Saturday 21 December 2013

આધુનિકતામાં ઓઝલ થતું બાળપણ...



         એક મિત્રએ મને પ્રશ્ન કર્યો, છેલ્લા પાંચ-સાત વર્ષોમાં તમને લોકોમાં કેવું પરિવર્તન દેખાય છે?’ એ સમયે મારા મનમાં જે વિચાર આવ્યો હતો તે મુજબ મેં કહી દીધું હતું, અ...જન્મદિન, લગ્ન, ઉદઘાટન વગેરે જેવા સામાજિક પ્રસંગોમાં ઘણાં લોકો હવે ફૂલ કે ફૂલોનો ગુલદસ્તો લઈને જાય છે! મારી વાત સાથે મિત્ર સંમત તો થયો હતો પણ સામે બીજો એક પ્રશ્ન મને પૂછી નાંખ્યો હતો. ‘…પણ એમાં સુગંધ તો હોતી નથી, તોયે?!’ હું ઘડીભર વિચારમાં પડી ગયો હતો, પણ અંત:સ્ફુરણાથી જે જવાબ સૂઝયો તે આવો હતો: હા, એને આધુનિકતાની દ્વિધા સમજી લો!
        એ નવી જાતના હાઇબ્રીડ બિયારણના ફૂલો હતા. જેમાં તેનું બાહ્ય સૌંદર્ય તો નિખર્યું હતું, પણ અંદરની સોડમ ગૂમ થઈ ગઈ હતી. છતાં સત્ય એ છે કે લોકો એવા ફૂલો પાસે વધુને વધુ સંખ્યામાં પહોંચી રહ્યાં છે. આને આધુનિકતાની દ્વિધા જ કહીશું ને? આ સંદર્ભમાં શાળામાં ભણતાં બાળકો વિશે વિચારીએ.
        બાળકોના ઉછેરનો મુખ્ય આધાર પરિવાર છે. ભારતીય પરિવારનું પ્રાચીન સ્વરૂપ સયુંક્ત પ્રકારનું હતું. સાથે રહેવું, રમવું, જમવું, ફરવા જવું જેવી ક્રિયાઓમાં ભાવનાત્મક જોડાણ બની રહેતું. જીવનના સુખ-દુ:ખનું શિક્ષણ આપોઆપ એમને મળી રહેતું. એકબીજાની જવાબદારીઓ સમજવાની, ઉઠાવવાની અને શીખવવાની પ્રવૃત્તિ બહુ સાહજિક રીતે થતી હતી. દાદા-દાદીની વાર્તાઓ બાળકોના જીવનની ચોપડી ગણાતી અને તેમાંથી જીવન મૂલ્યોની સુગંધ બાળકોમાં સંસ્કરિત થતી હતી.
        હા, એ ખરું કે તે સમયે સ્ત્રીઓના વિકાસની તકો ભાગ્યે જ  તેમના નસીબમાં આવતી. આર્થિક-સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે આવેલા પરિવર્તને સ્ત્રીઓની સ્વતંત્રતાને પાંખો તો આપી પણ બાળકોની સુગંધને ઉડાડી દીધી છે. સયુંક્ત પ્રથા લુપ્ત થઈ રહી છે, દાદા-દાદીની વાર્તાઓ પણ હવે જુનવાણી અને બકવાસ ગણાઈ રહી છે. મા-બાપ બંને ભણીને નોકરીમાં વ્યસ્ત થઈ રહ્યાં છે, કેમ કે, હવે એકલે હાથે ઘણીબધી(!?) જવાબદારીઓ ઉઠાવવાની નોબત આવી છે.
