Tuesday 14 January 2014

શિક્ષણ જગતમાં કપાતા પતંગો!



           ઉત્તરાયણ આવી ગઈ, પતંગોને ઉડાડાશે અને કપાશે પણ! એક જ વ્યક્તિ એકસાથે બે વિરોધાભાસી પ્રવૃત્તિ કરે એ કેવું વિચિત્ર લાગે છે?! પહેલા પતંગોને ઊંચે ઉડાડવાના અથાગ પ્રયત્નો અને પછી એ જ પતંગ વડે બીજા પતંગને કાપવા માટેની તાલાવેલી. માનવીનું મન ઘડીકમાં જ કેવું બદલાઈ જાય છે? સાફસૂથરો દેખાતો ચગાવનાર, થોડીવારમા જ બીજાને પછાડવા કેવો ઉતાવળો બની જાય છે ! પણ એ પેચમાં ક્યારેક, વ્યક્તિ સ્વયં પણ કપાઈ જાય છે એ દુ:ખદ ક્ષણને વાગોળવા કોઈ ભાગ્યે જ તૈયાર હોય છે. પતંગના આ તહેવારે શિક્ષણક્ષેત્રે  આવી દુ:ખદ ક્ષણો કઈ કઈ છે એ વિશે વિચાર કરીએ.
              કોઈપણ શાળા-કોલેજોના આચાર્ય, સંચાલક કે શિક્ષક્ને પૂછો કે  શિક્ષણમાં તમે શું કરો છો? તો ઘણુંખરું એ જ ચીલાચાલુ ઉત્તર મળી જાય છે સર્વાંગી વિકાસ! તમે વધુ આગળ પૂછો કે એટલે શું? તો જવાબ મળે છે, બાળકો(વિદ્યાર્થીઓ)માં રહેલી વિવિધ શક્તિઓને કેળવવાની પ્રવૃતિઑ કરાવવી! બસ, આનાથી આગળ પૂછવા જેવુ નથી  કેમ કે એના ઉત્તરો શું હશે તે એ આપ વાચકો સમજી જ ગયા હશો. શાળાના વાર્ષિકોત્સવો કે કોલેજ -યુનિવર્સિટિના યુવક મહોત્સવો સર્વાંગી વિકાસની ફલશ્રુતિ સ્વરૂપ માનવામાં આવે છે. પણ ઉપર જણાવેલ ત્રણેયમાંથી એકાદને પણ પૂછો કે એનાથી વિદ્યાર્થીઓની કઈ આંતરિક શક્તિઓ ખીલી? અને કેટલા વિદ્યાર્થીઓની? તો જવાબ મળવામાં વાર લાગશે. કેમ કે, નવી પેઢીને નર્મદનું પાત્ર ભજવવા કરતાં રણબીરનું પાત્ર ભજવવું વધારે ગમે છે. તેઓને ગુજરાતી ગીત-ગઝલ કરતાં ગંદી બાત...ગંદી બાત નું કંપોઝિશન વધારે આકર્ષક લાગે છે !! ઊંચા આદર્શોના પહેલો પેચ અહીં જ કપાઈ જાય છે!     
                
