Monday, 21 October 2013
Monday, 16 September 2013
જાહેર ઉત્સવો અને ઉજવણીની શિસ્તબદ્ધતા
સર, હું કાલે સ્કૂલે નથી આવવાનો!, ...અરે હમણાં ક્યાં
પરીક્ષા ગોઠવી તમે સર?! આવા વાક્યો ખાસ કરીને શાળાના
વિદ્યાર્થીઓ પાસે સાંભળ્યા છે. અને તે પણ આજકાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે તેના
સંદર્ભમાં. જો કે આની કોઈ નવાઈ નથી કેમ કે થોડા દિવસો પછી નવરાત્રીના સંદર્ભમાં પણ
તે સાંભળવા મળશે. આ બધા પર્વોમાં માત્ર શાળાના જ નહી પણ કોલેજમાં ભણતા અને ન ભણતા
કેટલાક યુવાનોને મઝા જ કરવી હોય છે. ઘણુખરું આવા યુવાનો ગણપતિ બાપા કે અંબે માતાના
નામે પોતાને ભણવામાંથી અળગા કરવાનું બહાનું બનાવી લેતા હોય છે. આજે ઉત્સવોની
ઉજવણીના સંદર્ભમાં જ થોડું વિચારીએ.
લોકમાન્ય
ટિળકે લોકોને સામૂહિક રીતે એકબીજા સાથે જોડવા માટે ગણેશોત્સવની શરૂઆત કરી હતી.
એકમેકના સહકારથી પેદા થતી તાકાતનો પરચો અંગ્રેજ સરકારને બતાવવાની તેમની ગણતરી હતી.
પણ આજકાલ તો આ ઉત્સવમાં જાણે એક જૂથ બીજા જૂથ સામે લડવા માટે તૈયાર હોય છે. ભલા, અમારા ગણેશ કરતાં બીજાના ગણેશ વધુ સારા કેમ
હોય ?! આવી હીન ભાવનાને લીધે આ શહેર સહિત દેશના કેટલાયે
સ્થળોએ ગણેશ મંડળો વચ્ચે વૈમનસ્ય અને લડાઈના અનેક બનાવો બની ચૂક્યા હશે.
જ્યારે
સમાજમાં બળાત્કાર,
ચોરી-લૂંટફાટ, કે મારામારીના બનાવો થાય ત્યારે જ બધા બૂમાબૂમ
કરે છે કે આ બધા તત્વોને સરકાર નાથતી કેમ નથી? પણ ભલા માણસો
આ તત્વો આવે છે ક્યાંથી? આપણાં સમાજમાંથી જ ને? આપણી જ આસપાસ વસતા કોઈ ઘરોમાંથી જ પેદા થાય છે ને?
વળી આવો ઉત્પાત કઈં રાતોરાત નથી થતો. એના બીજ તો જાણ્યે-અજાણ્યે શાળાઓમાં ભણતી
વખતે જ રોપાઈ જતાં હોય છે!