        હવે, બાળકોની શક્તિઓને આકાશ આપવાની વાત તો ઠીક આંગણું આપવાની પણ ફૂરસદ નથી. ઘરના લોકો સાથેના વ્યવહારમાંથી બાળકો જે સંસ્કાર, કેળવણી પામતા હતાં તે હવે મર્યાદિત માણસોમાં સીમિત થઈ ગયા છે. અરે કેટલાક પરિવારમાં તો બધા સભ્યો ચોવીસ કલાકમાં માંડ બે-ત્રણ કલાક એક સાથે જોવા મળે છે! વિકાસની આડ અસર કહો કે સ્વયંમાં સીમિત થઈ જવાની પ્રવૃત્તિ ગણો, માતા-પિતાઓ હવે પોતાની દુનિયાને જ નવા નવા સ્વપ્ના, સંબંધો, અને પ્રવૃત્તિઓથી એટલી વ્યસ્ત બનાવવા માંડ્યા છે કે પોતાના સંતાનની દુનિયામાં તેઓને ઝાઝો રસ નથી. ઊલટું, પોતે જે ન કરી શક્યા તે તેમના બાળકો પૂર્ણ કરી દે તેવી ઊંચી ઊંચી અપેક્ષાઓના મહેલો રચી રહ્યાં છે. કુટુંબનું આધુનિક સ્વરૂપ બાળપણને કેળવવામાં અસમર્થ બની રહ્યું જણાય છે, કેમ કે એકબીજાને જોડનારી લાગણીની દોરી પણ કાચા વણાટવાળી બની રહી છે. (કાચી દોરીમાં ગાંઠ વધે, ખરું ને?!) શાળાઓ અને શિક્ષકોને માથે જાણે કપરો કાળ આવ્યો છે!
        આજકાલના બાળકો પોતાની જિજ્ઞાસાઓમાં પાછળ નથી, પણ એને સંતોષનારા જવાબો તેમને મળતા નથી. તેમણે ખેતરો કે વાડાઓ જોયા નથી એટલે પનીર ક્યાંથી આવે?’ એવા પ્રશ્નનો તેમનો ઉત્તર હોય છે ખેતરોમાંથી. કેમ કે, તે ખાવાની વાનગી છે!! તેઓ હવે રજાના દિવસે મામાના ઘરે જતા નથી, શોપિંગ મોલ્સમાં વધુ જાય છે. તેઓ હાઈ-ફાઈ શાળાઓમાં ભણે તો ગામડાઓના બાળકોના સંઘર્ષને ક્યાંથી જાણે? રૉબોટ અને કારના આધુનિક રમકડાઓએ તેમના જીવનમાં સાદા-સરળ જીવનની ખુશીને આવવા જ નથી દીધી. વિડંબણા એ છે  કે બીજી તરફ આનાથીયે બદતર હાલત અને અભાવમાં ઉછરી રહેલાં બાળકો, જેમની પાસે કુટુંબ છે પણ તેના સભ્યો પાસે સમય નથી. કેમ કે, જરૂરિયાતોની પૂર્તિમાં જ તેમની જિંદગી સમાપ્ત થઈ જાય છે.          
        આધુનિકતાના ઓછાયામાં આજે બાળપણ આધુનિક બન્યું છે. હવે તે તોતડાતું ડા...દા બોલે તેની કરતાં અંગ્રેજીમાં અંકલ બોલે તે આપણને વધુ વહાલું લાગે છે. પહેલા પાંચ-છ વર્ષ સુધી માતા-પિતા સાથે સૂઈ જતું બાળક હવે નર્સરીથી જ  અલગ રૂમમાં સૂઈ જાય તેવી વ્યવસ્થામાં આપણે પડી ગયા છીએ, નહિ? નદી, તળાવમાં નહાવાને હવે આપણે બિનઆરોગ્યપ્રદ ગણીને તેને કોઈ હોટેલ કે સ્વિમીંગ પૂલમાં મોકલી રહ્યા છીએ. બાળકોને દર વર્ષે શહેરમાં યોજાતા રામલીલા મહોત્સવને જોવા લઈ જવાનો હવે આપણી પાસે સમય નથી એટલે સંજય લીલા ભણશાળીની રામલીલા બતાવી દઈએ છીએ! કામ પત્યું!! બાળકોના શરીર-મનની પાયાની આવડતો કેળવવાને બદલે આપણે તેને લિટલ ચેમ્પ ! બનાવવાની હોડમાં ઉતારી રહ્યા છીએ.