          જયારથી શાળાઓમાં ક્રમશ: સેમિસ્ટર પ્રથા અને સાથે સાથે શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન દાખલ કરવામાં આવ્યું છે, ત્યારથી વર્ગખંડ  શિક્ષક જાણે આઉટડોર બની ગયું છે! વિદ્યાર્થીઓના પાઠ્ય પુસ્તકની સાથે ઇતર-પ્રવૃતિઓનું મૂલ્યાંકન કેવી રીતે કરવું? કેટલા સમયમાં પૂરું કરવું, અને તેને કેમ લેખિત સ્વુરૂપમાં ઉતારવું? એ પ્રશ્નોનાં જવાબો મેળવવામાં શિક્ષકો માથું ખંજવાળતા થઈ ગયા છે, મોટાભાગના સંચાલકોએ તો તેમાં માથું મારવાનું જ છોડયું છે! જે શિક્ષકોને જેમ સમજાયું તેમ જ તે વિદ્યાર્થીનું મુલ્યાંકન કરવાનું મુનાસીબ માન્યુ છે. તેમાંય કેટલાક શિક્ષકોએ તો છૂટે હાથે ગુણની લ્હાણી કરવામા જ ડહાપણ માન્યું! પરિણામ એ આવ્યું કે અધ્યયન, અધ્યાપન અને મૂલ્યાંકનની સમગ્ર પ્રક્રિયા જ અર્થહીન  બની હોવાનું અનુભવાય છે. આની ઝાઝી ચર્ચા થઈ શકે તેમ નથી પણ બીજો પેચ અહીં કપાય છે!      
                  રાષ્ટ્રીય શિક્ષા પ્રણાલીને અનુસરવામાં ગુજરાતનું શિક્ષણ ખાતું જાણે દોડ લગાવી રહ્યું છે સીબીએસઇ જે ફેરફારો લાવે એટલે તરત આપણે હરખપદૂડા થવા માંડીએ છીએ! કેમ  આપની પાસે સ્વતંત્ર રીતે વિચારી શકે એવા શિક્ષણ તજ્જ્ઞો નથી? ગુજરાત તો શ્રેષ્ઠ રાજ્ય છે ને?! એન.સી.ઈ.આર.ટી. એ દેશ ની સર્વોચ સંસ્થા છે, તેથી સાથે તાલ મિલાવવામાં વાંધો નથી. પણ તેય જો દર ત્રણ મહિને એક નવો ફતવો લાવે તો અમલ ક્યારે અને કેવી રીતે કરવાનો? ગુજરાતનાં શિક્ષણ ખાતા પાસે કોઈ લાંબાગાળાનું આયોજન હોય એમ જણાતું નથી, નહિતર શાળાની સેમિસ્ટર કે સર્વગ્રાહી મૂલ્યાંકન વ્યવસ્થા આટલી જલ્દી કંટાળાજનક શાને બને? શ્રેષ્ઠ ગુજરાત એટલે શ્રેષ્ઠ શિક્ષણ વ્યવસ્થા એવી ગુલબાંગો વિશે  શિક્ષણખાતાના કોઈ સરકારી અધિકારીને પૂછશો તો કઈં ખાસ બોલી શકશે નહીં. તેમનો પેચ પણ સમજો કપાઈ જ જશે !
                 ભાષાના વિદ્વાન શિક્ષકને મેં પૂછયુ, આજકાલ બહુ ગંભીર દેખાવ છો, શી તકલીફ છે ભાઈ ?! ને એમણે ચહેરા પર હાસ્ય લાવતા કહ્યું, હવે ભાષા કરતાં સરકારી કામમાં વધારે વ્યસ્ત રહું છું, મતદાર યાદી સુધારણા માટે ઘરે ઘરે ફરું છું...