ગણેશોત્સવમાં
જોડાનાર વડીલોમાં તો કદાચ ધાર્મિક શ્રદ્ધાનું તત્વ હશે. પણ યુવાનોમાં? ખાસ
નહિ. મોટેભાગે તેમનો રસ ઢોલ-નગારા પીટવામાં, ગીતો પર
નાચવામાં કે થોડા દિવસો સુધી ભેગા મળીને ગપસપ કરવામાં વધુ હોય છે. આ યુવાનોના
મા-બાપ એવું માની લેતાં હોય છે કે થોડા દિવસો માટે અમારા છોકરાઓ ધાર્મિક
પ્રવૃત્તિમાં જોડાશે તો એ બહાને કઈંક સુધારો થશે. પણ એ તેઓનો ભ્રમ હોય છે. કોઈપણ
પ્રવુત્તિ પાછળની પૌરાણિક કે વૈજ્ઞાનિક માહિતી-જાણકારી વિના કોઈ મૂલ્યો આપોઆપ
સંસ્કરિત નથી થતાં. શાળાઓમાં પણ વર્ષોથી વિદ્યાર્થીઓને
ઉત્સવો સંબંધિત પાઠો ભણાવાય છે. જે તે ઉત્સવ ક્યાં, કેવી
રીતે ઉજવાય અને તેનું મહત્વ શું જેવી બાબતો તેમાં હોય. પછી પાઠ પૂરો થઈ જાય એટલે
પ્રશ્નપત્રમાં એ વિશે પ્રશ્ન પૂછાય, વિદ્યાર્થી ઉત્તર લખે ને
ગુણ અપાઇ જાય એટલે શિક્ષકનું કામ પૂરું થઈ જાય. પણ ઉત્સવોમાં સ્ત્રીઓ પ્રત્યે
કુદ્રષ્ટિ ન થાય, જરૂર હોય ત્યાં પગરખા સાથે ન જવાય, કચરો ગમે ત્યાં ન ફેંકાય, વીજળીનો મર્યાદિત વપરાશ જ
કરવાનો અને ઢોલ-નગારાને અમર્યાદિતપણે ન જ વગાડાય વગેરે બાબતો વિશે આ પાઠોમાં
ભાગ્યેજ ઉલ્લેખ જોવા મળે છે! વળી, શિક્ષકો, મા-બાપો અને કહેવાતા ધર્મગુરુઓ તરફથી પણ આવું ભાગ્યે જ શીખવાય છે.
ઉત્સવો
ટાઈમપાસ કે મનોરંજનના હેતુ માટે નથી જ હોતા. તેમાં મનુષ્યની ઉર્જાને હકારાત્મક
રીતે શાંત પાડવાનો અને સમાજ તરફી બનાવવાવનો ઉદ્દેશ રહેલો હોય છે. પણ ગણેશોત્સવમાં
શું થાય છે? લોકોની
ટ્રાફિકની મુશ્કેલી વધે છે કેમ કે મંડપો જાહેર રસ્તા પર બાંધવામાં આવે છે! એકબાજુ
પેટ્રોલ મોંઘું થયાની બુમરાણ મચાવીએ અને બીજી બાજુ ટ્રાફિકને અડચણ અને મંડપોમાં
વીજળીનો વપરાશ વધારીને આપણે કેવી વિચિત્ર વ્યવસ્થા અપનાવીએ છીએ?! આમ તો આ ઉત્સવને આપણે સામૂહિક કહીએ છીએ પણ માંડ ૫૦ મીટરના અંતરે એક-એક કરતાં
અનેક ગણેશ મંડપો ઊભા થઈ જાય ત્યારે સમૂહનો અર્થ શો તારવવો?
ગણેશજીનો ધર્મ વાડા ઊભા કરવાનું શીખવે છે કે આસપાસની શેરી-મહોલ્લા-સોસાયટીઓને ભેગા
કરીને ભાઈચારો કેળવવાનું શીખવે છે? ગણેશને આપણે વિઘ્નનાશક, વિઘ્નહર્તા, વિઘ્ન વિનાશન તરીકે ઓળખાવ્યા પણ આપની
જાતને વિઘ્નકર્તા અને વિઘ્નસર્જક બનાવી દીધી! ઉત્સવમાં સામેલ થનારા સૌ આ વિચારે.
હા, આ ઉત્સવનું આર્થિક મૂલ્ય ઘણું છે. તેની
ઉજવણી થકી કેટલાય લોકો(મંડપ, વીજળી,
સંગીત વગેરે સાથે જોડાયેલ)ને રોજગારી મળે છે. સંઘરાયેલું કાળુ નાણું બહાર આવે છે, અને એવા નાણાંનો સમાજોપયોગી કાર્યોમાં ઉપયોગ થાય તો અર્થશાસ્ત્રીઓને પણ
આનંદ થાય! આર્થિક શુષ્કતા કે અર્થતંત્રની મંદીનું વિઘ્ન દૂર કરવામાં ગણેશજીનું
આગમન સાચા અર્થમાં તેમને વિધ્નહર્તા બનાવે છે. પણ વાંધો ગણેશજીના યુવાન ભક્તો સામે
છે. આ યુવાનો બહુધા શાળા-કોલેજના વિદ્યાર્થીઓ છે.
