Saturday 25 April 2020

Zoom એજ્યુકેશન: ટાઇમપાસ તો નથી ને?!

               કોઈ નવી શરૂઆત હંમેશાં આવકારદાયક ગણાય, પણ દરેક નવી શરૂઆત શું એટલી બધી અજોડ હોય છે કે તેને સમાચારપત્રો અને મીડિયામાં ચમકાવવી પડે?! કોરોના મહામારી પછીના અનિવાર્ય લોકડાઉનમાં સૌ કોઈએ નવી શરૂઆત કરવી પડી છે, એટલે શિક્ષણ પણ એમાં બાકાત નથી રહ્યું. કોર્પોરેટ્સ મિટિંગ્સ, ટૂંકાગાળાના અભ્યાસક્રમો અને વૈશ્વિક સંસ્થાઓ સાથેનું આઉટસોર્સીંગ જેવા કામો તો ઘરે બેઠા થતા જ હતા હવે તેમાં શાળાના વૈધિક શિક્ષણને ઓનલાઈન કરવાનું ચલણ વધ્યું છે.

                દરેક નવી વિષમ પરિસ્થિતી નવી ઉપાધીઓ લાવે, પણ તેમાંથી નવા રસ્તાઓ પણ જન્મતા હોય છે. શાળાના શિક્ષણને ઘેરબેઠા ભણાવવાના નુસ્ખાઓની શરૂઆત થઈ છે, પણ ઘણાબધા લોકો અને સંસ્થાઓને એ એટલું બધુ સાહસિક કદમ લાગ્યું છે કે તેને પબ્લિસિટી સ્ટંટ બનાવી કાઢ્યું છે. રાજ્યથી લઈને સ્થાનિક સ્તર સુધી આવા લોકો એ રીતે પોતાના online શિક્ષણનો પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે કે જાણે તેઓ જ આવું કરનારા સૌથી પહેલા છે!!

                એક-બે કિસ્સામાં તો એવું જાણવા મળ્યું કે આવો કૂદકો આંધળૂકિયો જ હતો કેમ કે, આ રીતે ભણાવવા માટે ન તો તેમની પાસે કોઈ પ્લેટફોર્મ હતું કે ન તો અગાઉથી તૈયાર કરેલું સાહિત્ય (materials) હતું! Online ભણાવવા માટે શિક્ષક પાસે કઈ કઈ સુવિધાઓ કે જાણકારી હોવી જોઈએ તેની તૈયારી સુદ્ધાં કરવામાં આવી નહોતી. અને વળી, આ બધુ જ મફતિયું મળ્યું એટલે સૌ કોઈ લેવા દોડ્યા! કેટલીયે જાણીતી સંસ્થાઓ પોતાની નવી પહેલના પ્રચાર-પ્રસારમાં આંખે પાટો બાંધીને કૂદી પડી હતી. આ એપ્લીકેશનની વિશ્વસનીયતા અને તેની કાર્યક્ષમતા વિશે તેમને કોણ પૂછવા જાય? અને કોણ સાચું કહેશે? વિદ્યાર્થીઓ અને વાલીઓ આ અંગે આગળ આવે તો ઝૂમ દ્વારા શિક્ષણની ઉપયોગિતા અંગે સાચું ચિત્ર સ્પષ્ટ થાય.

                એમાંયે ઘણાબધા વ્યક્તિઓ અને સંચાલકો એવાય ખરા કે જેઓ આજ સુધી પોતાનું ઇ-મેઈલ નિયમિત રીતે જોતાં નહોતા. પોતાની સંસ્થાની વેબસાઈટસ પર પણ છેલ્લે શું અને ક્યારે પોસ્ટ કરી હતી તેની પણ જાણ નહોતી! આવા લોકો જ્યારે સમાચારપત્રમાં મોટા ઉપાડે અમે તો ઓનલાઈન ભણાવીએ!ની ગુલબાંગો હાંકે ત્યારે કેટલાયે લોકોને ગેરમાર્ગે દોરી લઘુતાગ્રંથિ પેદા કરવાનું પાપ કરતાં હોય છે. નવું કર્યાનો નિજાનંદ હોય પણ તેને જાહેર કરવાની તીવ્ર ઘેલછા આત્મશ્લાઘાની પરાકાષ્ઠા કહેવાય.

