્તિશાળી અને ચતુર સજીવ મનાય છે. પણ વાયરસ નામના પરોપજીવીને સમજવામાં એ લાચારી અનુભવે રહ્યો છે. માત્ર મેડિકલ ક્ષેત્રનું જ્ઞાન ધરાવનારા 5-10 ટકા અભ્યાસુઓ જ વાયરસની જીવનપદ્ધતિ (લાઇફ સ્ટાઈલ) સમજી શકે છે. બાકીના 95-90 ટકા, વાયરસના વાહક બન્યા પછી પણ હવામાં ઉડતા હોય છે! આવા લોકો એવા ભ્રમમાં રહેતા હોય છે કે તેઓ તો ખૂબ તંદુરસ્ત છે. હાલ ભારત આવા લોકોથી જ સૌથી વધુ ભયભીત છે! શરીરમાં પ્રવેશેલા વાયરસની સંખ્યા અસાધારણ વધી જાય છે ત્યારે મહામારીમાં લાખોનું પતન નિશ્ચિત થઈ જતું હોય છે. જો પ્રજા સમજે તો, જનતા કર્ફ્યુનું અણમોલ મહત્ત્વ આમાં જ છે!
                કોઈપણ દેશના સત્તાધીશો આવી સ્થિતિમાં લાચાર બની જતાં હોય છે. એક નવા પ્રયોગ તરીકે જનતા કર્ફ્યુ કેવો ને કેટલો કારગર નીવડે એ માટે માત્ર કાલનો પ્રયોગ પૂરતો નથી જ. હજી આવા સ્વયં કેદ(self quarantine)’ ના ઘણા દિવસોની આદત જ અકસીર દવા સાબીત થઈ શકે છે.. કેમ કે વિશ્વના એક જ મગજ ફરેલા માનવીને આવેલો દુષ્ટ વિચાર ભયાનક તબાહી મચાવી શકે છે એ વિચારવું મુશ્કેલ નથી.
             વિશાળ દેશની પ્રજાના જુનવાણી કે અંધ વિચારોને રાતોરાત બદલીને તેઓને જાગૃત કરવા એ કઇં ખાવાના ખેલ નથી. સતાધીશોની સૂઝબૂઝ અને દીર્ઘદ્રષ્ટિની ખરી કસોટી જ આવા સમયે થતી હોય છે. ગઇકાલનો પ્રયોગ દેશની પ્રજાને સ્વયં જગાડવાનો હતો. સાથે 130 કરોડ નાગરિકોને એકસાથે વાયરસ સામેના યુદ્ધ માટે લડવા તૈયાર કરવાનું રિહર્સલ હતું એમ સમજો.
જે મથે છે તે સૂર્યને આંબી શકે છે એવી શ્રદ્ધા પણ રાખજો. જ્યારે મેડિકલ સાયન્સ પાસે ઉપાય નથી હોતો ત્યારે બધાએ એકસાથે પોતાની ઊર્જાની આભા પ્રગટાવવાની હોય છે. આવું કામ લગભગ સર્વગુણ સંપન્ન કહી શકાય એવું નેતૃત્વ ઝંખે છે. વર્તમાન વડાપ્રધાન મોદીજી કદાચ એમાં ફીટ બેસે છે. આ નવીન વિચાર સાથે તેમણે શિક્ષણમાં પણ એક નવો અધ્યાય શરૂ કર્યો છે સમજી લો, બસ!

-ડૉ. વિજય મનુ પટેલ 

Saturday, 14 March 2020

શાળામાં નાસ્તા કે ભોજનની સુવિધા?!


