Saturday 17 May 2014

હે નવી સરકાર! ગદ્દાર નહીં, વફાદાર રહેજે..!

             આ વખતના ચૂંટણી પ્રચારમાં નેતાઓએ પોતાની ભાષણબાજીમાં બ્રેડ પર બટર ઓછું લગાડ્યું અને મરચાવાળી ચટણી જ વધારે લગાડી હતી! પ્રજા માટે શું કરવાનું અને કેટલું કર્યું તેની વાત ને બદલે વ્યક્તિત્વના ડાઘા દેખાડવાની જ ચર્ચાઓ કર્યા કરી. મોટા મોટા વાયદાઓ કરવાનું માંડી વાળ્યું અને જે તે પક્ષે બીજા પક્ષોની સિદ્ધિ પર પાણી અને ઝાડું ફેરવવાનું વધારે કામ કર્યું!
             ચાલો જે થયું તે થયું. સરકાર તો બનવાની જ છે. આ લેખ પ્રકાશિત થશે ત્યારે કદાચ ભવિષ્યવાણી મુજબ ભાજપ અને સાથી પક્ષની સરકાર બની જ ગઈ હશે અને નરેન્દ્રભાઈની ટીમ ગાદી પર આવી ગઈ હશે. ઘણાં વર્ષો પછી ફરી સત્તા હાથમાં આવી હોય ત્યારે તેની ખુશી થાય એ સ્વાભાવિક છે પણ એમાં જો હરખપદૂડા થઈ ને ખોટાં નિર્ણયો કરવા માંડ્યા તો ‘અચ્છે દિન આનેવાલે હૈ’નો ભ્રમ એક મહિના પહેલાં જ તૂટી પડશે. એટલે જ આ લેખ એ શાસક પક્ષના બધા નેતાઓને શિખામણ આપવા જ લખ્યો છે. આમ તો એક કટાર લેખકનું ખાસ ગજું નહિ કે નેતાઓને રાતોરાત સુધારી કાઢે. છતાં આજે એ બધાને કહેવું જ છે.
              પહેલી વાત, જે પરિણામ આવ્યું છે તેનાથી તમારી જવાબદારી પૂરી થઈ ગઈ છે એમ નહીં માનતા. ખરેખર તો હવે જ તેની શરૂઆત થઈ છે. જે હોદ્દો મળે તે સ્વીકારીને તેમાં શ્રેષ્ઠ પરિણામ બતાવજો. અને જો હોદ્દો ન મળ્યો હોય તોયે પક્ષમાં રહીને પ્રજા માટેના કામો કરવાનું છોડતા નહીં.
             બીજી વાત, હજૂરિયા-ખજૂરીયાવાળી ઉપાધી લાવતા નહીં! વડાપ્રધાનને વફાદાર રહેવાનુ નક્કી જ રાખજો. બૉસ ઈઝ ગ્રેટ અને બૉસ ઈઝ ઓલવેઝ રાઇટ એ તમને ખબર છે ને? તેમના નેતૃત્વમાં શંકા કરવાનું ટાળજો. તમારે પ્રજાનો વિશ્વાસ ટકાવી રાખવાનો છે એટલે તમારામાંના જ કોઈ સાથીમાં સ્વાર્થની ગંધ આવે તો તેને ‘લોકોની તાકાત’ની બીક બતાવજો. જો એમ ન માને તો કોઈ ચેનલવાળાને જણાવી દેજો!
             ત્રીજી વાત, લોકોએ તમને મોકલ્યા છે સુચારું શાસન માટે, વિકાસ દ્વારા ગરીબી-બેરોજગારી ઘટાડવા અને ભ્રષ્ટાચાર ઘટાડવા. તમારામાંના ઘણાને માટે આ બહુ અઘરું પડવાનું છે એ હું જાણું જ છું. પણ હવે તો છૂટકો જ નથી ને. ‘અચ્છે દિન આનેવાલે હૈ’ ની રેકર્ડ જે વગાડ્યા કરી છે! તમને જે સરકારી વેતન-ભથ્થાઓ અને અન્ય સુવિધાઓ મળે છે તેટલુંય ઘણુબધું હોય છે તેથી કોલસામાં, તેલમાં કે ધૂળ-ઢેફાંમાં હાથ મેલાં ન કરતાં હા..!
             ચોથી વાત, મને ખબર છે આ વખતે પ્રચારમાં કોઈ નેતાએ દેશની શાળા-કોલેજોના શિક્ષણની વાત નથી કરી. શિક્ષકોના ફિક્સ પગારનું શું કરશો કે કામચોર અને ભ્રષ્ટ કર્મચારીઓનું કેટલું વેતન કાપશો એ વિશે નરેન્દ્ર-રાહુલ બેઉ મનમોહનજીની જેમ મૌન જ રહ્યાં છે! ગામડામાં શિક્ષણ અને આરોગ્યની સુવિધાના વિકાસ વિશે ભાવિ રણનીતિની કોઈએ વાત નથી કરી. ભલે, પણ ‘વિકાસ’માં આ બધુ જ આવી જાય છે એ ભૂલતા નહીં. માત્ર મોટા મોટા શહેરો જ નહીં, નાના નાના ગામડાઓનો ઉદ્ધાર કરવા માટે થોડો પરસેવો પાડજો. તભી તો અચ્છે દિન આયેંગે ના ?!