        પરિવર્તનો હંમેશા પોતાની સાથે સારા અને નરસા પાસા લઈને આવે છે. પણ આપણે પોતાની ખુશી જાળવવામાં બાળકોને એકલા છોડી દેવાનો ખતરનાક રસ્તો અપનાવવા માંડ્યા છીએ. ભાઈ-બહેનની લડાઈને બેસીને ઉકેલવાને બદલે આપણે એકને ટી.વી. અને બીજાને મોબાઈલ આપીને બેસાડી દીધા. જ્યારે બાળકોએ બાગ-બગીચામાં લઈ જવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે આપણે તેને શોપિંગ મોલમાં લઈ જવાનો વાયદો કર્યો. રાત્રે વાર્તા કે ગીત સાંભળવાની તેઓની ઈચ્છા પર તેને આઇપેડનું ઇયરફોન કાનમાં લગાડીને આપણે પાણી ફેરવી દીધું! હવે તમે જ વિચારો બાળકોના બાળપણને કોણે છીનવ્યું, ટેક્નોલૉજીએ કે આપણી અસમર્થતા કે સ્વાર્થે?!
        બાળકોની નવી પેઢી G’ છે. એ ગિલ્લી-દંડા કે ભમરડાવાળી નથી જ. અમેરિકા સહિત વિશ્વના અન્ય દેશોના બાળકો પર મીડિયા અને ટેક્નોલોજીનો જે પ્રભાવ છે તેને અંદાજિત આંકડામાં રજૂ કરું તો 42  ટકા બાળકોના રૂમમાં ટી.વી. છે, 29 ટકા પાસે ડી.વી.ડી પ્લેયર અને 11 ટકા પાસે વીડિયો ગેમ્સ છે. એક-બે વર્ષનું બાળક પણ રોજની સરેરાશ 53 મિનિટ ટી.વી. જુએ છે! પણ AVG નામની ઇન્ટરનેટ સુરક્ષા કંપનીએ કરેલું સર્વે ચોંકાવનારું છે. તે સર્વે મુજબ જે બાળકો સ્માર્ટ ફોનનો ઉપયોગ કરે છે તેમાનાં મોટાભાગના બૂટની દોરી બાંધવામાં અસફળ રહ્યાં હતા! નવી પેઢી વાંચનથી દૂર થઈ રહી છે એટલે તેની એકાગ્રતા અને કલ્પનાશક્તિ પણ બુઠ્ઠી બની રહી છે.
        વડીલોએ જ આધુનિકતાની વ્યાખ્યા સમજવામાં ગરબડ કરી છે એટલે શું થાય? આ પ્રશ્નનો ઉત્તર એક લેખિકાએ આમ આપ્યો છે, વાંચો. ‘…આપણી પાસે બાળકોને આપવા જેવા સંબંધો ક્યાં છે? સ્કૂલ, હોબી ક્લાસ, જીમ, અને ટ્યુશન ક્લાસની દોદધામમાં એ ગલી-મહોલ્લામાં ક્યારે અને કોની સાથે વાતો કરે? પણ બાળપણની એ ખાસિયત છે કે તેણે દુ:ખમાં જીવવું હોતું નથી. એટલે એ તો સુખને 32 ઈંચના ટી.વી.ના પડદા પરના કાર્ટૂન કે છોટા ભીમમાં, નોટપેડના 18 ઈંચના પડદા પરના ફેસબૂકમાં, કે મોબાઇલના 9 ઈંચના પડદા પરના વોટ્સઅપ પરની મિત્રોની ગોઠડીમાં શોધી કાઢશે...
        આધુનિકતામાં ભારતીય બાળપણ સાચે જ વિકસી રહ્યું છે કે કરમાઇ રહ્યું છે? વિચારો કે બાળપણને ખીલવવાનો તમારી પાસે આનાથી વધારે સારો વિકલ્પ છે વાલી અને વાચક મિત્રો?

