Monday, 13 May 2013

પીએચ.ડી., એમ.ફીલ. કે ઉચ્ચ શિક્ષણની ગુણવત્તાનું શું?!




       થોડા વર્ષો પહેલા અને આજે પણ વિજ્ઞાનનો વિદ્યાર્થી કોઈ વડીલને પૂછે કે હવે આગળ શું ભણવું જોઈએ?’ તો મહદંશે આમ જ સંભળાતું અને સંભળાય છે કે ડોક્ટર કે એન્જિનિયર થજે! અને વળી કોઈ વાણિજયનો વિદ્યાર્થી આવું પૂછે તો તેને ભાગે જવાબ આવતો હોય છે સી.એ. થઈ જા! આર્ટ્સનો કોઈ વિદ્યાર્થી પૂછે તો કહેવાતું પ્રોફેસર થજે! પાછલા વર્ષોમાં શિક્ષણ જગતમાં અભ્યાસક્રમો, સંસ્થાઓ, પદ્ધતિઓ વગેરે બાબતે એટલું પરિવર્તન આવ્યું છે કે વિદ્યાર્થીઓને આવો જવાબ હવે કન્ફ્યુઝ કરે છે. ઈજનેરી, મેડિકલ, મેનેજમેન્ટ, મીડિયા, શિક્ષણ વગેરે ક્ષેત્રના અભ્યાસક્રમોનું એટલું સ્પેશ્યલાઇઝેશન થઈ ગયું છે કે જાણકારી વિના બોલવું એટલે જૂઠું બોલ્યા બરાબર જ ગણાય.
        લોકો ભણવા માંગે છે. વધુ સારું ભણવા માંગે છે એ પરિવર્તન ભલે ધીમું ચાલી રહ્યું છે. પણ છેલ્લા થોડા વર્ષોમાં સરકાર દ્વારા જે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા તેની નોંધ લેવી જ પડે. પ્રાથમિક શિક્ષણને વેગવંતુ બનાવનારું સર્વ શિક્ષા અભિયાન, માધ્યમિક શિક્ષણ સજ્જતા માટેનું રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન(RMSA) અને ઉચ્ચ શિક્ષણને વધુ સક્ષમ બનાવવા માટેનું રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન(RUSA) એ બાબતની ગવાહી છે કે ભારતમાં સરકાર તરફથી શિક્ષણને વધુ લોકભોગ્ય બનાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. આજે થોડી વાત ઉચ્ચ શિક્ષણ અને થોડા પ્રશ્નો વિશે વાત કરીએ.