             પાંચમી વાત, એટલું હંમેશા યાદ રાખજો કે તમને સત્તા મળી છે તે તમારી મહેનત કરતાં આગલી સરકારની નિષ્ફળતાને લીધે છે. તેમણે જે દગાબાજી કરી અને પ્રજાને ઉલ્લુ બનાવવાની ગુસ્તાખી કરી તેની તેમને સજા મળી છે. પણ એ જ તો તમારે બધાએ શીખવાનું છે ને કે પ્રજા તમારો પરમેશ્વર છે, તેને ન ઉલ્લુ બનાવીંગ, ન ઉલ્લુ બનાવીંગ. નહિતર એ પરમેશ્વર(પ્રજા)ને લાત મારતા આવડે જ છે!!
             છઠ્ઠી વાત, સંવિધાન પ્રમાણે કામ કરજો અને બધા પાસે કામ લેજો પણ ખરા. તેમાં વ્હાલા-દવલાની નીતિને ઉજાગર કરતાં નહીં. ખોટું કરનારો તમારો સાથી હશે તોયે તેની તરફદારી કરવાથી બચજો. આ કામ પણ બહુ અઘરું છે તે હું જાણું જ છું પણ એકને બચાવવામાં હજાર મતો તમારી વિરુદ્ધમાં ચાલી જાય છે એ ગણિત નજર સમક્ષ રાખજો. હવેના મતદારો વીસમી નહીં, એકવીસમી સદીના છે. સમજ્યાને?!
             સાતમી વાત, તમને નેતાઓને ખાસ જણાવવાનું કે તમારી જીભને ખાવા અને બોલવામાં સંયમિત રાખજો. હવે દેશના શાળા-કોલેજોના ઘણા યુવાન વિદ્યાર્થીઓ તમારા ભાષણો સાંભળતા થયા છે એટલે જરૂર પડે તો પ્રભાવક અને શિષ્ટ વાણી માટેના ટ્યૂશનો રાખજો. કેમ કે, તમને સાંભળીને તેઓ હલકા કે અપશબ્દો બોલવાનું શીખવા ન જોઈએ હા..!
              આઠમી વાત, વર્ષમાં જેટલો સમય લોકસભા કે વિધાનસભાનું સત્ર ચાલે તેમાં સો ટકાની હાજરી આપજો.(તો જ સરકારી શાળા-કોલેજોમાં પણ સો ટકા હાજરી થાય ને?!) પ્રજાના પ્રશ્નોને ઉકેલવા તમને મોકલેલા છે. મન ફાવે તો ગયા, અને ગયા તો ઊંઘી ગયા એવા એશોઆરામમાં રહ્યાં તો ખેર નથી. લોકો માટે કામ ન થવાનું હોય તો રાજીનામું આપીને કુટુંબ પાસે આવી પહોંચજો. તેમનેય સારું લાગશે!
              નવમી વાત, ભાગલા પાડો અને રાજ કરોની અંગ્રેજ નીતિને વચમાં લાવતાં નહિ કેમ કે, આ તો આપણાં જ લોકો છે. તેનો ધર્મ કે જાતિ ગમે તે હોય, વિકાસ દ્વારા તેમના વિચારોમાં ‘દેશભક્તિ’ના સંસ્કાર રેડજો. સહકાર દ્વારા દેશની આંતરિક શક્તિને મજબૂતી બક્ષવા ચ્યવનપ્રાશ બનજો. પણ જો અંતિમ ઉપાય જ બચ્યો હોય ત્યારે ‘નસ્તર’ મૂકવાની હિંમત પણ બતાવજો!
              અને દશમી વાત, તમે લોકશાહી શાસન વ્યવસ્થાના નેતા છો, સરમુખત્યારશાહી વ્યવસ્થાના ચેલા નથી. મજબૂત ટીમવર્ક માટે એકમેકનો આદર કરજો. અને હા, સાચી વાત હોય તો વિરોધ પક્ષના નેતાની વાતને પણ ગોળગોળ ગુમાવ્યા વિના સીધીસટ્ટ સ્વીકારી લેજો. એકબીજા ઉપર કાદવ-ઉછાળવાની રમત રમવાનું બંધ કરજો. કેમ કે, એનાથી વિશ્વમાં આપણાં દેશની છબી ધૂંધળી બને છે. મજબૂત નેતાથી મજબૂત રાષ્ટ્ર બને છે અને મજબૂત રાષ્ટ્રથી જ મજબૂત પ્રતિષ્ઠા બને છે એ ભૂલતા નહીં...
बस, इतनी बातें इस बार, भूलना मत नई सरकार !!