                શિક્ષણ જગતમાં એવી કેટલીય વેબસાઈટસ અને પ્લેટફોર્મ્સ છે જેમની પાસે તકનીકી રીતે ઉત્તમ કહી શકાય તેવા વિડિયોઝ, ઓડિયોઝ અને પ્રિન્ટ કરી શકાય તેવું મૂલ્યાંકન સાહિત્ય છે તેમ છતાં તેઓ પોતાની ખાસ જાહેરાત પણ કરતાં હોય તેવું જણાતું નથી. ઓનલાઈન ભણાવી શકાય તેવું સક્ષમ આંતરમાળખું આ લોકો પાસે છે. છતાં આજ સુધી એ તરફ જોયુ સુદ્ધાં ન હોય તેવી પ્રાદેશિક શૈક્ષણિક સંસ્થાઓ અચાનક કોઈ તૈયારી કે મૂડીરોકાણ વિના ઓનલાઈન ભણાવવા નીકળી પડે ત્યારે તે હાસ્યાસ્પદ તો લાગે જ છે.

                બીજી તરફ આ ઉતાવળ એટલા માટે પણ યોગ્ય જણાતી નથી કે શાળાના અભ્યાસક્રમને આ રીતે વર્ચુયલી શીખવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ ટેવાયેલા જ નથી. એમને પણ આ પ્રક્રિયા કેમ કરવી, તેને માટે કઈ કઈ વસ્તુઓ જોઈશે, કયા પ્રકારની સાવચેતી રાખવી વગેરેની કોઈ જાણકારી કે પ્રશિક્ષણ આપ્યા વિના જ જોતરી દેવામાં આવ્યા છે. ઘરમાં બેસી રહે એના કરતાં આમ કરજોનો આદેશ છોડીને સંચાલકો અને શિક્ષકો પણ online educationના ખાડામાં કૂદી પડ્યા છે. પણ હવે ખાડામાં અંધારું હોય તો પણ બહાર નીકળવાની મથામણ કરવા કરતાં ત્યાં જ થોડો સમય પડી રહેવામાં તેઓ ઈતીશ્રી માની રહ્યા છે!!

                જેમની પાસે વેબિનાર્સ કે ઓનલાઈન મિટિંગ માટેનું સમૃદ્ધ માળખું છે તેવા કોર્પોરેટ્સ પણ આનો વારંવાર ઉપયોગ કરતાં નથી. માહિતીના આદાન-પ્રદાન કે તાલીમ માટે તેનો વિશેષ ઉપયોગ થાય છે. ઉપરાંત, સ્નાતક કે પછીના વૈધિક શિક્ષણની અનુકૂળતા ન હોય તો અવૈધિક રીતે આવા ઓપન સોર્સથી ભણવાનું કાર્ય ચાલતું હોય છે. પણ આટલી પરિપક્વતા, સમજ કે તકનીકી કુશળતા શાળામાં વિદ્યાર્થીઓ પાસે હોય છે ખરી? તો પછી શાળાના વિદ્યાર્થીઓ માટે online શિક્ષણ કેટલું કારગર? અપરિપક્વ કે અજ્ઞાની વ્યક્તિઓ ઇન્ટરનેટ પર બેસે તો એ તલવારની ધાર પર બેસવા બરાબર છે એવા સમયે શાળાઓ ઝૂમી રહી છે!!

                ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ સ્પર્ધાત્મક અને પ્રવેશ પરીક્ષાઓ માટે કેટલાક ખાનગી કોચિંગ ક્લાસીસ દ્વારા online વર્ગોનું સંચાલન થતું હોય છે. શક્ય છે કે ઉચ્ચતર માધ્યમિક કક્ષાના વિદ્યાર્થીઓને કઇંક અંશે અનુકૂળ આવેય ખરું. પરંતુ પ્રાથમિક કક્ષાના બાળકો માટે પણ વર્ચ્યુયલી ભણાવવાની મહાત્વાકાંક્ષા વધારે પડતી લાગે છે. બાળ મનોવિજ્ઞાન કહે છે કે પ્રત્યક્ષીકરણ વિના  શીખવું મહદંશે શક્ય નથી. કેમ કે 5 થી 12 વર્ષના બાળકો ઘણુખરું સ્પર્શ દ્વારા શીખે તો તેઓ વધુ સારી રીતે આત્મસાત કરી શકે છે. આ વાત વર્ચ્યુઅલમાં આવે ખરી?! માત્ર વર્કશીટ્સ, કવીઝ કે કોયડા સ્વરૂપે બાળકોને પ્રવૃત્તિમાં રોકી શકાય છે, ભણાવી શકાતા નથી!