             શહેરની ખાનગી શાળાના વિદ્યાર્થીઓ સારી આર્થિક સ્થિતિને કારણે સારી તંદુરસ્તી ધરાવે છે એમ માનવું સંપૂર્ણ સાચું નથી. સારી શાળાઓના આકસ્મિક સર્વેક્ષણમાં એ જાણવા મળ્યું હતું કે વિદ્યાર્થીઓ સરેરાશ ઓછું પાણી પીએ છે! સરેરાશ કરતાં વધારે વજન(દફતરનું) ઊંચકે છે અને સમતોલ આહારથી ઘણાં દૂર રહે છે. સવારની શાળાઓમાં જતાં લગભગ પચાસ ટકા બાળકો પ્રમાણસર અને પોષણયુક્ત નાસ્તો કર્યા વિના જતાં માલૂમ પડ્યા છે. ફળો ભાગ્યે જ ખાય છે. ઘરની રસોઈને ઉત્તમ માનીને હોંશે હોંશે ખાનારા તરુણો કદાચ શોધવા મુશ્કેલ હોય છે!              
              શહેરની શાળાઓ પૌષ્ટિક નાસ્તાનું વેચાણથી આયોજન કરતી હોય છે પણ તેની સંખ્યાઓ જૂજ હોય છે. તેની પાછળ અનેક કારણો જવાબદાર હોય છે જેમાં સૌથી વધુ મહત્ત્વનું કારણ નાસ્તાની સામાન્ય ગુણવત્તા અને ઊંચા ભાવ હોય છે. દુનિયાના ઘણા દેશોમાં ભણતા વિદ્યાર્થીઓ માટે નાસ્તા કે ભોજન માટે જે વ્યવસ્થા થતી હોય છે તેની સામે પણ પ્રશ્નો વારંવાર ઉઠતાં હોય છે. 
           

                        આજની ભાગદોડભરી જીવનશૈલીમાં વાલીઓની વ્યસ્તતા પણ ઘણી વધી છે. આવી સ્થિતિમાં તેઓ દરરોજ પોતાના સંતાનને માટે પૌષ્ટિક નાસ્તાની અનુકૂળતા કરી શકે તેમ નથી એટલે ઘણા માટે તો એ  માથાનો દુખાવા જેવો પ્રશ્ન હોય છે. તેથી એવા વાલીઓ શાળામાં થતી આ વ્યવસ્થાની તરફેણ કરતાં હોય છે. તેઓ એવું માનતા હોય છે કે શાળાનો હેતુ ભલે થોડું કમાવાનો હોય, પરંતુ તેઓ વિદ્યાર્થીઓના આરોગ્યને અનુરૂપ તેની વધુ સારી વ્યવસ્થા કરી શકે છે.
               જો કે આવી અલાયદી વ્યવસ્થા સંસ્થાને માટે મોટું મૂડીરોકાણ બને છે. રસોઈઘર, કાયમી રસોઈયા, અનાજ-કઠોળ-શાકભાજી વગેરેની ખરીદી, ફર્નિચર પાછળ સંસ્થાએ મોટું રોકાણ કરવું પડતું હોય છે. ઉપરાંત તેનું યોગ્ય સંચાલન થાય તેનું સતત અવલોકન કરતાં રહેવું એ ધંધાકીય અભિગમ વિના શક્ય બને ખરું? જો આટલી માથાકૂટ હોય તો સંસ્થા કશું પણ મફતમાં ન આપી શકે એ પણ સ્વીકારવું રહ્યું.
             નાસ્તો કે ભોજન એ આરોગ્ય સાથે સંકળાયેલી બાબત છે અને આરોગ્ય એ શિક્ષણની ગુણવત્તા સાથે જોડાયેલી બાબત છે. એ સંદર્ભમાં આ બંને પરસ્પરની જરૂરિયાત છે. ફિનલેંડમાં શાળા દ્વારા મફતમાં નાસ્તા (કે ભોજન)ની વ્યવસ્થા કરવામાં આવે છે. ફ્રાંસમાં એ સાવ મફત તો નથી, પણ ખૂબ સસ્તી કિમતે પ્રાપ્ય હોય છે. ઈંગ્લેન્ડમાં બાલમંદિર કક્ષા સુધી દરેક બાળકને ગરમાગરમ ભોજન નિશુલ્ક આપવાની વ્યવસ્થા છે. જો કે તે ફરજિયાત નથી, કોઈ ઈચ્છે તો તેમાંથી બાકાત રહી શકે છે.
                ભારતીય સંદર્ભમાં સરકારી શાળાઓમાં અમુક ધોરણ સુધી દરરોજ ભોજનની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવેલી છે. ખાનગી શાળાઓમાં એ નથી. શહેરની કેટલીક વિચારશીલ શાળાઓ અઠવાડિયામાં એક-બે દિવસ દરમ્યાન નાસ્તાની સાથે કોઈ એક ફળ ખાવાની સુટેવ વિકસાવી રહી હોવાનું જાણવા મળ્યું છે એ આરોગ્યની જાળવણીનો જુદો અભિગમ તો છે જ.
                રોટી, કપડાં,મકાન એ માનવીની પાયાની જરૂરિયાતો છે. શિક્ષણ એમાં સમાવિષ્ટ નથી, પણ હવે એનું મહત્ત્વ ઘણું વધ્યું છે તેથી ભણતા ભણતા ભોજન પણ મળે એવી વ્યવસ્થા વિશે લોકો વધારે વિચારતા થયા છે. આ સંદર્ભમાં શૈક્ષણિક સંસ્થાઓ એ ભોજનાલયો બની શકે ખરા? જવાબ ના જ હોય. હા, માત્ર નાસ્તા જેટલી વ્યવસ્થા શાળાઓ રાખે એ યોગ્ય જ ગણાવું જોઈએ. જો કે રેસિડેન્શીયલ સ્કૂલ્સ આમાં અપવાદ છે. એ વ્યવસ્થા સંપૂર્ણ કે આંશિક સ્વરૂપે આશ્રમ જેવી હોય છે. તેમાં ભોજનની ગુણવત્તા બાબતે કોઈ ખાસ વિરોધ નોંધાવતું હોતું નથી, જે હોય તે ચલાવી લેવાનું વાલીઓ પણ સ્વીકારી જ લેતા હોય છે.
-ડૉ. વિજય મનુ પટેલ 

