Monday 14 January 2013

પતંગો: આકાશમાંથી શીખવતા શિક્ષકો !


પતંગો: આકાશમાંથી શીખવતા શિક્ષકો !


 મને લાગે છે કે પતંગો આપણને કશુંક શીખવે છે. શું? વાંચો : 

1)   કેટલાક પતંગો પૂંછડીને લાંબી કરો તો જ સરખા ચગે છે. હાલક-ડોલક થતાં કે ગુલાંટ મારતા આવા પતંગોને જે રીતે કાગળ કે પ્લાસ્ટિકની લાંબી પૂંછડી સંતુલિત કરે છે, તેમ સમાજના કેટલાક ચંચળ મનના  માનવીને સ્થિર રાખવા માટે જુદી જુદી પ્રવુતિરૂપી પૂંછડીથી તેમને સ્થિરતા આપવી પડે છે.
2)   સાઈડ પરથી ફાટેલા કે નમેલા રહેતા પતંગો પણ કઈંક શીખવે છે. જેમ આવા પતંગો તેની આજુબાજુના બીજા સારા પતંગોને પણ અડફટમાં લઈને ભોંયભેગો કરી દે છે, તેમ આપણી આસપાસ રહેલાં અધૂરા, દૂ:ખી માણસો ક્યારેક આપણને ઊંધા પાડી દેતા હોય છે. 
3)   પેચ ભલે નજીકના બે પતંગો લડાવે છે, પણ મુશ્કેલીમાં નજીકના માણસો જ કામ આવે છે એ વિચિત્ર સત્ય આ પતંગો જ સમજાવે છે!
4)   અને એક અદભૂત રહસ્ય પતંગોની દુનિયામાં છૂપાયેલું મને જણાય છે તે એ કે ઘણુખરું આપણને આકાશમાં ઉડતા પતંગો જ દેખાય છે. તેને નિયંત્રિત કરતી દોરીને જોવી આસન નથી હોતી. સમાજમાં આપણી આસપાસ રંગબેરંગી કપડાં પહેરેલા માણસો જ દેખાય છે, તેને નિયંત્રિત કરતી-જીવાડતી ઉપરવાળાની  દોર આપણને દેખાતી જ નથી. એ ક્યારે કોની સાથે ઘસાઈને કે ઘસાયા વિના જ કપાય તે રહસ્ય જ રહે છે!

મારા વિચારથી આપ સંમત ન થાઓ તો વાંધો નહી પણ તેનાથી સંતુષ્ટ તો થયા જ હશો..બોલે તો ?!

Monday 7 January 2013

મારે ભણવું છે, પણ ભણાતું નથી !


                       મારે ભણવું છે, પણ ભણાતું નથી !                            
        