        બારમી અને તેરમી પંચવર્ષીય યોજનાઓમાં ઉચ્ચ શિક્ષણ માટે RUSA અંતર્ગત 98983 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ અભિયાનનો હેતુ 2022-23 સુધીમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે અભ્યાસ માટેની નોંધણીને 32 ટકા સુધી પહોંચાડવાનો છે. હાલમાં આ પ્રમાણ લગભગ 20 ટકા જેટલું છે. ભારતીય માનવ સંસાધન વિભાગનું કહેવું છે કે આ ટકાવારીનો આધાર દેશની 286 રાજ્ય યુનિવર્સિટિઓ અને તેની હજારો કોલેજો પર રહેલો છે. રાજ્યો દ્વારા આ સંસ્થાઓને ખૂબ જ ઓછા પ્રમાણમાં નાણાં ફાળવાય છે, જે રાજ્યની કાચી આંતરિક પેદાશ(GDSP)ના લગભગ અડધા ટકા જેટલી જ છે! મહારાષ્ટ્ર અને ઝારખંડ આ માટે માત્ર 0.14 ટકા રકમ જ ખર્ચે છે. દેશમાં આવેલી 286 રાજ્ય યુનિવર્સિટિઓમાથી 104 જેટલી તો યુ.જી.સી. પાસેથી કોઈ જ ફંડ મેળવતી નથી અને કેન્દ્ર, રાજ્ય તથા ખાનગી મળીને કુલ 35539 કોલેજોમાથી માત્ર 6787 કોલેજો જ કેન્દ્ર સરકાર પાસેથી ફંડ મેળવે છે. બાકીની જે મેળવે છે તે પણ પૂરતું નથી હોતું.
        આ અભિયાન દ્વારા સરકાર આ ગેપને પૂરવાનો પ્રયાસ કરશે. તેના સૂચિત કાર્યક્રમોમાં દેશના શૈક્ષણિક રીતે પછાત એવા 374 જિલ્લાઓમાં ડિગ્રી કોલેજોની સ્થાપના કરવામાં આવશે, અને જે તે રાજયમાં આવી નવી સંસ્થાઓના નિર્માણ કે પ્રવર્તમાન સંસ્થાઓના વિસ્તરણ માટે રાજ્યોને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવશે. આ અભિયાન અંતર્ગત કેન્દ્ર-રાજ્યો વચ્ચે નાણાકીય ફાળવણી આ મુજબ થશે. ઉત્તર-પૂર્વ રાજ્યો માટે 90:10, ઉત્તરાખંડ-હિમાચલ માટે 75:25, અને બાકીના રાજ્યો માટે 65:35 પ્રમાણે નાણાકીય ફાળવણી કરવામાં આવશે.
        ઉચ્ચ શિક્ષણના આ મહા કાર્યક્રમમાં ભ્રષ્ટાચાર થશે કે નહીં? કેટલો થશે? એ ચર્ચામાં આપણે જતાં નથી. પણ એટલું તો વિચારી શકીએ કે આવનારા વર્ષોમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પ્રાધ્યાપકોની મોટી માંગ સર્જાશે. અને તેથી એમ.ફીલ., પીએચ.ડી., કે નેટ ઉમેદવારોનું ભવિષ્ય ઉજ્જવળ બનશે. ઑલ ઈન્ડિયા સર્વે ઑન હાયર એજ્યુકેશન મુજબ ભારતમાં 2010-11માં એમ.ફીલ. માટે 18456 ઉમેદવારો, જ્યારે પીએચ.ડી. માટે 62281 ઉમેદવારો નોંધાયેલા હતા. સ્વાભાવિક છે કે હાલમાં આ સંખ્યા વધી જ હશે.
        પણ, પણ સાંભળો હવે. કેટલાક શોર્ટકટ્સ દ્વારા આવી ડિગ્રીઓ મેળવાતી હોવાનું પોલાણ યુ.જી.સી.ના ધ્યાનમાં આવ્યું છે. તેથી આવી ઉચ્ચ પદવીઓને આડેધડ આપનારી યુનિવર્સિટિઓ સામે કડક વલણ અપનાવામાં આવ્યું છે. તેમણે દેશભરની તમામે તમામ પ્રકારની યુનિવર્સિટિઓને પોતાને ત્યાં એમ.ફીલ. અને પીએચ.ડી.ના ઉમેદવારોની નોંધણી અને તેમને કેવી રીતે પદવી આપવામાં આવી હતી તે અંગેની માહિતી ચાર અઠવાડિયાની અંદર મંગાવી છે. યુ.જી.સી.ના ચેરમેન શ્રી વેદપ્રકાશે 430 યુનિવર્સિટીના ઉપકુલપતિઓને લખેલા પત્રમાં જણાવ્યુ છે કે આવી પદવી આપતા પહેલા યુ.જી.સી.ના કાયદા-2009ની ભલામણો પર અચૂક ધ્યાન આપવામાં આવે.