Wednesday, 26 February 2020

શિક્ષણની પ્રક્રિયા પર ધ્યાન આપો!

                 લગ્નની સિઝન પૂરબહારમાં ખીલી હોય ત્યારે શિક્ષણ પ્રભાવિત થાય ખરું? આ પ્રશ્ન ચિંતનાત્મક તો ખરો જ. કેમ કે, સામાજિક પ્રસંગો કે દુર્ઘટનાઓ જે તે શૈક્ષણિક સંસ્થાઓ પર ઓછી વધતી અસર એ રીતે કરે છે કે આવા સમયે શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ગેરહાજરીનું પ્રમાણ વધે! આમ થાય એટલે વર્ગખંડ શિક્ષણ પર પણ થોડી અસર તો થાય. આમેય દુનિયાના ઘણા વિકાસશીલ દેશોમાં શિક્ષણની સ્થિતિ ચિંતાજનક છે ત્યારે ભારત પણ તેમાં અપવાદરૂપ નથી. દરેક શાસક પક્ષ ચૂંટણીની જીત માટેના વિકાસમાં જેટલું ધ્યાન આપે છે તેટલું શિક્ષણ કે આરોગ્યમાં આપતો નથી એ વાત પણ માનવી જ પડે.
                આ પુસ્તક મજાનું છે- એવું આ વાક્ય ખૂબ સરળ જણાય છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે કેન્યા, ટાન્ઝાનિયા અને યુગાન્ડાના ત્રીજા ધોરણના દર ચારમાંથી ત્રણ બાળકો આ વાક્ય સમજી શકતા નથી. એ દેશોની વાત છોડો. ભારતના ગ્રામીણ વિસ્તારના ત્રીજા ધોરણના ત્રીજા ભાગના બાળકો બે સંખ્યાની બાદબાકીના દાખલા ગણવા સક્ષમ નથી. અને વધુ આશ્ચર્ય એ કે પાંચમા ધોરણ સુધી આવ અક્ષમ બાળકો (વિદ્યાર્થીઓ)ની સંખ્યા લગભગ 50 ટકા જેટલી થઈ જાય છે!