                વર્તમાન કોરોના સંકટે આવનારા સમયની દુનિયા અને તેના વ્યવહારની બદલી નાંખ્યા છે અને એમાં આ રીતે ઘરે રહીને પણ પ્રવૃત રહેવાની નવી બારીઓ ઊઘડશે એમાં કોઈ શંકા નથી. શાળા-કોલેજો હવેથી એ દિશામાં વિચારશે એમ કહેવા કરતાં તેમણે એમ વિચારવું જ પડશે એમ કહીશ. પણ આનો મતલબ એવો કદી થતો નથી કે એ નવી વ્યવસ્થાને સમજ્યા વિના જ કૂદી પડવું. સાયકલ શીખવતા પહેલા એક પગ ઉપર ઊભા રહીને શરીરનું સંતુલન જાળવવાનું શીખવવામાં કોઈ વાંધો ખરો?

                જે હવે લાંબાગાળા માટે વિચારવું પડવાનું છે તો પછી તેને હવે પૂરી તૈયારી અને માળખાકીય રીતે વિચારવાની શરૂઆત ક્યારથી કરવાની છે? આ વિશે હજી કોઈ જ કશું વિચારતું નથી. મોટાભાગની શાળા-કોલેજો અદ્ધર-પદ્ધર પ્રયોગો કરીને સમય વીતાવે છે, કેમ કે એ લોકો જાણે છે કે જૂનું તો હજીયે રહેવાનું જ છે તો પછી ઝાઝું વિચારવાનું કે ખર્ચવાનું રહે જ નહીં ને? સહેલું ને સટ્ટ!

 

-ડૉ. વિજય મનુ પટેલ 

Saturday 18 April 2020

જોઈએ છે: એક તાનાશાહ!


               છેલ્લા બે-ત્રણ વર્ષથી મનમાં એક દુષ્ટ વિચાર આવે છે કે નરેન્દ્ર મોદીએ સરમુખત્યાર બની જવું જોઈએ! ઘણાંને આવો વિચાર પસંદ ન આવશે, પણ આટલી ગીચ અને બિનસાંપ્રદાયિક વસ્તીને માટે લોકશાહીના મૂલ્યો, આદર્શો અને સિદ્ધાંતોને ટકાવી રાખવા આસાન નથી જણાતા. સ્વતંત્રતાના અધિકારને સ્વછંદી બનાવી દેવાના અને રાષ્ટ્ર કર્તવ્યને હિન્દુવાદી ગણી કાઢવાના અભરખા ઘણાંને આવવા માંડ્યા છે.

                સર્વધર્મ સમભાવના આદર્શનું ગળું બધાએ ભેગા મળીને ઘૂંટવા માંડ્યુ છે. લઘુમતી પ્રજાએ રાષ્ટ્ર પ્રત્યેના કર્તવ્યને માત્ર ને માત્ર પોતાના સ્વાર્થ અને પ્રચાર સુધી સીમિત કરી દીધું છે. અહીંની અજ્ઞાન અને ધર્માંધ વસ્તીએ લોકશાહીને બેફામ બનીને વર્તવાની શાસન વ્યવસ્થા સમજી લીધી છે. જે બુદ્ધિજીવી અને સત્તાલોલુપ છે તેઓએ અનીતિ અને કુટિલ-કર્મો દ્વારા દેશમાં અરાજકતા અને અજંપાને સતત જન્મ આપતા રહેવાનું જ કામ કર્યું છે.

                દેશની સરહદોમાં ઘૂસ મારીને, સરકારી લાભો ખાટીને, ધર્મના ધતિંગો પેદા કરીને રાષ્ટ્રને ખતમ કરનારા તત્વોને આ લોકશાહી અટકાવી શકશે નહીં. આવી ઊધઈઓને મારવા માટે તો એક સરમુખત્યારની દવા જ જોઈએ છે! લોકશાહીના ધાન્યમાં એવી જીવાતો પેદા થઈ રહી છે જેનો ઈલાજ ન થાય  શ્રેષ્ઠ ગણાતું લોકશાહીરૂપી ધાન્ય સડી જશે! મતલબી ધંધાદારીઓ, સ્વાર્થી પક્ષો, કટ્ટરપંથી વિચારધારા,    ભ્રષ્ટ પત્રકારીત્વ અને સંપત્તિના લોભીયાઓને લોકશાહીમાં ફાવતું પડી ગયું છે!