         કોઈ મોટો સમારંભ સમાપ્ત થાય ત્યારે મેદાન, પાર્ટી પ્લોટ કે સ્ટેડિયમની સ્થિતિ કેવી હોય છે? આડી-અવળી ખુરશીઓ, વિખરાયેલા ફૂલો, અવ્યવસ્થિત પડદા, ઊંચી-નીચી થઈ ગયેલી જાજમ ને એવું ઘણુબધું... સાંજ પડે ને કોઈ શાળા-કોલેજનો આંટો મારો તો કદાચ આવું જ લાગે. ઘણુબધું કર્યા પછીના ખાલીપા જેવું! શિક્ષકો કે પ્રોફેસરોના મેળાવડામાં એક પ્રશ્ન મૂકો કે આજકાલના વિધ્યાર્થીઓ કેવાક છે? તો મોટાભાગે ઉત્તર આવો જ હોય છે. સાલા, બરાબર ભણતાં જ નથી! કેટલાક શાણા વિધ્યાર્થીઓને આ ઉત્તર સંભાળવીએ તો મોટાભાગના કબૂલે છે કે સર, અમારે ભણવું છે, પણ ભણાતું નથી! અને પોતાના સમર્થનમાં આવા વિધાનો સંભળાવે છે:
        -મને મારા પર કોઈ નિયંત્રણ રહેતું નથી.
        -મારાથી ૧૫ મિનિટથી વધુ સમય વાંચવા બેસી શકાતું જ નથી.
        -જ્યારે હું ચોપડી ખોલું છું ત્યારે મને લાગે છે કે આ તો મને આવડે જ છે!
        -મને ભણવાનું ગમતું નથી કેમકે બીજા ઘણા વિધ્યાર્થીઓ ભણતા નથી.
        -મને ભણવાનું ગમતું નથી કારણ કે મારા માર્કસ ઓછા આવે છે.
        -ભણ્યા પછી બધા જ થોડા સુખી થાય છે?
        -મને ટી.વી., સંગીત, ડાન્સ અને ફિલ્મોમાં જ મજા આવે છે.
        -મને પરીક્ષાઓની બહુ બીક લાગે છે.
        -શિક્ષકો એવું ભણાવે છે કે સમજ જ નથી પડતી.
        -ભણવા બેસું છુ ત્યારે વિચારે ચઢી જવાય છે.
        આ સિવાય બીજા પણ કારણો હોય શકે છે. પણ આ સમસ્યા વિશે વિચારતા એ માટેના જવાબદાર કારણોને હું ચાર મુખ્ય ભાગમાં વહેચું છું: ૧) પ્રાથમિક શિક્ષણનો નબળો પાયો ૨) શિક્ષણ માટે ઘરનું અપ્રોત્સાહિત વાતાવરણ ૩) મનોરંજનના સાધનોનો વધુ પ્રભાવ ૪) શાળા-કોલેજ શિક્ષણમાં રહેલી ત્રુટિઓ. આ બધા વિશે ક્રમશઃ વિચારીએ.
        આપણી સમગ્ર શિક્ષણ વ્યવસ્થામાં સમય અને અભ્યાસક્રમ વચ્ચે અસમતુલા રહી છે. તેથી શિક્ષણની પ્રક્રિયા જાણે પરીક્ષાની, પરીક્ષા માટે અને પરીક્ષા વડે ની જ બની ગઈ છે. આમાં ધીમી કે નબળી ગ્રહણશક્તિવાળા વિધાર્થીઓ સમજ્યા વિના જ આગળ ધકેલાતા રહે છે. ૧/૨ એટલે બેમાંથી એક ભાગ, પણ ૩/૨ એટલે બેમાંથી ત્રણ ભાગ કેવી રીતે? એ પ્રશ્ન અનુત્તર રહી જાય છે. તેઓ H2O એટલે પાણી એવો જવાબ અચૂક આપી શકશે પરંતુ H2Oમાંના 2 ને બદલે 3 થાય તો શું થાય? એની સમજ વિના જ આગળ વધી જાય છે પરિણામે ઉચ્ચતર કક્ષાના રસાયણશાસ્ત્રના સમીકરણો તેને ક્યારેય ગમતા બની શકતા નથી. પછી શું? એ જ વળી, સર ભણાતું નથી! સ્વાભાવિક છે કે આવા વિધાર્થીઓ ઉપલા વર્ગના સમીકરણો ન તો સમજી શકશે ન તો ઉકેલી શકશે. આમ નીચલા ધોરણથી જ નબળું અધ્યયન ધીમે ધીમે તેને જે તે વિષય શિક્ષણથી તેઓને વિમૂખ બનાવતું જશે.
        શાળામાંથી ક્યારેક વહેલો છૂટી જવા છતાં મીત લાયબ્રેરીમાં બેસીને અભ્યાસ કરતો. એક દિવસ શિક્ષકે પૂછ્યું- મીત, બધા ઘરે જતાં રહે છે તો તું કેમ અહીં બેસી રહે છે?’ તેણે નિખાલસતાથી કહ્યું હતું કે-ઘરે જાઉં તો મમ્મી-પપ્પાની કચકચ હોય..એવું ન હોય તો આજુબાજુવાળની હોય..ઘરમાં વાંચતો હોઉ તો ડિસ્ટર્બ જ રહું છું! આ મીતના જેવી જ સ્થિતિ બધાની જ હોય તે જરૂરી નથી, પણ ઘણી વખત ઘરના સભ્યો વચ્ચેના અણબનાવ કે સામાજીક પ્રશ્નોમાં જ વડીલો ઉલઝેલા રહે છે. સંતાનોના અભ્યાસની વાતો તો દિવસો સુધી અને ક્યારેક તો મહિનાઓ સૂધી આવતી જ નથી! આવા વિધ્યાર્થીઓમાં એક સંદેશ ઘર કરી જાય છે કે ભણવું એ કઈ ખાસ કે હૉટ બાબત નથી, માટે તેમાં ગમે તેમ ચાલે. અને જેના ઘરમાં ગમે તેમ ચાલે તેના વિધ્યાર્થીઓ શાળા-કોલેજમાં પણ ગમે તેમ જ ચાલવાના! અને પછી વાત આવે સર, ભણવું તો છે પણ....