સમાજ સેવા તો શિક્ષકોએ જ કરવાની હોય ને! એમના જવાબમાં વ્યંગ હતો એ સ્પષ્ટ હતું. હું જાણું છું કે આ મિત્ર ભાષામાં અતિ નિષણાંત છે, પાઠ્ય-પુસ્તકના લેખક તરીકે પણ કામ કરી ચૂક્યા છે. પણ છતાં શિક્ષણમાં તેમણે જે કરવું જોઈએ તે સરકારી કામગીરીઓ કે અન્ય  કારણોસર નથી કરી શક્યા તેનો રંજ તેમના હૈયે હતો, આવા તો બીજા કેટલાય શિક્ષકો છે જેમની ક્ષમતાનો પૂર્ણ ઉપયોગ શાળા, સમાજ અને સરકાર કરે, તો શિક્ષણની ગુણવત્તામાં મોટો ઉછાળો આવે. પણ તેઓની સ્થિતિ ન કહેવાય ન સહેવાય જેવી હોય છે. નિષ્ઠા, વફાદારી, ક્ષમતા, શ્રેષ્ઠતા જેવા તેમના ગુણો યોગ્ય દિશા અને પ્રોત્સાહનની હવા વિના હાકલ-ડોલક થઈને નીચે ઢળી રહ્યા છે( એ કપાયા નથી એવું આશ્વાસન લેવાય ખરું ?)
                  છઠ્ઠી જાન્યુઆરીના મારા લેખ વિશે મને એક જ મિત્રએ ધન્યવાદ આપ્યા હતા. એ લેખ મૂલ્યહીનતાના પથરાયેલા સામ્રાજ્ય સંબધિત હતો, એટલે મને એક પણ શુભેચ્છા મળે તેવી અપેક્ષાયે રાખી નહોતી. કેમકે સારા મૂલ્યોના ઉદાહરણ રજૂ ન કરવામાં આપણે લગભગ 95 ટકા લોકો સામેલ છીએ !વિદ્યાર્થીઓના હિત માટે અને સારા સમાજ કે નાગરિકોના નિર્માણ માટે સૌએ કામ કરવાનું છે એવી વાત શિક્ષણ જગતનો એકે એક વ્યક્તિ સ્વીકારે છે, ને એમ છતાં વિદ્યાર્થી સિવાયના બધા જ પોતપોતાની રીતે ચાલ્યા જ કરે છે. વિદ્યાર્થીએ તો માત્ર આ બધાને અનુસરવાનું જ હોય ને?! સરકારને વધારેમાં વધારે બાળકો શાળામાં નોધાય તેમાં રસ છે, પણ નવા શિક્ષકોને વધુ પગાર આપવામાં રસ નથી! સંચાલકો ગુણવતા સુધારવા શિક્ષકો નવી ટેક્નોલૉજી વાપરે તેવું ઈચ્છે  છે, પણ તેઓ સ્ટાફરૂમ પુરતોય મોબાઈલ રાખે તે મંજૂર નથી !! શિક્ષકો લેખિત પરીક્ષા લેવા ઉત્સાહી  છે, પણ પ્રોકસી તાસ માટે એટલા ઉત્સાહી નથી ! આમ છતાં, શાળાના કોઈ વિદ્યાર્થીને પૂછીએ ક ભણવાની મજા આવે છે? તો  એ જ કહેશે બહુ જ! ને એટલે મારા જેવાનો પતંગ પણ કપાઈ જાય છે!
         ગાંધીનગર ખાતે બે દિવસની શિક્ષણ પરિષદમાં દેશ-વિદેશના 100થી વધુ વાઇસ ચાન્સેલર, 85 શિક્ષણવિદ અને પાંચ હજાર ડેલિગેટ્સ મળીને ગુણાત્મક શિક્ષણ અંગે શું અને કેવા નિર્ણયો લીધા છે તે જાણવા આપણે રાહ જોવી પડશે. પણ હમણાં તો આપણે સારા શિક્ષણની અપેક્ષાના પતંગને ઊંચે તો ઉડાડીએ, ખરું ને ?!