ઈદ સમિતિ, રથયાત્રા, કે ગણેશ
સમિતિ સાથે સંકળાયેલા બધા જ યુવાનો ઉપદ્રવી નથી હોતા. ગણેશોત્સવના સમય દરમ્યાન
અનેક સમજોપયોગી પ્રવૃત્તિઓ કરનારા યુવક મંડળો હોય છે, પણ એ
બહુ અલ્પ સંખ્યામાં છે. જ્યાં આવા સામૂહિક પર્વોમાં વડીલો,
શિક્ષિતોની સામેલગીરી ઓછી ત્યાં ઉત્સવો ધતિંગ બની રહેવાના ચાન્સ વધુ. ગણેશોત્સવ, નવરાત્ર, હોળી, કે ઈદ જેવા
પર્વોની ઉજવણીમાં જ્યારે સમાજના અગ્રણી વડીલો દૂર રહે છે ત્યારે એવા કાર્યક્રમો
માત્ર મોજશોખ અને ક્યારેક હલકા મનોરંજનથી વિશેષ બંતા નથી. પણ મુશ્કેલી એ છે કે નવી
પેઢીને વડીલોની આમન્યા ઓછી રાખવી છે અને પોતાની રીતે જીવવું વધારે છે! આવી
દ્વિધામાં કહેવાતા સજ્જનો દૂર રહે છે, પરિણામે ધર્મ એકતાને
બદલે ભાગલાનું ઝેર પ્રસરાવવાનું નિમિત્ત બની જાય છે. તો પછી આવા ઉત્સવો ઉજવવાનું
બંધ નહીં કરી દેવું જોઈએ?
ધાર્મિક
ઝનૂનતા,
અંધશ્રદ્ધા કે દૂષ્પ્રચારને અટકાવીને માત્ર માનવધર્મને અગ્રિમતા આપવાનો સંદેશ કોઈપણ
ધાર્મિક તહેવારોમાં વહેતો રહેવો જોઈએ. બધા ધર્મ અને સંપ્રદાયો સાથે સંકળાયેલા
પ્રબુદ્ધજનોએ બદલાતા સમય સાથે પોતાના
મૂલ્યોને પણ બદલવા જ જોઈએ, અને પ્રશાસનમાં દખલ કરવામાંથી
અળગા રહેવું પડશે. ધાર્મિક સરઘસ, યાત્રા, ઉજવણી અંગે ચોક્કસ પ્રકારની માર્ગદર્શિકા(ગાઈડલાઇન્સ) તૈયાર કરવામાં સૌએ
સહયોગ આપવો પડશે. અને પ્રશાસન પણ તેને સખ્તાઈપૂર્વક અમલ
કરવાની તત્પરતા દાખવશે તો જ સાચા અર્થમાં ગણેશોત્સવ ‘વિઘ્નહર્તા’, ઈદ ‘ખુશામદીદ’ અને ક્રિસ્ટમસ ‘હેપ્પી’ બનશે. સૌને માટે!
અંતમાં, તહેવારો વિશે કાકાસાહેબ કાલેલકરના વિચારો
વાગોળી છૂટા પડીએ: તહેવારો દ્વારા જ આપણે સંસ્કૃતિના કેટલાક અંગોને સારી રીતે
જાળવી અને ખીલવી શકીએ છીએ; વિશિષ્ટ પ્રસંગો અને તેનું મહત્વ
સ્મરણમાં રાખી શકીએ છીએ; ઋતુના ફેરફાર પ્રમાણે જીવનમાં અમુક ફેરફારો
યથાકાળે સંકલ્પપૂર્વક શરૂ કરી શકીએ છીએ; અને સામાજિક જીવનમાં પરસ્પર સહકાર સાથે એકતા આણી શકીએ છીએ. તો સૌને श्री
गणेशाय नमः।
-ડૉ. વિજય મનુ પટેલ(ગુજરાત ગાર્ડિયન અખબારમાં છપાયેલ લેખ તા-16/9/13)
Tuesday, 27 August 2013
Celebration of Janmastami
જન્માષ્ટમીએ પ્રણ લઈએ, એક કનૈયાને ભણાવીએ!