        એ દિવસે સીમા શાળાએ નહોતી આવી એટલે શિક્ષકે વાલીને ફોન કર્યો હતો કે તમારી દીકરી શાળામાં હાજર નથી. માતાએ જણાવ્યુ હતું કે-‘..હા એ સૂતેલી છે. રાત્રે ટી.વી. જોવાની બાબતે અમારે એની સાથે બોલવાનું થયુ હતું...એમાં એણે આક્રમક્તાથી કહી દીધું હતું કે હું કાલે સ્કૂલે નથી જવાની..એ આવતી કાલે આવશે સર.. ફિલ્મ,ટી.વી.,મોબાઇલ, અને કમ્પ્યૂટરના આગમને ઘણાબધા વિધ્યાર્થીઓને ભણવામાંથી ભટકાવ્યા છે. આ લોભામણા ઉપકરણોએ એવી દુનિયાની સેર કરાવી છે કે જ્યાંથી તે નવું નવું જાણે તો છે પરંતુ તે બધુ તેઓને હમેશાં જૂનું જ લાગે છે! હજી આનાથી સારું, આના કરતાં ચઢિયાતું, સુપર્બ...ની ભૂખ પૂરી થતી જ નથી પરિણામે જે પુસ્તકમાં સમાયેલું છે તે તેઓને માટે અણગમતી વાનગી બનીને રહી જાય છે. ટી.વી.ના સુંદર ચહેરાઓ, SMSના સુંદર શબ્દો અને ફેસબૂકની(ઇન્ટરનેટની)માયામાં તેમને શાળા-કોલેજના શિક્ષકોના ફેસ અને બૂક બંને નિસ્તેજ અને ચીલાચાલૂ લાગે છે! શાળા-કોલેજ બાદના અધ્યયનમાં પણ આ સૌથી વધુ વિક્ષેપ પાડનારા પરિબળો જણાય છે.
        વાત શાળા-કોલેજ સાથે જોડાઈ ગઈ છે ત્યારે શાળા-કોલેજનુ નબળું નેતૃત્વ, શિક્ષકોની નબળી કામગીરી અને સમગ્ર ટીમવર્કની ખામી પણ વિધ્યાર્થીઓને શિક્ષણમાં નીરસ બનાવી શકે છે. વિધ્યાર્થીઓ શાળા કોલેજમાં આવે છે ત્યારે તેઓના મનમાં નવા પાઠો જ શીખવાનો ઉમંગ નથી હોતો, પરંતુ તેમને જુદી જુદી સામૂહિક પ્રવૃતિઓ, નવતર અધ્યયન શૈલીઓ, નવા શૈક્ષણિક કાર્યક્રમો અને તરોતાજા શિક્ષકોની પણ તલાશ હોય છે. એકની એક ઘરેડમાં નિસ્તેજ રીતે ચાલતી શાળા-કોલેજો તેઓનામાં કોઈ ચેતના કે પ્રસન્ન્તા જગાડતી નથી. સંચાલકોની રૂઢિચુસ્ત માનસિકતા, શિક્ષકોના પરસ્પર ટકરાતાં અહંકાર વિધ્યાર્થીઓને કોઈ રીતે પ્રેરિત કરી શકતા નથી. જલદી જલદી અભ્યાસક્રમ પૂરો કરનારા શિક્ષકોનું પ્રમાણ ભણનારાઓને ભાગવા માટે જ પ્રેરિત કરનારું બની જતું હોય છે. ટ્યૂશનમાં શીખી લેવાની વધી રહેલી માનસિકતા કે ફેશન શાળા-કોલેજના વ્યક્તિત્વ પર શંકા ઉપજાવનારી છે    
        કારણો આ સિવાય પણ હોય શકે અને આ દરેક મુદ્દા પર તમારા પોતાના વિચારો પણ હોઇ શકે છે. છતાં આ પ્રશ્ન ઘણા યુવા વિધ્યાર્થીઓના મનમાં ઘૂમરાય છે એટલે તેના ઉકેલ સ્વરૂપ આટલી સંક્ષિપ્ત વાતો સૌને કહેવી છે: (૧) પહેલું તો એ કે ભણવું છે અને ભણાતું નથી એ બંને વિરોધી વિચારો છે, તે સાથે ન હોઈ શકે. ભણાતું નથી એ પલાયનવાદી વિચાર છે તેને વહેલી તકે તિલાંજલી આપો.(૨) બીજું બધુ બદલવા કરતાં પોતાને બદલવાના પ્રયત્ન કરો. એ સૌથી સરળ અને ઝડપી માર્ગ છે. (૩) ભણતર જીવનની ગુણવત્તા સુધારવા માટે પણ છે, માત્ર સ્પર્ધા માટે નહીં એ હમેશા યાદ રાખો. અંતે, શિક્ષણ સાથે સંકળાયેલા સૌને ૨૦૧૩ના આગમને હાર્દિક મંગલકામના..!