-ડૉ. વિજય મનુ પટેલ ( ગુજરાત ગાર્ડિયન અખબારમાં છપાયેલ લેખ 13/01/2013)

Thursday 9 January 2014

મૂલ્યલક્ષી શિક્ષણ, તુમ કહાં હો ?!



        વિદેશથી પધારેલા એક સંબંધીએ થોડા સમય પહેલા મને જે વાત કરી હતી તે વાંચો. ‘…હું થોડા સમય પહેલા જ એક ખાનગી દવાખાનાની મુલાકાતે ગયો હતો. ભારતીય પરંપરા મુજબ અહીં દવાખાનાની બહાર જ બૂટ-ચંપલ કાઢીને અંદર જવાનું હતું. મેં તેમ કર્યું હતું, પણ પછી બહાર આવીને જોયું તો મારા નવા જ ખરીદેલા ચાર હજારના બૂટ ગૂમ થઈ ગયા હતા!
        મેં આજુબાજુ નજર કરી જોઈ પણ બૂટ ત્યાં નહોતા. હું આ માટે કોને ફરિયાદ કરું? કંપાઉન્ડર કે ડોક્ટરને? જે પેશન્ટ પોતાને ત્યાં આવે છે તેના પગરખાં, હેલ્મેટ કે અન્ય વસ્તુઓ જો બહાર મૂકવાનો આગ્રહ રખાતો હોય તો તેને સાચવવાની જવાબદારી પણ જે તે દવાખાના કે ડોક્ટરની જ હોવી જોઈએ ને? આ માટે તેઓ કોઈ વ્યક્તિ કે સી.સી.ટી.વી. કેમેરાની વ્યવસ્થા કેમ ન કરી શકે?...’  
        હું સંબંધીની વેદના અને બળાપો સાંભળી રહ્યો હતો. તેઓ સાચા હતા. દવાખાના, ધાર્મિક સ્થળો, સુપર સ્ટોર્સ, સભાગૃહો વગેરે સ્થળોએ જો આવી વસ્તુઓ બહાર રાખવાનો આગ્રહ હોય તો તેને સાચવવાની જવાબદારી પણ તેઓએ જ સ્વીકારવી પડે. આપણી સભ્યતાને વધુ સારી બનાવવા આપણે સૌ જાગૃત બનીએ એ આશયે આવો કડવો અનુભવ આપની સાથે વહેંચ્યો છે. ગુનાખોરી અને ગેરવર્તન અટકાવવામાં વ્યક્તિઓની માનસિકતા વિશે આજે ફરી થોડી ચર્ચા કરીએ.
        ગત સોમવારે પ્રસિદ્ધ થયેલ શિક્ષણ ગુનાખોરી વધારે કે ઘટાડે?’ લેખ જેમણે વાંચ્યો હશે તેઓ અચૂક ચિંતન કરવા પ્રેરાયા હશે. એક વિદ્વાને કહ્યું છે કે અભણ માણસ રેલવેમાથી એક પાર્સલ ચોરશે, પણ ભણેલો તો આખી ટ્રેન ચોરશે! પહેલો વ્યક્તિ ચોરી કરે તેની પાછળ અભાવ રહેલો છે જ્યારે બીજી વ્યક્તિમાં ભોગવૃત્તિ રહેલી છે. આવી માનસિકતાને રોગ ગણીને આંખ આડા કાન કરવાની જરૂર નથી. સમાજના દરેક સભ્યએ આ બાબતે જાગૃત રહેવું પડશે નહિતર શક્ય છે કે કોઈ મંદિર કે દવાખાનાની બહાર મુકેલ તમારા પગરખાં, સાઇકલ કે કારટેપ પણ ચોરાઇ જાય!
        ટેક્નોલોજી ક્ષેત્રે થયેલી અવનવી શોધોને લીધે અતિ ઝડપે બજારમાં આવેલી વિવિધતાએ સમાજને આ નવી ચિંતા આપી છે. ચાલીસ હજારનો મોબાઈલ વાપરનારો વિદ્યાર્થી બેલેન્સ પૂરાવવા મિત્રના ખિસ્સામાથી 50 કે 100 રૂપિયા ખેરવી લેવાની ફિરાકમાં કેમ રહે છે? પચ્ચીસ-ત્રીસ હજારની સાડી પહેરનારી શ્રીમંત ઘરાનાની સ્ત્રીઓને લિપસ્ટીક કે નેઇલપોલિસ ચોરી લેવાની તલપ કેમ જાગે છે? ભલે, માનસશાસ્ત્રીઓ આને ક્લેપ્ટોમેનિયા રોગ ગણીને આગળ વધી જાય પણ આવી વૃત્તિઓ ઉદભવવાના મૂળમાં જે કારણો છે તેને ડામવાનું કામ કોણે કરવાનું છે એ વિશે તમે પણ વિચારજો જ.
         સમાજે ચોરીને જાણે નિરક્ષરતા કે ગરીબી સાથે જોડી દીધી છે. ગર્ભ શ્રીમંત કે ઉચ્ચ શિક્ષણ મેળવેલ લોકો ચોરી કરે તેની ચર્ચા નથી થતી. ભિખારી જેવો માણસ શાકની લારીમાથી એક ડુંગળી ચોરી લે તો લોકો તેને ઢીબેડી નાંખે, પણ મોટો વેપારી કે અધિકારી વીજળી, વેરા કે સંપત્તિના ઘપલા કરે તો તેની કોઈ ચર્ચા નહિ!?