 -ડૉ. વિજય મનુ પટેલ (ગુજરાત ગાર્ડિયન અખબારમાં છપાયેલ લેખ 16/12/2013)

Friday 20 December 2013

વ્યક્તિત્વ વિકાસ વિશે મારુ પુસ્તક

Hello friends,
Here is the moments about I promised you.
વહાલા મિત્રો,
તમારી પ્રતિક્ષાનો અંત આ સાથે જ.
વ્યક્તિત્વ વિકાસ વિશે એક અનોખી અને સંક્ષિપ્ત શૈલીમાં આ મારુ પુસ્તક આપ સૌને જરૂર પસંદ આવશે જ. જેમણે જોયું અને વાંચ્યું, એક અવાજે વખાણ્યું..


આ પુસ્તક વ્યક્તિત્વ વિકાસમાં ઉપયોગી થાય તેવા વ્યવહારુ ઉકેલ સૂચવનારું છે. સમયની બચત સાથે સામાન્ય કિંમતે ઉત્તમ ગુજરાતી પુસ્તક.

મોદીજી! શહેર પછી હવે ગામડાઓને ધન્ય કરો!



       ગાંધીજીની દ્રષ્ટિએ વિકાસનો માર્ગ ગામડાથી શહેર તરફનો હતો. પણ તેઓની સાથે રહેનારા નહેરુ, સરદાર, મૌલાના કે અન્યો આ આદર્શને મૂર્ત રૂપ આપી શક્યા નહોતા. હવે ૬૫ વર્ષ પછી વિકાસની એવી પ્રક્રિયાને સજીવન કરી શકાય તેમ નથી. એવું વિચારવા જેવુ પણ નથી કેમ કે એ માર્ગ હવે શક્ય જ નથી. આમ તો, દુનિયાના કોઈપણ દેશમાં વિકાસની પ્રક્રિયા ગાંધીજીની રીતે થયેલી જોવા મળતી નથી. એટલે એ બાબતમાં ગાંધીજીનો વિચાર આદર્શ હતો, વ્યવહારુ નહિ એમ માનીને એની ઝાઝી ચર્ચા કરવાનુ છોડી દઈએ.
        આપણને એ વાત બહુ જ તાર્કિક અને વૈજ્ઞાનિક લાગે છે કે વૃક્ષના વિકાસની શરૂઆત તેના મૂળથી થવી જોઈએ. દેશના વિકાસના સંદર્ભમાં ગાંધીજી અને તેના અનુયાયીઓએ ગામડાઓને મૂળ માનીને પોતાની વિચારધારા રજૂ કરી હતી. ગામડાના વિકાસથી શહેર તરફ જવાને તેઓએ વિકાસની સાચી દિશા ગણી હતી. કદાચ તેની પાછળનો તેઓનો ભય એ હતો કે વિકાસ શહેરથી થશે તો ગામડાના લોકો તેનાથી વંચિત રહી જશે. અને આજે ઘણાને એવું જ લાગી પણ રહ્યું છે. છતાં એ ન ભૂલવું જોઈએ કે વિકાસની મૂળ વિભાવનામાં સાધન-સુવિધાનું આંતરમાળખું રહેલું છે. અને તેનો વિકાસ સરકાર અને ખાનગી સાહસિકો દ્વારા જ થઈ શકે. હવે શાંત ચિત્તે એ વિચારો કે સરકાર કે ઉદ્યોગ સાહસિકો પોતાના(દેશના) સિમિત સાધનોને દૂર દૂરના ગામડા તરફ રોકે તો વધુ લાભ થાય કે મોટા શહેરોની નજીક રોકે તો વધુ વળતર(લાભ) પ્રાપ્ત થાય?
        ઔદ્યોગિક એકમોના વિકાસ વિના દુનિયાનો કોઈ દેશ સમૃદ્ધિ ન પામી શકે એ દીવા જેવી સ્પષ્ટ વાત છે. ખેતી કરીને કે રેંટિયો કાંતીને કદાચ રોજી મળે પણ સુવિધાપૂર્ણ જીવન આપે તેવી રોજગારી તો નહી જ. લોકોની પાયાની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પણ ઓદ્યોગિક વિકાસનો સહારો લેવો જ પડે! આઝાદી પછી આટલા વર્ષોમાં દેશની જીડીપીમાં વધારો, લોકોની માથાદીઠ આવકમાં વધારો, મૃત્યુદરમાં ઘટાડો વગેરે જેવા પરિણામો શહેરથી ગામડા તરફ જનારા વિકાસને જ આભારી છે ને?