                           - ડો.વિજય મનુ પટેલ (ગુજરાત ગાર્ડિયન’ અખબારમાં છપાયેલ લેખ)

Friday 4 January 2013

સ્ત્રી સન્માન અને પુરુષોનું ઉત્તરદાયિત્વ


સ્ત્રી સન્માન અને પુરુષોનું ઉત્તરદાયિત્વ

       
        સુંદર ફૂલોથી શોભતા ગજરામાં એક ફૂલ કરમાયેલું કે ચૂંથાયેલું હોય તો સમગ્ર ગજરાનું સૌંદર્ય જોખમાય છે. છતાં પણ આખા ગજરાને આપણે કાઢીને ફેંકી દેતા નથી. સમગ્ર સમાજ વ્યવસ્થામાં પણ એવું જ છે. હજારો-લાખોની ભીડમાં જ્યારે એકાદ-બે કે થોડા લોકો અમાનવીય વ્યવહારો તરફ ભટકી જાય ત્યારે બાકીના લોકો પ્રત્યે આપણો ભાવ તટસ્થ જ રહે છે. પરંતુ હકીકત એ છે કે ગજરાના બાકીના ફૂલોને બદલે ચર્ચા તો પેલા કરમાયેલા કે ચૂંથાયેલા ફૂલની જ થાય છે. હજારોના ટોળામાં લોકોના મુખે તો પેલા ભટકેલા માણસો જ હોય છે. આ માનવ સ્વભાવનું મૂળભૂત લક્ષણ છે. જે વ્યવસ્થિત છે તે નહી પણ જે અવ્યવસ્થિત છે તે જ ઘણુખરું ટીકાપાત્ર બને છે.
        દિલ્હીની ગેંગરેપ ઘટના શાંત તળાવમાં પડેલા પથરા સમાન હતી. પાણીની અંદરખાને પણ ચહલપહલ થતી જ રહે છે, પણ આ ઘટના બર્બરતાપૂર્ણ હતી એટલે લોકજુવાળ પણ સુનામી જેવો આવ્યો. સ્ત્રી અપમાન અને યૌન શોષણની આવી ઘટનાઓ જાતિગત ભેદભાવોને તીવ્ર સ્વરૂપે રજૂ કરનારી છે. સમાજમાં જ્યાં સુધી સ્ત્રીને ખોરાક કે પરસ્ત્રી તરીકે જોવાની વૃત્તિ રહેશે ત્યાં સુધી આવી દુર્ઘટનાઓની શક્યતા વધુ રહેવાની.
        આવું કૃત્ય કરનારાઓની માનસિકતા વિશે મનોચિકિત્સકો પાસે હજાર કારણો હશે. કાયદા નિષ્ણાતો પાસે સજાના અનેક વિકલ્પો હશે. શિક્ષણ કે સમાજશાસ્ત્રીઓ પાસે પણ પોતાના સુધારાત્મક વિચારો હશે. પણ નથી હોતા ભોગ બનેલી સ્ત્રી પાસે પોતાને બોલવા જેવા શબ્દો. દુનિયાના કોઈ પણ દેશમાં બળાત્કાર, છેડતી, મારપીટ કે હત્યાના બનાવોથી સ્ત્રીઓ વ્યથીત છે. શું આને વિકાસ સાથે કોઈ નિસ્બત હોય છે? આવો, આ માટે મહત્વના એક જાતિ-સમાનતા આંક થી થોડું વિશ્લેષણ કરીએ.