        તેમાં એ બાબતની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે મહાનિબંધ(Thesis)નું મૂલ્યાંકન ઓછામાં ઓછા બે તજજ્ઞો (જેમાં એક રાજ્ય કે દેશની બહારના હોય) દ્વારા થવું જોઈએ. આ ઉપરાંત થીસીસના સબમીશન પહેલા ઉમેદવારે સંશોધન અહેવાલોનો કેટલો ઉપયોગ કર્યો છે તેની ચર્ચા પણ મૌખિક મૂલ્યાંકન(viva voce) વખતે થવી જ જોઈએ.
        જે તે ક્ષેત્રના નિષ્ણાતો નહી મળતા હોવાના કારણો ધરીને, કેટલીક યુનિવેર્સિટીઓ દ્વારા રાજ્ય કે દેશ બહારના નિષ્ણાતો થકી થીસીસનું મૂલ્યાંકન જ કરવામાં આવતું નહોતું! તામિલનાડુ સ્ટેટ એકેડેમિક ઓડિટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સીલના ચેરમેન એસ.પી. થીયાગરાજને આ સંદર્ભમા જ ટકોર કરી છે કે, હવે વિદ્યાર્થીઓ ઈ-મેઈલ દ્વારા વિદેશી સંશોધકોનો બહુ સારી રીતે સંપર્ક કેળવી શકે છે. તેથી યુનિવેર્સિટીને નિષ્ણાતો મળતા નથીનો દાવો વાસ્તવિક લાગતો નથી. 
        પીએચ.ડી.માં પ્રવેશ માટેના ધસારાને રોકવા માટે હવે પ્રવેશ પરીક્ષા આપવી ફરજિયાત બનાવવામાં આવી છે. આ પરીક્ષાના ગુણાંકને આધારે જે તે ઉમેદવારને લાયક ગણવાનુ પગલું વાજબી લાગે છે, કેમ કે વધુ લાભ કે પ્રતિષ્ઠાના લોભમાં ક્ષમતા વિહોણા લોકો આડેધડ ઘૂસી જાય તો એના પરિણામો સમાજે જ ભોગવવા પડે. એટલે એ દ્રષ્ટિએ આ પરીક્ષા યોગ્ય છે. પણ એ સવાલ તો અનુત્તર જ રહ્યો છે કે મેરીટમાં પસંદ થયેલા આ ઉમેદવારોને યોગ્ય સુવિધા અને યોગ્ય નિષ્ણાત માર્ગદર્શકો ફાળવાય છે ખરા? હાલમાં, કેટલાયે ઉમેદવારો પસંદ થઈને આમતેમ અટવાતા હોવાનું જણાયું છે.       
        વર્ષો પહેલાં સ્થિતિ એવી હતી કે યુનિવર્સિટીના માન્ય માર્ગદર્શકો(Guides)ને ઉમેદવારોની શોધ હતી. આજે પાસા પલટાયા છે. ઢગલેબંધ ઉમેદવારો ઉચ્ચ શિક્ષણ માટે તૈયાર થાય છે ત્યારે માર્ગદર્શકોની તંગી પડી ગઈ છે! સરકારે પ્રવેશ પરીક્ષા દ્વારા ગુણવત્તાલક્ષી ઉમેદવારો તો શોધ્યા, પણ ગુણવત્તાયુક્ત માર્ગદર્શકો વિના યુનિવેર્સિટીઓ ખાલી ખાલી ભાસે છે! બીજા રાજ્યો કે વિદેશના માર્ગદર્શકો સાથે પ્રત્યક્ષ સંવાદ કે મુલાકાતો વિના કેટલું સત્વશીલ માર્ગદર્શન મળે તે પણ વિચારવું પડે તેમ છે. તેથી, આના ઉકેલ માટે યુ.જી.સી.એ તાકીદે કઈંક વિચારવું પડશે. નહિતર?!
        વધુ ભણવાની મહત્વાકાંક્ષા ધરાવતા MBA ગ્રેજ્યુએટને જ્યારે Ph.D. કરવાનું સૂચન કર્યું ત્યારે તેનામાં ખાસ ઉત્સાહ જણાયો નહોતો. કારણ પૂછ્યું તો કહ્યું, ‘...એમાં ટેસ્ટ આપી છે. સારું મેરીટ આવશે તેવી આશા છે, પણ પ્રક્રિયા એટલી ધીમી ચાલે છે કે એના કરતાં તો એકાદ વર્ષનો કોઈ સ્પેશ્યલાઇઝેશન કોર્સ કરી નાખું તો સારું એમ લાગે છે! અધ્યેતાએ ભણવું તો છે પણ સિસ્ટમની અનુકૂળતા સામેનો અવિશ્વાસ એ સૂચવે છે કે ઉચ્ચ શિક્ષણ માટેના સરકારના પ્રયત્નો માત્ર આંતરમાળખાને વિકસાવવા પૂરતા મર્યાદિત ન રહેવા જોઈએ. સંશોધન પ્રવૃતિને વેગ મળે તેવા માનવસંપત્તિના આયોજનને પણ સાથે રાખવું પડશે. એ દિશામાં સરકારી પ્રયત્નો આગળ વધે એવી અપેક્ષા.