                    સમગ્ર રીતે કહીએ તો આખું વિશ્વ ભણવાની કટોકટીથી પીડાઈ રહ્યું છે. દુનિયાના દેશો શિક્ષણ પાછળ પોતાનું ધ્યાન અને ખર્ચ બંને ભલે વધારી રહ્યા હોય, પણ એ શીખવાની વૃદ્ધિ દર્શાવતુ નથી! દુનિયાના લાખો બાળકો જ્યારે તરુણાવસ્થાએ પહોંચે છે ત્યારે દાકતરની છાપેલી સૂચનાઓ કે બસનું સમયપત્રક સમજી શકતા નથી. શિક્ષણ એ માનવમૂડી નિર્માણના કેન્દ્રમાં છે. જો શિક્ષણ અને આરોગ્યનો સંપૂર્ણ આનંદ લેવાની વાત હોય તો વર્લ્ડ બેન્કના એક અહેવાલ મુજબ દુનિયાના 56 ટકાથી વધુ બાળકો પોતાના શિક્ષણ અને આરોગ્યથી માંડ અડધી ક્ષમતા સુધી જ પહોંચી શકે છે.
                શિક્ષણ વ્યક્તિ અને સમાજ, એમ બંને ને મજબૂત બનાવે છે. આત્મવિશ્વાસ અને રોજગારી   માટેની ભાવિ તકો વધારીને વ્યક્તિગત રીતે મદદરૂપ થાય છે, તો દેશના લાંબાગાળાના વિકાસ, ગરીબી નિર્મૂલન અને નવીનીકરણને ઉત્તેજન આપી સમાજ ઉત્થાનમાં સહાયક બને છે. એવું નથી કે કોઈ દેશ ઈરાદાપૂર્વક શિક્ષણના ક્ષેત્રની ઉપેક્ષા કરતો હોય. માનવમૂડીના અનિવાર્ય અંગ તરીકે શિક્ષણના મહત્ત્વ્થી દરેક દેશ વાકેફ છે, છતાં શીખવા-શીખવવા બાબતે કેમ કટોકટી સર્જાઈ છે એ વિશે વિચારીએ.
                    એક કારણ એ છે કે વિકાસશીલ દેશો પાસે એ બાબતે બહુ ઓછી જાણકારી છે કે કોણ શીખે (ભણે) છે અને કોણ નથી શીખતું? જો આ ખબર ન હોય તો આગળ કેમ વધાય? શૈક્ષણિક નીતિની અસ્પષ્ટતાને કારણે શું અને કેવું શીખવવું તે બાબતે પણ ભારે અસમંજસતા જણાય છે. આવી અનિશ્ચિતતાને લીધે શિક્ષકો અને શાળાઓ વિદ્યાર્થીઓને માત્ર પાયાના વાંચન-લેખનથી વિશેષ કશું શીખવતા નથી. વિદ્યાર્થીઓ માહિતીને વાંચે-લખે તેટલું જ પૂરતું નથી પણ તેનું અર્થઘટન, વિશ્લેષણ, અભિપ્રાય, રજૂઆત બાબતે પણ કુશળ થવા જોઈએ.
               વિશ્વબેન્કનું ધ્યેય એ છે કે દુનિયાના દરેક બાળક અને યુવાનને એવી આવડતો શીખવાની તક મળે જેનાથી તેઓ વધુ ઉત્પાદક, સંપૂર્ણ અને સર્જનાત્મક કર્મચારી બની શકે. આ માટે શાળા કક્ષાએ બાલમંદિરથી ઉચ્ચ કક્ષા સુધી સંચાલકો વધુ સક્ષમ બને, શિક્ષકો અધ્યાપનમાં કુશળ બને અને શીખવવાની તકનીકીમાં સુધારો થાય એમ દરેક તબક્કે મદદરૂપ થવાનું લક્ષ્ય છે.
                   સંશોધનના તારણો અને અભ્યાસો પરથી સ્પષ્ટ છે કે આ કટોકટી શીખવવાને લગતી જ છે. મતલબ વિદ્યાર્થીઓ(શીખનારાઓ)ને સારા શિક્ષકોની જરૂર છે! ઉપરછલ્લી શિક્ષણ વ્યવસ્થામાં શિક્ષકો ભણાવતા દેખાય છે, પણ હકીકતમાં તે અધૂરું અને અપૂરતું હોય છે. સદભાગ્યે દરેક દેશમાં, ઘણા વિદ્યાર્થીઓના નસીબમાં ઉત્સાહી અને સમર્પિત શિક્ષકો છે. જેઓ ગમે તેવા ઝડપી પરિવર્તનો સાથે તાલમેલ સાધીને વિદ્યાર્થીઓને સચોટ માર્ગદર્શન પૂરું પાડે છે. પોતાની સર્જનાત્મકતા, કુશળતા અને નિષ્ઠા થકી તેઓ આમ કરતાં જ રહે છે.