જગત ઉદ્ધારક શ્રીકૃષ્ણના જન્મદિનની ઉજવણી થાય તેના અઠવાડીયા
પૂર્વે જ લોકોને વહેમ-અંધશ્રદ્ધાની નાગચૂડમાંથી બહાર લાવવા માટે લગભગ ૧૮ વર્ષથી
લોકશિક્ષણનું કામ કરનારા શ્રી નરેન્દ્ર દાભોલકરની મહારાષ્ટ્રમાં હત્યા કરી દેવામાં
આવી. સમાજને અજ્ઞાન અને અંધશ્રદ્ધાના અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનારા એ
મૃતાત્માને શ્રદ્ધાંજલિ આપી આજના વિષય તરફ આગળ વધીએ.
કૃષ્ણના જન્મદિનને વળી શિક્ષણ સાથે શું
લેવા-દેવા એવો પ્રશ્ન આપને જરૂર થયો હશે. પ્રત્યક્ષ રીતે જુઓ તો કઈં જ નથી. કેમ કે, કૃષ્ણએ કઈ શાળા કે કૉલેજમાંથી વૈધિક શિક્ષણ
લીધું હતું અને તેમણે શાનો ધંધો કે વ્યવસાય કર્યો હતો તેવી કોઈ ચર્ચા પુરાણોમાં
નથી! છતાં, આજે એવા અનેક કૃષ્ણ વિશે વાત કરવી છે કે જેઓ
દિવ્ય આત્માઓ નથી. માત્ર સામાન્ય મનુષ્ય તરીકે આ ધરતી પર અવતર્યા છે.
વર્ષો પહેલા હું
ભણેલો એવી સુરેશ જોશીની નવલિકા ‘જન્મોત્સવ’નું મને અત્યારે ઝાંખું સ્મરણ થાય છે. જેમાં લેખકે એક તરફ ભદ્ર વર્ગના એક ઘરમાં અને બીજી તરફ ગરીબ વર્ગના એક ઝૂપડામાં
કૃષ્ણના જન્મની ઉજવણીના વિષય વસ્તુને બહુ જ માર્મિક રીતે રજૂ કરેલ છે. થોડા દિવસ
પછી ફરી એ જ કૃષ્ણના જન્મનો દિવસ છે. શાળા-કોલેજના યુવાનો પોતપોતાની રીતે એને
ઉજવશે. પણ દેશના એવા કનૈયાઓને યાદ કરવા છે જેનું બાળપણ ભગવાન કૃષ્ણ જેવું નથી.
દર વર્ષે કાલ્પનિક કૃષ્ણના જન્મનો મહોત્સવ મનાવાય છે. પણ દેશમાં એ જ સમયે
હજારો વાસ્તવિક કૃષ્ણના જન્મો થાય છે. અર્થવ્યવસ્થાની ખામીને લીધે આ વાસ્તવિક
કનૈયાઓમાંથી ઘણાબધા પોતાની જન્મ તિથિ ઉજવવા માટે નશીબદાર નથી હોતાં. ગરીબી નામે
ઓળખાતી સ્થિતિને લીધે આ કનૈયાઓના ભાગ્યમાં પેલા કૃષ્ણ પાસે હતું તેવું માખણ તો શું
દૂધ પણ ઉપલબ્ધ નથી, અને મહેલ તો શું સારું ઝૂપડું પણ નથી
ત્યારે આપણે તેઓના જીવનને શિક્ષણ-આરોગ્યની સુટેવો અને કૌશલ્યોથી અજવાળવાનું છે. બસ
એ રીતે દિવ્ય કૃષ્ણના આ જન્મદિનને ઉજવવાનો છે.
કૃષ્ણના
જન્મનો ઉત્સવ એક અનોખા વ્યક્તિત્વનો પરિચય મેળવવાનો દિવસ છે. કૃષ્ણનું બાળપણ
ગોવાળિયા(ગરીબ લોકો) સાથે વીત્યું. તેમની મૈત્રી સુદામા(ગરીબ માણસ) સાથે હતી.