        United Nations Development Program દ્વારા જાતિ-સમાનતા આંક તૈયાર કરવામાં આવે છે. જેમાં ત્રણ મહત્વના માપદંડ (1) પ્રજોત્પત્તિ સ્વાસ્થ્ય (2) સ્ત્રી સશક્તિકરણ પ્રયાસો અને (3) શ્રમ બજારમાં સ્ત્રીઓના હિસ્સાને ધ્યાનમાં લેવામાં આવે છે. આ દરેકમાં પાછા બબ્બે માપદંડો સમાયેલા હોય છે. ટૂકમાં, કિશોરાવસ્થા પ્રજનન દર, સ્ત્રી શિક્ષણનું પ્રમાણ, સંસદમાં સ્ત્રીઓની ટકાવારી, વ્યવસાયમાં રોકાયેલી સ્ત્રીઓ વગેરે જેવી બાબતોની આંકડાકીય માહિતીને આધારે આ આંક તૈયાર કરવામાં આવે છે. આ આંકનું લઘુત્તમ મૂલ્ય 0 છે જે સ્ત્રી-પુરુષ સમાનતાની સૌથી સારી સ્થિતિનું સૂચન કરે છે જ્યારે મહત્તમ મૂલ્ય 1, બંને વચ્ચેની અસમાનતા તીવ્ર છે એમ સૂચવે છે. આમ ઓછું મૂલ્ય વધુ સારી સ્થિતિનું સૂચક છે.
        2011માં ભારતનો સ્ત્રી-પુરુષ સમાનતા આંક 0.6172 છે, જે બંને વચ્ચે હજી ઘણી અસમાનતા સૂચવે છે. વિકસિત દેશોમાં સ્વીડન (પ્રથમ) 0.04, નેધરલેન્ડ (બીજો) 0.05, ડેન્માર્ક (ત્રીજો) 0.06 અગ્રણી દેશો છે જ્યાં સ્ત્રી-પુરુષ સમાનતાનું ધોરણ ઘણું ઊચું છે. એ દ્રષ્ટીએ ત્યાં જાતીય ગુના કે બળાત્કાર જેવા સ્ત્રી શોષણના બનાવો આપણા કરતાં ઓછા છે. પણ વસ્તીની ગીચતાને જોતાં આપણી અધધ વસ્તીમાં ગુનાઓનું પ્રમાણ પણ વધુ જ રહેવાનુ.
        ભારતીય ગુના અંગેના અહેવાલ મુજબ 2011માં બળાત્કારના લગભગ 24208 કેસો નોધાયા. જ્યારે અશ્લીલ છેડછાડના લગભગ 42968 કેસો નોધાયા હતા. બળાત્કારમાં સૌથી પ્રથમ ક્રમે મધ્યપ્રદેશ (3406), બીજા ક્રમે પશ્ચિમ બંગાળ (2363) અને ત્રીજા ક્રમે ઉત્તર પ્રદેશ (2042) રાજ્ય રહ્યું છે. જ્યારે ગુજરાતનો ક્રમ 11મો (439) રહ્યો છે. ભારતમાં દર લાખની વસ્તીએ લગભગ 4 સ્ત્રીઓ જાતીય ગુનાનો અને 1.7 (બે) સ્ત્રીઓ બળાત્કારનો ભોગ બને છે. આ આંકડાઓ ભલે નાના દેખાય છે પરંતુ વિશ્વમાં સ્ત્રીઓ સામેના ગુનામાં અમેરિકા, દક્ષિણ આફ્રિકા, પછી ભારતનો ક્રમ ત્રીજો છે!
        દુનિયાના વિકસિત દેશો આપણા કરતા આગળ છે એ આપણું આશ્વાસન ન હોય શકે. કેમ કે સભ્યતાની ઊચાઈએ પહોચવાનું ધ્યેય સર્વે જીવોમાં માનવી જ રાખી શકે છે. એટલે જ દિલ્હીની સામૂહિક બળાત્કારની ઘટનાએ રાજકીય, કાયદાકીય, સમાજસેવા અગ્રણીઓને પુન: વિચારવાની ફરજ પાડી છે. આમાથી શું માર્ગ નીકળશે એ તો સમય જ કહેશે. પણ સ્ત્રીઓ પ્રત્યેના પુરુષના વ્યવહારમાં કયા પરિવર્તનો ઈછનીય લાગે છે તે અંગે આટલું કહેવું ઉચીત લાગે છે:
