Friday 20 December 2013

મોદીજી! શહેર પછી હવે ગામડાઓને ધન્ય કરો!



       ગાંધીજીની દ્રષ્ટિએ વિકાસનો માર્ગ ગામડાથી શહેર તરફનો હતો. પણ તેઓની સાથે રહેનારા નહેરુ, સરદાર, મૌલાના કે અન્યો આ આદર્શને મૂર્ત રૂપ આપી શક્યા નહોતા. હવે ૬૫ વર્ષ પછી વિકાસની એવી પ્રક્રિયાને સજીવન કરી શકાય તેમ નથી. એવું વિચારવા જેવુ પણ નથી કેમ કે એ માર્ગ હવે શક્ય જ નથી. આમ તો, દુનિયાના કોઈપણ દેશમાં વિકાસની પ્રક્રિયા ગાંધીજીની રીતે થયેલી જોવા મળતી નથી. એટલે એ બાબતમાં ગાંધીજીનો વિચાર આદર્શ હતો, વ્યવહારુ નહિ એમ માનીને એની ઝાઝી ચર્ચા કરવાનુ છોડી દઈએ.
        આપણને એ વાત બહુ જ તાર્કિક અને વૈજ્ઞાનિક લાગે છે કે વૃક્ષના વિકાસની શરૂઆત તેના મૂળથી થવી જોઈએ. દેશના વિકાસના સંદર્ભમાં ગાંધીજી અને તેના અનુયાયીઓએ ગામડાઓને મૂળ માનીને પોતાની વિચારધારા રજૂ કરી હતી. ગામડાના વિકાસથી શહેર તરફ જવાને તેઓએ વિકાસની સાચી દિશા ગણી હતી. કદાચ તેની પાછળનો તેઓનો ભય એ હતો કે વિકાસ શહેરથી થશે તો ગામડાના લોકો તેનાથી વંચિત રહી જશે. અને આજે ઘણાને એવું જ લાગી પણ રહ્યું છે. છતાં એ ન ભૂલવું જોઈએ કે વિકાસની મૂળ વિભાવનામાં સાધન-સુવિધાનું આંતરમાળખું રહેલું છે. અને તેનો વિકાસ સરકાર અને ખાનગી સાહસિકો દ્વારા જ થઈ શકે. હવે શાંત ચિત્તે એ વિચારો કે સરકાર કે ઉદ્યોગ સાહસિકો પોતાના(દેશના) સિમિત સાધનોને દૂર દૂરના ગામડા તરફ રોકે તો વધુ લાભ થાય કે મોટા શહેરોની નજીક રોકે તો વધુ વળતર(લાભ) પ્રાપ્ત થાય?
        ઔદ્યોગિક એકમોના વિકાસ વિના દુનિયાનો કોઈ દેશ સમૃદ્ધિ ન પામી શકે એ દીવા જેવી સ્પષ્ટ વાત છે. ખેતી કરીને કે રેંટિયો કાંતીને કદાચ રોજી મળે પણ સુવિધાપૂર્ણ જીવન આપે તેવી રોજગારી તો નહી જ. લોકોની પાયાની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પણ ઓદ્યોગિક વિકાસનો સહારો લેવો જ પડે! આઝાદી પછી આટલા વર્ષોમાં દેશની જીડીપીમાં વધારો, લોકોની માથાદીઠ આવકમાં વધારો, મૃત્યુદરમાં ઘટાડો વગેરે જેવા પરિણામો શહેરથી ગામડા તરફ જનારા વિકાસને જ આભારી છે ને?
        ઓદ્યોગિક એકમોના ભયસ્થાનો ઘણા છે, પણ દૂરના ગામડાઓની હાલત સુધારવી હશે તો કોર્પોરેટ જગત જ સહાયભૂત થઈ શકે તેમ છે. પણ હું દેશના ઉદ્યોગપતિઓ ગામડામાં ઉદ્યોગ સ્થાપે એવું બિલકૂલ ઇચ્છતો નથી. બસ, તેઓ  ગામડામાં સારી શાળા બનાવે, શિક્ષકો-યુવાનોની આવડત વધારે તેવા તાલીમી કોર્સ ચલાવે, રસ્તા બનાવે, આરોગ્યના કામો કરે વગેરે જેવી માળખાકીય સુવિધા માટે ઓછા નફાથી જોડાય તેમ ઇચ્છું છુ. કદાચ ગાંધીજીના અંત્યોદય તરફ આ રીતે રિવર્સમાં જવાનો નવતર ખ્યાલ કહું તો ખોટું નથી આ પ્રક્રિયામાં ઉદ્યોગોને શરણે થઈ જવાની બિલકૂલ વાત નથી. વાત ઉદ્યોગ જગતને, સ્વાર્થને બદલે સમાજ પ્રત્યેના ઉત્તરદાયિત્વને યાદ કરાવવાની અને તે માટે જરૂરી પ્રોત્સાહન આપવાની છે.
        આપણે ત્યાં ગામડાઓના લોકોને સુવિધા પૂરી પાડવાથી માંડીને તેમના જીવન સ્તરને ઊંચે લઈ જવાનું કામ માત્ર સરકાર પર જ છોડી દેવાયું છે. તેથી, ગામડાના લોકોને પાણી, શિક્ષણ, આરોગ્ય, વીજળી વગેરે પૂરે પાડવાની જવાબદારી અમારી નથી એમ માનીને શહેરના લોકો અને ઓદ્યોગિક સાહસિકો અળગા જ રહ્યા છે. હવે સમય છે આજ મૂડીપતિઓને ગામડા તરફ આકર્ષવાનો. પણ તેમાં નફાખોરી નહી, એક મજબૂત રાષ્ટ્ર માટે ગરીબ અને સુવિધાથી વંચિત લોકો તરફના તેઓનું કર્તવ્ય પણ સમાયેલું હોય. આ માટે થોડી વાત કરવી છે નરેન્દ્ર મોદી સાથે.      