કારાવાસની અંધારી કોટડીમાં જન્મ્યા અને ગોકુળની સામાન્ય પ્રજાને વરસાદથી બચાવવા
માટે ગોવર્ધન પર્વત પણ ઊંચક્યો. પ્રજાભિમુખ કાર્યો દ્વારા તેમણે એ સાબિત કર્યું કે
બહુજન લોકોમાં પ્રિય થવું હોય તો આમ આદમીની ચિંતા કરવી, તેઓની સાથે રહેવું. (આપણા નેતાઓ આ સત્ય
સમજે તો સારું!) જો કૃષ્ણ સ્વયં નિમ્ન આવકવાળા-ઓછા વિકસિત લોકોના સહવાસમાં રહીને
જીવ્યા હોય તો પછી આપણે એમના જન્મને આવા લોકોના ઉત્કર્ષ માટેના કામ કરીને કેમ ન
ઉજવીએ?! આ દિવસે કોઈ એક ગરીબ બાળકને ભણાવવાનું કાર્ય કરીએ તો?
આ દિવસે
વ્યક્તિગત રીતે ભલે લોકો ઘરમાં કૃષ્ણમય બને કે મંદિરમાં જઈ સામૂહિક રીતે કૃષ્ણના
જન્મનો દિવસ મનાવે. પણ શૈક્ષણિક સંસ્થાઓ હવે તેને નોખી રીતે ઉજવે. શાળા-કોલેજમાં
બુલેટિન બોર્ડ શણગાર થાય, મટકી ફોડ કાર્યક્રમ આયોજિત થાય કે કૃષ્ણ વિશેના ગીતોનો ગુંજારવ થાય એ બધા
પારંપરિક અને રૂઢિગત આયોજનો ગણાય. આપણે આવું કરીએ તો?
કૃષ્ણના
જન્મદિન પછીના સપ્તાહમાં આપણી આસપાસ રહેતા એ દુર્ભાગ્ય કનૈયાઓમાંથી કેટલાકની
મુલાકાત ગોઠવવાનું કામ આપણાં વિદ્યાર્થીઓને સોંપીએ. વિદ્યાર્થીઓ તેમની સાથે બે-ત્રણ
મુલાકાતની વાતચીત દ્વારા તેમને ભણવા માટે પ્રોત્સાહિત કરે. ચિત્રોવાળી ચોપડીઓ
દ્વારા તેઓની સાથે અભ્યાસલક્ષી ચર્ચા કરે અને એવા વંચિત કનૈયાઓ સાથેના ફોટા અને
અનુભવોને શાળાના અન્ય વિદ્યાર્થીઓ સાથે વહેંચે! એક નવા પ્રકારનો આ ઉપક્રમ બનશે.
કૃષ્ણના જન્મને કદાચ આ રીતે વધુ સાર્થક રીતે ઉજવ્યાનો આનંદ મળશે. સંચાલકો-આચાર્યો, આ બાબતે આપ શું વિચારો છો?
બીજા
પ્રકારના એક કાર્યક્રમ માટે શાળા કે કોલેજના વિદ્યાર્થીઓ આમ વિચારી શકે. ભગવાન
કૃષ્ણના જીવનના સામાન્ય લોકો સાથે વીતાવેલાં પ્રસંગોને વણીને દસ-પંદર મિનિટની
સ્ક્રીપ્ટ તૈયાર કરવામાં આવે અને તેને નગરપ્રાથમિક, જિલ્લા પંચાયત કે મહાનગરપાલિકાના વિદ્યાર્થીઓ સમક્ષ ભજવવામાં
આવે. આનાથી સમાજના પછાત ગણાતા બાળકો(વિદ્યાર્થીઓ) સાથે અનુબંધ સ્થપાશે. આ પ્રવૃતિ
દ્વારા કૃષ્ણ જીવનના કેટલાક સારા મૂલ્યોનું શિક્ષણ આપવાનું સદ્કર્મ વિદ્યાર્થી-શિક્ષકો
દ્વારા શક્ય બનશે. શિક્ષણ થકી આવા કનૈયાઓના જીવનને અજવાળવાનું સાચા અર્થમાં
નિમિત્ત બનશે.