        ઓદ્યોગિક એકમોના ભયસ્થાનો ઘણા છે, પણ દૂરના ગામડાઓની હાલત સુધારવી હશે તો કોર્પોરેટ જગત જ સહાયભૂત થઈ શકે તેમ છે. પણ હું દેશના ઉદ્યોગપતિઓ ગામડામાં ઉદ્યોગ સ્થાપે એવું બિલકૂલ ઇચ્છતો નથી. બસ, તેઓ  ગામડામાં સારી શાળા બનાવે, શિક્ષકો-યુવાનોની આવડત વધારે તેવા તાલીમી કોર્સ ચલાવે, રસ્તા બનાવે, આરોગ્યના કામો કરે વગેરે જેવી માળખાકીય સુવિધા માટે ઓછા નફાથી જોડાય તેમ ઇચ્છું છુ. કદાચ ગાંધીજીના અંત્યોદય તરફ આ રીતે રિવર્સમાં જવાનો નવતર ખ્યાલ કહું તો ખોટું નથી આ પ્રક્રિયામાં ઉદ્યોગોને શરણે થઈ જવાની બિલકૂલ વાત નથી. વાત ઉદ્યોગ જગતને, સ્વાર્થને બદલે સમાજ પ્રત્યેના ઉત્તરદાયિત્વને યાદ કરાવવાની અને તે માટે જરૂરી પ્રોત્સાહન આપવાની છે.
        આપણે ત્યાં ગામડાઓના લોકોને સુવિધા પૂરી પાડવાથી માંડીને તેમના જીવન સ્તરને ઊંચે લઈ જવાનું કામ માત્ર સરકાર પર જ છોડી દેવાયું છે. તેથી, ગામડાના લોકોને પાણી, શિક્ષણ, આરોગ્ય, વીજળી વગેરે પૂરે પાડવાની જવાબદારી અમારી નથી એમ માનીને શહેરના લોકો અને ઓદ્યોગિક સાહસિકો અળગા જ રહ્યા છે. હવે સમય છે આજ મૂડીપતિઓને ગામડા તરફ આકર્ષવાનો. પણ તેમાં નફાખોરી નહી, એક મજબૂત રાષ્ટ્ર માટે ગરીબ અને સુવિધાથી વંચિત લોકો તરફના તેઓનું કર્તવ્ય પણ સમાયેલું હોય. આ માટે થોડી વાત કરવી છે નરેન્દ્ર મોદી સાથે.      
        માનનીય નરેન્દ્રભાઈ, ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે વિકાસ માટેના તમારા પ્રયત્નો ઘણા સારા રહ્યા છે. પણ એ સમાજના અમુક લોકો ખાસ કરીને શહેરના શિક્ષિત વર્ગોને વધુ લાભદાયી રહ્યા છે. વિકાસને શહેરથી છેવાડાના લોકો સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય તમારી સામે મોટો પડકાર છે. દેશ-વિદેશના મોટા ઉદ્યોગ માધાંતા તમારા વ્યક્તિત્વથી ખેંચાયા છે ત્યારે તમારે આજ મૂડીપતિઓને ગામડા તરફ વાળવાના છે. પણ ગામડાઓની જમીન હડપવા નહી, ગામડાઓના લોકોના આરોગ્ય અને શિક્ષણની સુવિધાઓના નિર્માણ કરવા માટે અને તે પણ ઓછા નફાના ધોરણે. આ કાર્ય આર્થિક-સામાજિક અસમાનતાને દૂર કરવામાં મહત્વનુ બની રહેશે. વિકાસને નામે માત્ર સેટેલાઈટ ઊડાડયા કરીશું ને તેનાથી દૂરના ગામડાઓને કમ્પુટરથી જોડી દેવાની વાત કર્યા કરીશું પણ એ જ ગામડાના લોકોને પીવાના પાણીના ફાંફા પડે, ભણવા માટે શાળા કે સ્લેટ-પેન પણ ઉપલબ્ધ ન હોય ત્યારે સંપૂર્ણ વિકાસ ને વાત કેવી?