        સવાલ સુટેવોને વિકસાવવાનો છે. આ શીખવવાનું કામ બધાનું છે. આ માટે સ્વયં આચરણ હોવું જોઈએ. એટલે વાત અહીંથી જ અટકી જાય છે! શિક્ષક કે વાલીઓ પોતે જ બીજાના ઘરમાં પગરખાં સાથે જાય તો તેમની અનુગામી પેઢી તેમ જ કરશે. વેપારી પોતે જ ઘરમાં આવેલા બીજા વેપારી સાથે ઉદ્ધતાઈથી વાત કરશે તો તેના સંતાનો એમ જ શીખશે. ડૉક્ટર સ્વયં ટૂંકો પેન્ટ પહેરીને ગાડી ચલાવવા બેસી જશે તો તેમના દીકરા-દીકરી શું બોધપાઠ લેશે?
        શિષ્ટાચાર માટેના ઘણા બધા મૂલ્યો સાપેક્ષ હોય છે એ ખરું પરંતુ તેનું સારું આચરણ બીજા લોકોને ગમતું હોય છે. શિક્ષિત થવાનો ખરો અર્થ જ એ હોય છે કે વૈચારિક રીતે રોજબરોજની જીવનશૈલીમાં આપણે જુદા પડીએ. વધુ સારી રીતભાત અને સૌજન્યપૂર્ણ રીતે એકબીજા સાથે ભળીએ. શિક્ષણ એ સ્વના વિકાસ માટેની પ્રક્રિયા છે. જેટલો સ્વનો વિકાસ થાય તેટલો બીજા પ્રત્યેનો ભાવ પણ મજબૂત બને. બીજા માટે કામ કરવાથી જ સ્વ મોટો થતો જાય છે.
        આપની એ ગેરસમજ છે કે શિક્ષિત થયા એટલે બુદ્ધિશાળી થયા. બુદ્ધિ જો તર્ક(દલીલ) કરવા સુધી જ સીમિત થઈ જશે તો સ્વનો વિકાસ નહીં, કદાચ અધઃપતન થવા માંડે. એટલે જ બુદ્ધિના સદુપયોગ માટે સંસ્કારની આવશ્યકતા રહે છે. સંસ્કાર એટલે સુટેવોનો અમલ! જ્યાં આ હશે ત્યાં ભણતર હોય કે ન હોય ગુના અને ગેરવર્તનની શક્યતા જ ન હોય. પોતાના ઘરનું આંગણું ચોખ્ખુ કરવું એમ બુદ્ધિ કહે, પણ પોતાના ઘરના આંગણાનો કચરો બાજુવાળાના આંગણા તરફ સિફતપૂર્વક લઈ જવો એવો તર્ક કે વિચાર સંસ્કાર નથી. તર્કથી બુદ્ધિશાળી થવાનો ઓડકાર ખવાય, સંસ્કારી ન બનાય!
        નો પાર્કિંગ બોર્ડની સામે જ વાહન પાર્ક કરવું એ નરી નફફટાઈ છે, પણ ઘરના પ્રવેશદ્વારની બરાબર સામે જ વાહન મૂકીને કોઈના ઘરમાં દાખલ થવું એમાં બુદ્ધિનો શું ઉપયોગ કર્યો? પગરખાં ચોરી લેવાની વૃત્તિ નિંદનીય છે પણ આવું ધાર્મિક સ્થળો કે હોસ્પિટલ જેવી જગ્યાએ થાય ત્યારે તે વ્યક્તિની અધમ માનસિકતા છતી કરે છે. પોતાની મૂળભૂત જરૂરિયાતો પૂર્ણ કરવા સૌ કોઈ સ્વલક્ષી બને તેમાં વાંધો ન હોઈ શકે પરંતુ બીજાનું ઝૂંટવીને પોતાની જરૂરિયાતો સંતોષવાની વૃત્તિ માનવ સભ્યતાને પછાડે છે.
        થોડા સમય પર મળેલી એક ભૂતપૂર્વ વિદ્યાર્થીનીએ પૂછ્યુંતું, સર, કેવા છે હવેના સ્ટુડન્ટ્સ?’ મારાથી કહેવાઈ ગયું હતું. શિષ્ટાચાર ઘણો બદલાયો છે. વિદ્યાર્થીઓ મળવા આવે તો છે. પહેલાં શિક્ષક દિન કે ગુરુપૂર્ણિમા જેવા દિવસોએ ઘણાંબધા આવતાં, હવે જન્મદિને વધુ આવે છે....હા, એ લોકો સાથે કેક લાવેય પણ ખરા, પણ એની મિજબાની તેઓ પોતાની રીતે કરી દે છે!
        દેશ માટે, સમાજ માટે કઈ રીતે જીવવું તે શીખવાની- શીખવવાની આજે તાતી જરૂર છે. મોબાઈલ, ચપ્પુ કે સોય જેવી વસ્તુઓનો ઉપયોગ કેવી રીતે કરવો તેનો આધાર તો તે વાપરનાર ઉપર જ રહે છે. બસ, અંતે ટૂંકી વાત, દરેક જાણ પોતાના મનના બારી બારણાં ખોલે, અંધકાર આપોઆપ દૂર થશે!

-ડૉ. વિજય મનુ પટેલ (ગુજરાત ગાર્ડિયન અખબારમાં છપાયેલ લેખ તા 23/12/13)

Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...