                કાશ્મીરની સ્વતંત્રતા તેઓને બંધન લાગે છે. સ્ત્રીઓની તલાકમાંથી મુક્તિ તેઓને ધર્મની દખલ લાગે છે. દેશની સુરક્ષાના સોદામાં તેઓને મનમાની લાગે છે. અરે, માનવ મૃત્યુની આપદાઓના ઉપાયરૂપ લોકડાઉનમાં તેમણે માનવ અધિકારોનું હનન લાગે છે! આવી વિકૃત માનસિકતાઓની આભામાં લોક્શાહીને તડપાવી મારવી છે? એના કરતાં તો વટભેર એક સરમુખત્યારને વેઠવામાં નાનમ શાની?

                શોષિત, લુલી, અને નિ:સહાય લોકશાહી કરતાં તો ખુમારીથી અનુશાસન સ્થાપતો એક સરમુખત્યાર વધુ કારગર નીવડે એવું લાગે છે. આટલી બધી વસ્તીને લોકશાહીના નામે રેઢી ન મૂકી દેવાય. એના કરતાં બંદુકના ભયથી કતારબંધ ચાલતો દેશ વધુ સારો ન હોય કે?

                ચાલો, લોકશાહી ઉત્તમ શાસન વ્યવસ્થા છે, ખરું. તો પછી પ્રજાને પણ ઉત્તમ બનાવવી પડશે ને? મન ફાવે તેમ લવારા કરતાં કે ધર્મના ધતિંગો કરતી પ્રજાને સુધારવા માટે થોડો સમય લાકડીના સટાકા પણ બોલાવવા પડે ને? એટલે થોડા વર્ષો તો થોડા વર્ષો, પણ મને લાગે છે કે હવે આ દેશને એક સરમુખત્યાર જોઈએ છે, એટલે મોદીજી એ બને! એમ કરતાં કરતાં લોકશાહી શું છે તેનો બરાબર સ્વાદ ચખાડે! વિચાર દુષ્ટ છે પણ આવ્યો છે શું કરું?!

- ડૉ. વિજય મનુ પટેલ         

Monday 6 April 2020

નાનો છેદ નાવને ડૂબાડી શકે છે!