1)  ફૂરસદના સમયે જ્યારે માત્ર પુરુષો જ ભેગા મળતા હોય છે ત્યારે જે વાતો થતી હોય છે તેમાં સ્ત્રીઓના અપમાન કે શોષણ વિશેની (કે ભોગવાદી વસ્તુ તરીકેની) ચર્ચા ના જ થવી જોઈએ.
2)  કોઈપણ સ્ત્રી કોઈ પ્રશ્નનું સમાધાન કે ઉકેલ માંગવા તમારી (પુરુષ) પાસે આવે ત્યારે  તેમાં બહુ સંવેદનશીલતા દાખવવાની જરૂર નથી. માત્ર પ્રશ્નના ઉકેલમાં રસ લો, સંવેદનામાં નહી.
3)  પુરુષ મિત્રો, જ્યાં પણ હોવ, ત્યાંથી ઘરની વ્યક્તિઓ સાથે સંપર્ક જાળવો. પત્ની કે પુત્રીની સુરક્ષા વિશે વિચારશો તો અન્ય સ્ત્રીઓ વિશે પણ સન્માન વધશે.
4)  જો તમે કોઈ ધ્યેય વિના માત્ર ગપ્પાં મારવા જ ભેગા મળતા હો તો તેના કરતાં સર્જનાત્મક ચર્ચા, સામૂહિક વાંચન કે સામાજિક સેવાના કાર્યમાં રસ લો.
5)  પોતાના મલિન વિચારોને ભાષા સ્વરૂપે વ્યકત કરવાની ટેવ ન પાડો. અપશબ્દો કે હલકી વાણીથી છકી ન જાઓ. એકલા પુરુષ મિત્રો તરીકે ભેગા મળો ત્યારે આ બાબતને અચૂક ધ્યાનમાં રાખો.
6)  તમારા જૂથમાં એવા પુરુષને પ્રવેશ ન આપો જે પોતે એકલો જ રહેતો હોય અથવા તેના ઘરમાં કોઈ સ્ત્રી વ્યક્તિ જ ન હોય. આવા પુરુષ વિશે જાણકારી અચૂક રાખો.
7)  સ્ત્રીઓના પહેરવેશ કે વર્તન પણ પુરૂષોને ઉશ્કેરનારા હોય છે એ ખરું, પણ આ સમસ્યાને પોતાના ઘરથી જ ઉકેલવાનો પ્રયત્ન કરો. તમારી દ્રષ્ટિએ પરાઈ લગતી સ્ત્રી કોઇની પત્ની, બેન મા, કે સંબંધી હોય એ ન ભૂલો.
        સભ્યતાની કેળવણી માત્ર પુરૂષોને કે છોકરાઓને માટે જ હોય એ વાત સાચી નથી જ. છતાં આજકાલ જેની ચર્ચા બહુ છે એ બળાત્કારના સંદર્ભમાં માત્ર પુરુષોની શિષ્ટાચાર કેળવણી પર ભાર મુક્તા આ સૂચનો મૂક્યા છે. એ વૈધિક રીતે નહી પણ સ્વયંને ઢંઢોળવા તરફ તમને લઈ જશે એવી આશા સાથે યાદ કરીએ આ સુવિચારને यत्र नार्यस्तु पूज्यन्ते, रमन्ते तत्र देवता:    

- ડો.વિજય મનુ પટેલ (ગુજરાત ગાર્ડિયન અખબારમાં છપાયેલ લેખ)

Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...