-ડૉ. વિજય મનુ પટેલ

Wednesday 7 May 2014

શિક્ષણમાં સંવેદના અને સંવેદનાનું શિક્ષણ!



          શિક્ષણના ક્ષેત્રે આઈ.ક્યૂ.(Intelligence Quotient) પછી ઇ.ક્યૂ.(Emotional Intelligence Quotient)ની બોલબાલા એટલે વધી રહી છે કે સાંવેગિક પ્રશ્નો વધુ પજવનારા બની રહ્યાં છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં શારીરિક સજા અવરોધરૂપ જણાતા તેને કાયદાથી પ્રતિબંધિત કરવામાં આવી તે પછી શિક્ષણના પ્રશ્નોને નિયંત્રિત કરવાનું શિક્ષકો અને આચાર્યોને માટે મુશ્કેલ બની રહ્યું જણાય છે. લાગણી, પ્રેમ, સહનશીલતા, આકર્ષણ, સભ્યતા જેવા ગુણો જેની સાથે સંકળાયેલા છે એવા સાંવેગિક વિકાસની કેળવણીનો પ્રશ્ન માથાના દુ:ખાવારૂપ બની રહ્યો છે. આ નવી પેઢી બુદ્ધિની રીતે વધુ ચપળ, ચબરાક અને ચતુર જણાય છે, પણ એકબીજા સાથેની વાતચીતમાં ભાષાનો યોગ્ય રીતે પ્રયોગ કરવામાં, એકબીજાને સહકાર આપવામાં કે ધીરજપૂર્વક કામ કરવામાં નબળી પુરવાર થઈ રહી છે.
                સંવેદનાઓના શિક્ષણનો કોઈ અલગ અભ્યાસક્રમ ન જ હોય, કેમ કે એ દરેક વિષયોમાં વણાયેલા મૂલ્યો સાથે સંબંધિત છે. પરસ્પર સહકાર, પ્રેમની ઊર્મી, આક્રમકતા, આદરભાવ આ બધા મૂલ્યો (ગુણો) અતિ મહત્વના હોવા છતાં સ્વતંત્ર વિષય તરીકે તેની કેળવણી માટેની કોઈ જોગવાઈ અભ્યાસક્રમમાં જોવા મળતી નથી. શું એટલે આજના વિદ્યાર્થીઓ માનસિક પ્રશ્નોથી વધુ પીડાઈ રહ્યા છે અને શિક્ષકો-આચાર્યને પણ પીડી રહ્યા છે? આ પ્રશ્નનો સચોટ ઉકેલ મેળવવો મુશ્કેલ છે. જેને આપણે ભાવનાત્મક વિકાસ કહીએ છીએ તે બોલવામાં તો સરસ લાગે તેવો શબ્દ છે પણ એને વિદ્યાર્થીઓમાં ઉતારવા માટે એવા જીવનલક્ષી ઉદાહરણો આપવા પડે જે વિદ્યાર્થીઓના આત્માને ઢંઢોળે, તેને વિચારવા માટે મજબૂર કરે. પણ સવાલ એ તો રહે જ છે કે આવા ઉદાહરણો સાંભળવા એ લોકો તૈયાર છે ખરા?