      કોઈ સામૂહિક પ્રસંગમાં બધાએ જ મૌન પાળવાનું છે એવું જણાવ્યા પછીયે કોઈ એક વ્યક્તિ પણ મોઢું ખોલી દે તો સમગ્ર મૌન વ્યવસ્થા (કે નિ:શબ્દ શાંતિના અનુભવ) ઉપર પાણી ફરી જાય, ખરું? તેવું જ આખા દેશાના લોકોને ઘાટા પાડી પાડીને કહેવાયું હોય કે 21 દિવસ ઘર સિવાય કોઈપણ સ્થળે ચારથી વધુ માણસોએ ભેગા થવાનું નથી અને છતાં ધર્મના પ્રચાર-પ્રસાર અર્થે હજારોની ભીડ બેગી થાય (કે કરાય!) તો આખા દેશના આરોગ્ય સામે મોટો ખતરો પેદા થઈ જાય. આને ધર્મ ન કહેવાય, અધર્મ જ કહેવો પડે!
માનવ જીવનને ઉન્નત બનાવવા માટેના બે મુખ્ય માર્ગો છે: ધર્મ અને વિજ્ઞાન. આ બંને પૂરક અને બેમાંથી એકનું હાવી થવું એટલે પતન નિશ્ચિત માનવું. એકના મૂળમાં શ્રદ્ધા છે અને બીજાના મૂળમાં શંકા! વિચિત્ર લાગે તેવી વાત છે ને? પણ એમ છતાં આ બંને વચ્ચે યોગ્ય સંતુલન રહે તો જ માનવ ઉન્નતિ સાધી શકે. કેવી પરિસ્થિતિમાં બંનેમાંથી કોને કેટલું મહત્ત્વ આપવું તેવી વિવેકબુદ્ધિ પણ આ બંનેના સંતુલન વિના સંભવ નથી. જે લોકોને આપણે જડ કે રૂઢિચુસ્ત કહીએ છીએ તેઓ ઘણુખરું આ બંનેના અસંતુલનથી પીડાતા લોકો છે.
વિનોબાજીના વિચારો અહીં મૂકું: કોલેજમાં પ્રોફેસર તર્કશાસ્ત્ર ભણાવે છે, “માણસ મર્ત્ય છે, સૉક્રેટિસ માણસ છે, એટલે એ અચૂક મરવાનો.” આવું અનુમાન પ્રોફેસર શીખવે છે. સોક્રેટિસનો દાખલો આપે છે, પોતાનો કેમ નહીં? પોતે પણ તો મર્ત્ય છે? બધા માણસ મર્ત્ય છે. આવું પ્રોફેસર શીખવશે જ નહીં. તે મરણને સોક્રેટિસના માથે ધકેલી દે છે. કારણ કે તે હાજર નથી! ગુરુ અને શિષ્ય બંને સોક્રેટિસને મરણ અર્પણ કરીને પોતે સલામત બનીને ફરતા રહે છે. મૃત્યુને વિસરી જવાનો આવો પ્રયાસ રાત અને દિવસ જાણીબુઝીને ચલાવાય છે. 
મરકસ(ધાર્મિક મેળાવડા)માં જે થયું તે મનુષ્યની વિવેકબુદ્ધિ પર હાવી થયેલા અધર્મના પ્રચારનું ભૂત હતું. અજ્ઞાનતાની અસ્વીકૃતિ અને પરપીડનવૃત્તિની નિર્લજ્જતા હતી. વિજ્ઞાનને બદલે ધર્મને જ સર્વસ્વ ગણી લેવાની જીદ હતી. બધુ જ “અલ્લાહ”ને માથે ઢોળી દેવાની જબરી પલાયનવૃત્તિ હતી!! અલાહના દૂત બનવા નીકળેલા એવા ટોળાનું અમાનુષી કૃત્ય હતું કે જેના સ્વીકાર કરવામાં પણ ‘અલ્લાહની મરજી વિના કશું જ થવાનું નથી’નો અહંકાર માથે ચઢ્યો હતો. વિજ્ઞાનના સત્યને ધર્માંધતા દ્વારા છુપાવવાની ગુસ્તાખી હતી. આ વિનિપાત અધર્મએ સર્જ્યો હતો.
જે ધર્મ અન્યોનું ભલું ન કરી શકે તેવા ધર્મને ઝાઝી સ્વીકૃતિ નથી મળતી અને ધારોકે આવા માણસો વિશાળ ટોળું પણ બનાવી લે તો પણ એ દૈવી શક્તિથી આગળ કશું જ કરી શકશે નહીં. અહીં એ ધ્યાનમાં રાખવું જોઈએ કે જેઓ જથ્થામાં સૌથી વધુ હોય છે તેનો નાશ કે નુકસાન પણ વિશેષ જ થવાનું! દુનિયાના કોઈપણ ધર્મએ પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાના પ્રયત્નો કર્યા છે ત્યારે તે વહેલા-મોડા વિનાશમાં જ પરિણમ્યા છે. જેઓએ ધર્મના મર્મને સમજ્યો, અને સાચવ્યો એવા લોકો જ જીવનની ઉન્નતિ અને ઊંચાઈને પામી શક્યા છે.