જન્માષ્ટમીના
અવસરે સમાજસેવી સંસ્થાઓ દ્વારા જરૂરિયાતની વસ્તુઓનું મફત વિતરણ થાય કે રક્તદાન
કાર્યક્રમો થાય તે તો આવકારપાત્ર છે, પરંતુ શાળા-કોલેજો આવા તહેવારોની ઉજવણી બાબતે ચીલાચાલુ ઘરેડમાથી બહાર જ
નથી આવતી. આ લેખ દ્વારા તેઓને નવો માર્ગ સુઝાડવાનો પ્રયાસ છે. શક્ય છે કેટલાકને
માટે એ પ્રેણાદાયી બને, કેટલાકને માટે માત્ર શબ્દો જ બની
રહે. પણ એક વાત ચોક્કસ છે કે આપણી આસપાસના
લોકોને સુખી, પ્રસન્ન કે સંતુષ્ટ રાખ્યા વિના આપણે એકલાં કે
થોડા લોકો જ જીવનનો સાચો આનંદ લૂંટી શકતા નથી!
ભારતીય બંધારણે
૬થી ૧૪ વર્ષના બાળકોને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો હક્ક આપ્યો છે. અને તેને
પૂરી કરવાની જવાબદારી રાજ્ય સરકારો પર નાંખવામાં આવી છે. દેશના બાળકોને ભણતાં કરવા
સરકાર અનેક અભિયાનો અને કાર્યક્રમો યોજે છે છતાં એ હકીકત છે કે ભારતમાં દર સો
બાળકોમાંથી ૧૯ શાળાથી સંપૂર્ણ વંચિત રહે છે. જેઓ શાળામાં જોડાય છે તેવા સો માંથી
સિત્તેર માધ્યમિક સુધી પહોંચ્યા પહેલા જ શાળા છોડી દે છે. આવા શાળા છોડી દેતાં સો
બાળકોમાં ૬૬ છોકરીઓ હોય છે! (રાધા કૈસે ન જલે?!)
મિત્રો, વિશ્વના ૫ થી ૧૪ વર્ષના બાળકોમાં દર છ
માંથી એક બાળમજૂર છે. ભારતની ૨૦૦૧ની વસ્તી ગણતરી મુજબ ૫ થી ૧૪ વર્ષના ૨૫.૨ કરોડ (વસ્તીના લગભગ ૨૫
ટકા!) બાળકો હતા, જેમાંથી ૧.૨૬ કરોડ બાળમજૂરો હતા! જે દેશમાં
સાચુકલા કનૈયાઓની સ્થિતિ આવી દયાપાત્ર હોય ત્યાં ભલે એક દિવસ પેલા દિવ્ય કૃષ્ણને
યાદ કરીએ, કૃષ્ણમય થઈએ પણ બાકીના દિવસોમાં આ કનૈયાઓ માટે
સારું કામ તો કરીએ ને? સરકારી વિભાગો,
સમાજ સેવા ટ્રસ્ટ, NGO’s વગેરે સમાજના
ઉત્થાન માટે કામ કરતાં જ રહે છે. હવે, શૈક્ષણિક સંસ્થાઓએ થઈ
શકે તેવું અને તેટલું કામ કરવાનું રહે છે. દરેક પોતપોતાની રીતે એવું આયોજન કરે, અમલમાં મૂકે અને કૃષ્ણ ભકિતને સાર્થક કરે. चलो! यूं करें किसी गरीबको पढ़ाया
जाये, जन्मोत्सव को इसी तरह मनाया जाये..!
-ડૉ.વિજય મનુ પટેલ (ગુજરાત ગાર્ડિયન અખબારમાં છપાયેલ લેખ તા: 27/8/13)
Saturday, 24 August 2013
My Gujarati Poem
પરિવર્તન
થીજેલાં બરફમાં હૂંફ,
ને ગરમ ચા માં ઠંડક અનુભવાય
એ તો અજુગતું કહેવાય.
લોકો કહે છે અલ્યા,
આને જ ગ્લોબલ વોર્મિંગ કહેવાય!
.................
તો પછી,
કાગળના ફૂલોને સાચુકલા માને
ને માણસને રૉબૉટ,
પત્નીને સમજે પડોશણ
ને પડોશીને પ્રિયતમ
એને શું કહેવાય?
ગ્લોબલ ચાર્મિંગ
કે સોશ્યલ વોર્નિંગ?!