                એક શિક્ષક મિત્રની ફરિયાદ નહોતી, દ્વિધા હતી કે આજના વિદ્યાર્થીઓ સંવેદના શૂન્ય થઈ ગયા છે કે વધુ પડતાં સંવેદનશીલ બન્યા છે તે જ સમજાતું નથી! તેઓ વર્ગમાં સૂચનાઓ પર ધ્યાન ન આપવામાં બેફિકર બનેલા દેખાય છે અને બે કઠોર શબ્દો કહીએ તો મિત્રોમાં આપણાં વિશે હલકાં શબ્દોની લ્હાણી કરવા માંડે છે! પોતાના જ કોઈ મિત્રની મદદ કરવા માટે ફાળો એકત્ર કરવા તત્પર બની જતી આ પેઢી એક નાનકડી ટકોરથી તેની સામેથી મોઢું શાને ફેરવી લે છે? મૂંઝાઈ જવાય છે. શિક્ષકો અને વાલીઓને માટે કદાચ આજે સૌથી મોટો પડકાર નવી પેઢીને સંવેદનાઓથી સંતુલિત કેમ કરવી તે શીખવવાનો છે. આપણી આસપાસ બનતા નાના નાના પ્રસંગો સંવેદનાઓને ઢંઢોળીને દિશા આપનારા બની શકે છે. આવો, આવા કેટલાક વાંચેલા પ્રસંગોને આજે સંક્ષિપ્તમાં તમારી સમક્ષ મૂકું છું. પણ હા, તેને ધીમે ધીમે વાંચજો, મનન કરજો ને પછી આગળ વધજો. શક્ય હોય તો તમારી આસપાસનાને પણ વહેંચજો.
                (૧) આજે, હું ભીની ભીની ફર્શ પરથી લપસી પડ્યો ત્યારે મારું માથું જમીન પર પટકાય તે પહેલાં જ વ્હીલચેરમાં બેઠેલા એક છોકરાએ મને પકડી લીધો હતો. તે બોલ્યો હતો, માનો કે ન માનો, ત્રણ વર્ષ પહેલાં આજ રીતે મારી પીઠમાં ઇજા પહોંચી હતી...!
                (૨) હું મારા મનોવિજ્ઞાનના એક સંશોધન  માટે મારા દાદીમાનો ઇન્ટરવ્યૂ લેવા ગયો હતો. મેં સફળતાને તેમના શબ્દોમાં રજૂ કરવાનું કહ્યું ત્યારે તેમણે ધ્રૂજતાં અવાજે જણાવ્યુ હતું, ‘...જીવનની કોઈ ક્ષણેથી પાછળ(ભૂતકાળ) તરફ નજર કરો અને જે સ્મૃતિથી તમારા ચહેરા પર સ્મિત રેલાય એનું નામ સફળતા!
            () હું જ્યારે નિરાશ યો હતો ત્યારે મારા પિતાએ આમ કહ્યું હતું , તું જા અને પ્રયત્ન તો કર! એક સફળ વસ્તુ બનાવવા માટે વ્યાવસાયિક થવું જરૂરી નથી. હા, વ્યાવસાયિકોએ ટાઈટેનિક બનાવી, પણ વિચારશીલ (પરિપકવ) માણસોએ ગૂગલ અને એપલ શરૂ કર્યું.
                (4) બોતેર કલાકની મારી ફાયર બ્રિગેડની નોકરી પછી આજે કરિયાણાની દુકાનમાંથી દોડતી આવીને એક સ્ત્રી મને વળગી પડી હતી. હું તેને દૂર  કરવા પ્રયત્ન કરતો હતો એથી તેને લાગ્યું કે મેં તેણીને ઓળખી નથી. તેની આંખમાં હર્ષના આંસુ આવી ગયા હતા. તે હળવા સ્મિત સાથે બોલી હતી, ૯/૧૧/૨૦૦૧ ના રોજ તમે મને વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાંથી બહાર કાઢી હતી!
                (૫) આજે મેં મારા ગુરુને પૂછ્યું હતું કે ૭૦માં દશકામાં સફળ થયેલા ધંધાદારી વ્યક્તિઓની સફળતા માટેની ત્રણ ટિપ્સ કઈ હતી? તેઓ હસ્યાં અને બોલ્યા હતા, જે કોઈ નથી વાંચતું તે વાંચવું, જે કોઈ નથી વિચારતું એવું વિચારવું અને જે કોઈ નથી કરતું તેવું કઈંક કરવું!