જનતા કર્ફ્યુની કેળવણી વિશેની વાત બે અઠવાડિયા પહેલા આજ કૉલમ દ્વારા રજૂ કરી હતી. એક નવું ક્ષેત્ર છે, વિકટ છે કેમ કે આ દેશમાં લોકશાહી છે! અતિ વસ્તીની ગીચતા અને તેમાંએ ધર્માંધતાથી છલકાતી મોટી વસ્તી. આ બધાને જે રીતે ‘સરમુખત્યાર’ સાચવી શકે તેટલો એક લોકશાહી નેતા ન સાચવી શકે. આવી વસ્તી અરાજકતા અને અશાંતિના દ્રશ્યો જ નહીં પરિણામો પણ પેદા કરી દે છે. 
આખા દેશમાં મંદિરો, ગુરુદ્વારા, ચર્ચ અને ઘણીબધી મસ્જિદો બંધ હતી ત્યારે નિઝામુદ્દીનની મસ્જિદમાં દેશ-વિદેશના અભણ લોકો ભેગા થયા હતા? ના. એ બધા ધર્મનો મેક-અપ ચઢાવીને તેનો પ્રચાર-પ્રસાર કરવા નીકળ્યા હતા! ચીન કે સાઉદીમાં કેમ આવું ન બન્યું? એટલે ઘણીવાર મોદી ‘સમુખત્યાર’ બને એવો દુષ્ટ વિચાર આવી જાય છે! આ કઈં વર્ગખંડના 60 છોકરા સાચવવાની વાત છે કે?! (હજી જો જો, ઘણા દેશવિરોધીઓ આ જમાતને નામે ઉતરી પડશે મેદાનમાં!) 
દરેક મનુષ્ય પાસે જીવન જીવવાના બે વિકલ્પો છે: એક, વ્યક્તિગત વિકાસ અને બીજો, સામાજિક વિકાસ. પ્રથમ, સમાજમાં રહીને અથવા એકાંત શોધીને થઈ શકે. મોટાભાગની વસ્તી સામાજિક વ્યવસ્થામાં રહે છે તેથી તેને પોતાના વિકાસની સાથે સામાજિક નીતિ-નિયમોનું પાલન કરવાનું રહે છે. આમાં કેટલાક લોકો પોતાને જ અલ્લાહ કે ભગવાન માનતા હોય છે એટલે સામાજિક કે પ્રસાશનિક વ્યવસ્થાને ધરાર અવગણીને પોતે પોતાનું મહત્ત્વ સ્થાપિત કરવાની ગુસ્તાખી કરતાં હોય છે. મરકસ આવું ઉદાહારણ હતું.
વર્તમાન કોરોના વાયરસની બિમારીના ઉદાહરણો આખી દુનિયા સમક્ષ છે. દુનિયાના કરોડો લોકો ભલે પોતપોતાના ઇષ્ટદેવને પ્રાર્થના કરતાં હોય છતાં અહીં એકલો ‘ધર્મ’ કોઈને બચાવી શક્યો નથી. જે દેશના લોકોએ વિજ્ઞાનની જાણકારી મેળવી, વિજ્ઞાને રજૂ કરેલી ‘શંકા’માં ‘શ્રદ્ધા’ મૂકી એવા દેશ અને લોકો પોતાનું અસ્તિત્વ સરળ રીતે બચાવી શક્યા છે. કુદરતી આપત્તિઓ માનવીના ‘સ્વધર્મ’ની યાદ અપાવે છે, નહીં કે બાહ્ય ધર્મની. આવા વિકટ સમયમાં સૌથી પહેલો માનવધર્મ જ હોય. જે લોકો બાહ્ય ધર્મને જ સ્વધર્મ માનવાનો દંભ કરે છે તેઓ પોતે તો ડૂબે જ છે, પણ ઘણીવખત અન્યોનું પણ અહિત કરી નાંખતા હોય છે.
જો કે આવી વિકટ પરિસ્થિતોમાં કેટલાક તકવાદીઓ આર્થિક, ધાર્મિક કે રાજકીય રોટલો સેકી લેવામાં એટલા સ્વાર્થી બની જતાં હોય છે કે પોતાનો સ્વધર્મ જ ચૂકી જતાં હોય છે. ગીતાના ‘ફળ વિના કર્મ કરો’નો ઉપદેશ પણ ક્યાંથી યાદ આવે?! પોતાના અસ્તિત્વ વિના કોઈ ધર્મ ટકી શકતો નથી આટલી સીધી સાદી વાત મરકસમાં ભેગા થયેલાં હજારો લોકોને ન આવી? આને અજ્ઞાનતા, ભ્રષ્ટ કે વિપરીત બુદ્ધિ સિવાય બીજું શું કહી શકાય?
ઘણી વખત સંશાધનો કરતાંયે ‘સમજદારીભર્યું’ વર્તન મોટી શક્તિ અને ક્ષમતા બની જતાં હોય છે. હાલની સ્થિતિ એવી જ છે. એકાદ કે થોડા લોકોની અવળચંડાઈ નાવને ડૂબાડી શકે તેમ છે. દેશના નેતૃત્વ પર વિશ્વાસ રાખીને તેમના આદેશોનું પાલન કરો, બસ! 


- ડૉ.વિજય મનુ પટેલ

Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...