        માનનીય નરેન્દ્રભાઈ, ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે વિકાસ માટેના તમારા પ્રયત્નો ઘણા સારા રહ્યા છે. પણ એ સમાજના અમુક લોકો ખાસ કરીને શહેરના શિક્ષિત વર્ગોને વધુ લાભદાયી રહ્યા છે. વિકાસને શહેરથી છેવાડાના લોકો સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય તમારી સામે મોટો પડકાર છે. દેશ-વિદેશના મોટા ઉદ્યોગ માધાંતા તમારા વ્યક્તિત્વથી ખેંચાયા છે ત્યારે તમારે આજ મૂડીપતિઓને ગામડા તરફ વાળવાના છે. પણ ગામડાઓની જમીન હડપવા નહી, ગામડાઓના લોકોના આરોગ્ય અને શિક્ષણની સુવિધાઓના નિર્માણ કરવા માટે અને તે પણ ઓછા નફાના ધોરણે. આ કાર્ય આર્થિક-સામાજિક અસમાનતાને દૂર કરવામાં મહત્વનુ બની રહેશે. વિકાસને નામે માત્ર સેટેલાઈટ ઊડાડયા કરીશું ને તેનાથી દૂરના ગામડાઓને કમ્પુટરથી જોડી દેવાની વાત કર્યા કરીશું પણ એ જ ગામડાના લોકોને પીવાના પાણીના ફાંફા પડે, ભણવા માટે શાળા કે સ્લેટ-પેન પણ ઉપલબ્ધ ન હોય ત્યારે સંપૂર્ણ વિકાસ ને વાત કેવી?
        મોદીજી! તમારી કામગીરીની નોંધ તમારા વિરોધીઓએ પણ વખાણી છે, પણ હવે કરવાની જરૂર છે ગામડાઓની સુવિધા વધારવાની. તમારી પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશીપની કુશળતાને દૂરના સ્થળોએ લઈ જાવ. તેનો વિકાસ કરો ને દુનિયાના હિરો બની જાવ બસ! ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતનાં ગામડાના ૬૦ ટકા લોકો પાસે પાણીની સુવિધા નથી, ૬૭ ટકા પાસે સંડાસ નથી અને બાળમૃત્યુદર દર હજારે ૪૪નો છે ત્યારે હું આજે આપને અહીં ૫મી માર્ચ ૨૦૧૩માં જેમનું દેહાંત થયું એવા વેનેઝુએલાના ૫૮ વર્ષીય રાષ્ટ્રપતિ હ્યુગો ચાવેઝની કામગીરીની યાદ અપાવું. ૧૯૯૮માં સત્તા પર આવ્યા પછી ૨૦૦૫ સુધીમાં તેમણે નિરક્ષરતાને દેશમાંથી નાબૂદ કરી દીધી. યુનેસ્કોએ પણ એ વાતની પુષ્ટિ કરી છે કે ચાવેઝનું આ શિક્ષા અભિયાન (કે જે મિશન રોબિન્સનથી પણ ઓળખાતું હતું!) અપેક્ષા કરતાં વધુ સફળ રહ્યું હતું. વળી, ૧૯૯૯ થી ૨૦૧૦ વચ્ચે દર લાખની વસ્તીએ ડૉક્ટરોની સંખ્યામાં ૪૦૦ ટકાનો વધારો નોંધાયો! સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ મુજબ વેનેઝુએલામાં લેટિન અમેરિકાના દેશોની તુલનામાં અસમાનતા ખૂબ ઓછી જોવા મળી. ત્યાં ૨૦૧૨ સુધીમાં ૯૫ ટકા વસ્તી પીવાનું પાણી પ્રાપ્ત કરવા સક્ષમ બની ગઈ છે. ૧૯૯૮માં વેનેઝુએલાની ૨૧ ટકા વસ્તી કુપોષણનો શિકાર હતી તે તેમના કાર્યકાળ દરમ્યાન ઘટીને ૨૦૧૨માં ૩ ટકા થઈ ગઈ!
        ચાવેઝ સ્વભાવે આક્રમક હતા. તેનું પરિણામ તેઓએ ઘણીવાર ભોગવવું પડ્યું હતું. છતાં વેનેઝુએલાની ગરીબ પ્રજાને માટે તેમણે જે કર્યું છે તેનાથી જાણે કે તેઓએ આપના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ભૂલાયેલા વિચારોને વહેતા કરી દીધા હતા. નરેન્દ્રભાઈ, ગાંધી, સરદાર કે વિવેકાનંદ તમારા આદર્શ કોણ છે તેમાં બહુજન પ્રજાને રસ નથી. તેઓ તો માત્ર ઇચ્છે છે સુવિધાપૂર્ણ જીવન, ન્યાય અને સલામતી. માત્ર ગુજરાત જ નહી પણ ભારતીય પ્રજામાં આપની છબી એક દ્રઢનિશ્ચયી અને પરીવર્તનકારી નેતા તરીકે ઊભરી છે ત્યારે આપ સૌનામાં વિશ્વાસ પ્રગટાવી દુનિયાને નેતૃત્વનો એક મજબૂત પૂરાવો પૂરો પાડો એવી આશા સાથે અટકું છું.

No comments:

Post a Comment

Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...