-ડૉ. વિજય મનુ પટેલ
Saturday, 17 August 2013
મારા પ્રથમ પુસ્તકનું લોકાર્પણ
મારા પ્રથમ પુસ્તકનું લોકાર્પણ
મિત્રો,
વાણિજ્ય શિક્ષણની
વિસ્તરતી ક્ષિતિજમાં રોજબરોજ નવી નવી માહિતી ઉમેરાતી રહે છે. આવી માહિતીઓથી
વાણિજયના વિદ્યાર્થીઓ વાકેફ રહે અને નવી સંકલ્પનાઓનો પરિચય મેળવતા રહે તેવા આશયથી ‘આર્થિક-વાણિજ્યિક
પરિભાષા’ નામના એક પુસ્તકનું મેં લેખન કર્યું, જેને અક્ષરા પ્રકાશન(અમદાવાદ) દ્વારા બજારમાં મૂકવામાં આવ્યું છે. આ પુસ્તક ધોરણ નવથી કોલેજ સુધીના
વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને પણ ઉપયોગી થાય તેવું છે. મેં આ પુસ્તકમાં અર્થશાસ્ત્ર અને વાણિજ્ય
સંબંધિત કેટલાક નવા શબ્દો સહિત 300 શબ્દોને સંક્ષિપ્તમાં સમજાવ્યા છે. ગુજરાતી
ભાષામાં આવું પુસ્તક નજીકના ભૂતકાળમાં પ્રકાશિત થયું હોવાની મારી જાણમાં નથી. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળદ્વારા તૈયાર થયેલ ધોરણ 11,12 અર્થશાસ્ત્ર વિષયના પુસ્તકનાં લેખક તરીકે કાર્ય કર્યા બાદ મારું આ સ્વતંત્ર પ્રકાશન છે.
મારા આ સૌપ્રથમ
પુસ્તકનું વિમોચન ડૉ. આકાશ આચાર્ય(સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ, સુરત) અને મેજર ઉન્મેષ
પંડ્યા (આર્ટ્સ, કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ, ખોલવડ)
દ્વારા ૧૪મી ઓગસ્ટના રોજ આંબેડકર ભવન, સુરત ખાતે સો થી વધુ
પ્રબુદ્ધ અને શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલ લોકોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. આ
પ્રસંગે ડૉ. આકાશ આચાર્ય અને મેજર ઉન્મેષ પંડ્યાએ ભારતીય અર્થતંત્ર સંબંધિત
પોતાના વિદ્વતાપૂર્ણ વિચારો રજૂ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી
મહારુદ્ર શર્મા તથા ડૉ. ધર્મેન્દ્ર શેઠે સંભાળ્યું હતું. માણો થોડી ઝલક ઉપરના ફોટાઓ દ્વારા...
Subscribe to:
Posts (Atom)
Featured post
પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!
એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી: ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...
-
UAE ની વિદેશ યાત્રાનું ચિંતન ત્રેપન વર્ષ સુધી દિવાળીમાં ઘરે જ રહેવાનું બન્યું હતું. સમજણ આવી પછીયે દિવાળી ક...
-
મિત્રો, દેશ બદલાઈ રહ્યો છે પણ શિક્ષણમાં જોઇએ તેવું પરિવર્તન દેખાતું નથી! આજે વર્તમાન શિક્ષણ વ્યવસ્થામાં બદલાવ વિશે મારા ક્રાન્તિકા...
-
શિક્ષક-વાલી સંવાદ: સર્વાંગી વિકાસની અનિવાર્યતા રજાના એ દિવસે હળવા મૂડમાં કેટલાક શિક્ષક-આચાર્ય ભેગા મળ્યા હતાં ...
-
ભારતમાં આર્થિક વિકાસ માટે જેમ પંચવર્ષીય યોજનાઓ અમલમાં આવે છે તેમ દેશના શૈક્ષણિક માળખાની રૂપરેખા નક્કી કરવા મ...
-
અર્થશાસ્ત્રીઓ અને પર્યાવરણશાસ્ત્રીઓ ટકાઉ વિકાસ ( Sustainable Growth) ની વાત કરે છે , ને સમાજશાસ્ત્રી અને શિક્ષણવિદ્દો ગુણવત...