        મોદીજી! તમારી કામગીરીની નોંધ તમારા વિરોધીઓએ પણ વખાણી છે, પણ હવે કરવાની જરૂર છે ગામડાઓની સુવિધા વધારવાની. તમારી પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશીપની કુશળતાને દૂરના સ્થળોએ લઈ જાવ. તેનો વિકાસ કરો ને દુનિયાના હિરો બની જાવ બસ! ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતનાં ગામડાના ૬૦ ટકા લોકો પાસે પાણીની સુવિધા નથી, ૬૭ ટકા પાસે સંડાસ નથી અને બાળમૃત્યુદર દર હજારે ૪૪નો છે ત્યારે હું આજે આપને અહીં ૫મી માર્ચ ૨૦૧૩માં જેમનું દેહાંત થયું એવા વેનેઝુએલાના ૫૮ વર્ષીય રાષ્ટ્રપતિ હ્યુગો ચાવેઝની કામગીરીની યાદ અપાવું. ૧૯૯૮માં સત્તા પર આવ્યા પછી ૨૦૦૫ સુધીમાં તેમણે નિરક્ષરતાને દેશમાંથી નાબૂદ કરી દીધી. યુનેસ્કોએ પણ એ વાતની પુષ્ટિ કરી છે કે ચાવેઝનું આ શિક્ષા અભિયાન (કે જે મિશન રોબિન્સનથી પણ ઓળખાતું હતું!) અપેક્ષા કરતાં વધુ સફળ રહ્યું હતું. વળી, ૧૯૯૯ થી ૨૦૧૦ વચ્ચે દર લાખની વસ્તીએ ડૉક્ટરોની સંખ્યામાં ૪૦૦ ટકાનો વધારો નોંધાયો! સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ મુજબ વેનેઝુએલામાં લેટિન અમેરિકાના દેશોની તુલનામાં અસમાનતા ખૂબ ઓછી જોવા મળી. ત્યાં ૨૦૧૨ સુધીમાં ૯૫ ટકા વસ્તી પીવાનું પાણી પ્રાપ્ત કરવા સક્ષમ બની ગઈ છે. ૧૯૯૮માં વેનેઝુએલાની ૨૧ ટકા વસ્તી કુપોષણનો શિકાર હતી તે તેમના કાર્યકાળ દરમ્યાન ઘટીને ૨૦૧૨માં ૩ ટકા થઈ ગઈ!
        ચાવેઝ સ્વભાવે આક્રમક હતા. તેનું પરિણામ તેઓએ ઘણીવાર ભોગવવું પડ્યું હતું. છતાં વેનેઝુએલાની ગરીબ પ્રજાને માટે તેમણે જે કર્યું છે તેનાથી જાણે કે તેઓએ આપના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ભૂલાયેલા વિચારોને વહેતા કરી દીધા હતા. નરેન્દ્રભાઈ, ગાંધી, સરદાર કે વિવેકાનંદ તમારા આદર્શ કોણ છે તેમાં બહુજન પ્રજાને રસ નથી. તેઓ તો માત્ર ઇચ્છે છે સુવિધાપૂર્ણ જીવન, ન્યાય અને સલામતી. માત્ર ગુજરાત જ નહી પણ ભારતીય પ્રજામાં આપની છબી એક દ્રઢનિશ્ચયી અને પરીવર્તનકારી નેતા તરીકે ઊભરી છે ત્યારે આપ સૌનામાં વિશ્વાસ પ્રગટાવી દુનિયાને નેતૃત્વનો એક મજબૂત પૂરાવો પૂરો પાડો એવી આશા સાથે અટકું છું.

Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...