                (6) હોસ્પિટલના બિછાને પડેલા મારા પિતાજીના કપાળ પર મેં આજે ચુંબન કર્યું હતું. એમના મુત્યુ પછીની થોડી ક્ષણોમાં જ મેં અનુભવ્યું હતું કે હું નાનો હતો ત્યારથી આજ સુધીનું તેમને આ મારું પહેલું ચુંબન હતું.
                (૭) હું જન્મથી જ અંધ હતો. આઠ વર્ષની ઉંમરે મને બેઝબોલ રમવાની ઈચ્છા થઈ ત્યારે પિતાજીને પૂછ્યું, પિતાજી, હું બેઝ બોલ રમી શકીશ?’ તેમણે જવાબ આપ્યો હતો, તું પ્રયત્ન ન કરશે ત્યાં સુધી ન જાણી શકશે. કિશોરાવસ્થામાં મેં ફરી પૂછ્યું હતું, ડેડી, હું સર્જન બની શકીશ?’ તેમનો ઉત્તર હતો, જ્યાં સુધી તું પ્રયત્ન ન કરે ત્યાં સુધી તું જાણી નહીં શકશે.’ આજે હું સફળ ડૉક્ટર છું. કેમકે, મેં પ્રયત્ન કર્યો હતો!
                (૮) આજે મારી આઠ વર્ષની પુત્રીએ મને વપરાયેલી વસ્તુનો ફરી ઉપયોગ(Recycling) કરવાનું કહ્યું. મેં ભારે આશ્ચર્યથી પૂછ્યું, શામાટે?’ તેણીએ ઉત્તર આપ્યો, ‘...કે જેથી આ ગ્રહને બચાવવામાં તમે મને મદદ કરી શકો!મને વધારે આશ્ચર્ય થયું એટલે ફરી પૂછ્યું, પણ તું શા માટે ગ્રહ બચાવવા માંગે છે?’ તેણીનો ઉત્તર હતો, ‘...કે જેથી હું મારી બધી વસ્તુ ત્યાં મૂકી શકું!
                (૯) આજે મેં જ્યારે સ્તન કેન્સર પીડિત ૨૭ વર્ષીય મહિલાને પોતાના બે વર્ષના એબ્નોર્મલ બાળક સાથે ચાળાં કરતાં કરતાં અટ્ટહાસ્ય કરતી જોઈ ત્યારે અચાનક મેં મારી જિંદગી સામે ફરિયાદ કરવાનું માંડી વળી તેની ઉજવણી કરવાનું શરૂ કર્યું.               
                (૧૦) મારા તૂટેલા પગ અને વજન સાથે ચાલવામાં ડગુમગુ થતાં મને જોઈને વ્હીલચેરમાં બેઠેલા છોકરાએ મારા બેગ અને પુસ્તકો ઊંચકવામાં મને મદદ કરી. તેણે મને કેમ્પસમાંથી વર્ગ સુધી પહોંચાડ્યો હતો. જતાં જતાં તે બોલ્યો હતો, હું ઈચ્છું કે આપ જલદીથી સાજા થઈ જાવ.
                (૧૧) હું કેન્યામાં પ્રવાસ કરી રહ્યો હતો ત્યારે ઝિમ્બાબ્વેના એક નિરાશ્રિતને મળ્યો હતો. તેણે ત્રણ દિવસથી કઈં ખાધું નહોતું એટલે તેનું શરીર કૃશ અને નિસ્તેજ લાગતું હતું. મારા મિત્રએ પોતાની અડધી ખાધેલી સેન્ડવિચ તેની સામે ધરી ત્યારે તેના મુખેથી સરી પડેલા શબ્દો હતા, આપણે વહેંચીને ખાઈએ(we can Share it)!’
                મિત્રો, આ શબ્દો જે તે પરિસ્થિતિમાં સંવેદનાને ઝંકૃત કરી ગયા હતાં. શક્ય છે કે તેવી સંવેદના આ લેખમાં આપ ન અનુભવી શક્યા હોવ, તોયે અહીં મારો આશય આ ઉદાહરણો દ્વારા તમારી સંવેદનાને ઢંઢોળવાનો હતો બસ. સંવેદનાય નમઃ!

                 -ડૉ. વિજય મનુ પટેલ (ગુજરાત ગાર્ડિયન અખબારમાં છપાયેલ લેખ 5/5/14)

Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...