                   મોરક્કોના કેન્ટીરા નામના એક પ્રાંતની શાળામાં આવા જ એક શિક્ષિકાએ પોતાના હાથે જ શાળાની દીવાલ રંગી હતી. દરેક બાળકને મઝા પડે, ભાગીદારી કરે અને શીખે એ માટે અનેક સાધનો પણ બનાવ્યા હતા. તેના વર્ગમાં દરેક અંગ્રેજી મૂળાક્ષર સાથે એક પ્રાણીનો અવાજ અને હલનચલન જોડ્યો હતો. જ્યારે તેણી એવો કોઈ અવાજ અને હલનચલન કરે એટલે બાળકો એ શબ્દોને લખી દેતા! જે બાળકો તેમ ન કરી શકતા તેમને સરળતાથી શિક્ષિકા શોધી કાઢતી અને તેને શીખવવામાં મદદરૂપ થતી. બાળકો આ રીતે શીખવામાં મશગૂલ બનતા. તેઓ ભૂલ થવાની બીક વિના જોડાતા કેમ કે શીખવનાર શિક્ષિકા પર તેમને વિશ્વાસ રહેતો!
                    બધા જ શિક્ષકો આવા નથી હોતા. તેઓને પ્રેરિત કરવામાં મદદની જરૂર પડે. આ માટે વર્લ્ડ બેન્કે એક વૈશ્વિક પ્લેટફોર્મ નામે સફળ શિક્ષકો, સફળ વિદ્યાર્થીઓ શરૂ કર્યું. આ પ્લેટફોર્મ દ્વારા દુનિયાના શિક્ષકો પોતાના વિષયમાં વધુ અસરકારક અને સક્ષમ બને તેવો પ્રયાસ થાય છે. વર્ગમાં પ્રવેશતા પહેલા યોગ્ય જ્ઞાન-માહિતી અને કૌશલ્યથી સજ્જ થવાનું માર્ગદર્શન આપવામાં આવે છે.
             આપણે જાણીએ છીએ કે ટેક્નોલૉજીએ દરેક ક્ષેત્રમાં હરણફાળ ભરી છે. શિક્ષકો, વિદ્યાર્થીઓને શીખવા-શીખવવામાં પણ આજે તેની જ બોલબાલા વધી છે. હજારો લોકો આજે શિક્ષણમા તેનો વિનિયોગ કરી રહ્યા છે. ટેક્નોલૉજી દ્વારા શિક્ષણ માત્ર રસપ્રદ જ નહીં, પરંતુ બહુવિધ પણ બન્યું છે. અન્ય શાળાના શિક્ષકો પાસેથી કોઈપણ શાળાના વિદ્યાર્થીઓને શીખવાની અનુકૂળતા થઈ છે. ભારતમાં પણ આવી અનેક એજન્સીઓ અને વેબ-પોર્ટલ્સ ઉદભવ્યા છે. જેના થકી શિક્ષકો અને શિક્ષણની ગુણવત્તા સુધરી શકે છે. પરંતુ કમનસીબી એ છે કે સરકારની વારંવાર બદલાતી નીતિ અને આદેશોએ કશુંય સાતત્યપૂર્ણ રીતે ચાલવા જ દીધું નથી.
                આવી સ્થિતિ દુનિયાના અન્ય દેશોમાં ભલે હોય, પણ ભારત સરકારે પાયાના શિક્ષણના પરિણામ કરતાં તેની પ્રક્રિયા પર વધુ ભાર આપવાની જરૂર છે એ બિલકૂલ દીવા જેવી સ્પષ્ટ વાત છે. આશા રાખીએ સમાજ પણ એવી માંગ પેદા કરે!!

       
-ડૉ. વિજય મનુ પટેલ 

Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...