                   -ડો. વિજય મનુ પટેલ (ગુજરાત ગાર્ડિયન અખબારમાં છપાયેલ લેખ તા-13/5/13)

Monday, 29 April 2013

હાશ! અરાજક્તાભર્યું શૈક્ષણિક વર્ષ પત્યું!




      બે જુદા જુદા ક્ષેત્રની વ્યક્તિ અજાણતા જ આધાર કાર્ડ મેળવવાની લાઈનમાં ઊભી હતી. વેપારીએ પ્રાધ્યાપકને પૂછ્યું- આ વર્ષ કેવું રહ્યું?’ પ્રાધ્યાપક બોલ્યા, જૂનું છે તે જતું નથી ને નવું કઈં ને કઈં આવ્યા જ કરે છે! તેમણે વાત આગળ ચલાવતાં પ્રશ્ન કર્યો- તમારા ફીલ્ડમાં કેવું છે?’ જવાબ આવ્યો- અમારામાં પણ નવું નવું તો ઘણું આવે છે પણ તે લોકોને મોઘું લાગે છે, ને આજનું નવું કાલે ક્યાં જૂનું થઈને નીકળી જાય છે તેની ખબર જ નથી પડતી બોલો!
        વેપાર અને શિક્ષણ આમ તો બંને સાવ જુદા ક્ષેત્ર છે એટલે એની સરખામણી બહુ યોગ્ય કહેવાય નહી. પણ બેઉમાં એક વાત સામાન્ય રહી છે તે દ્વિધાયુક્ત માહોલ’. વેપારીઓને સમજાતું નથી કે તેજી ચાલે છે કે મંદી? અને વર્ષને અંતે શિક્ષકો-પ્રાધ્યાપકોને સમજાતું નથી કે તેઓએ આખા વર્ષમાં શું કર્યું?! શિક્ષણમાં આ વર્ષ કેવું રહ્યું તેની આજે થોડી ગપસપ કરીએ.
        પ્રાથમિક શિક્ષણમાં અભ્યાસક્રમ બદલાયો, પાઠ્યપુસ્તકો બદલાયા, ધોરણ આઠને પ્રાથમિકમાં સમાવાયું, ધોરણ નવમા શાળાકીય સર્વાંગી મૂલ્યાંકન(SSE) અને સિમેસ્ટર પદ્ધતિ લાગુ થઈ. ધોરણ દસ અને અગિયાર વિજ્ઞાન પ્રવાહમાં પણ સિમેસ્ટર પદ્ધતિ આવી પણ ધોરણ ૧૧,૧૨ વાણિજ્ય અને વિનયન પ્રવાહ જેમના તેમ જ રહ્યા! વળી, વિજ્ઞાન પ્રવાહમાં માત્ર પહેલા અને ત્રીજા સિમેસ્ટરમાં OMR પરીક્ષા લેવાનો નિર્ણય હતો તેમાં ફેરફાર કરીને બીજા-ચોથામાં પણ OMR પ્રશ્નો રાખવાનું ફાઇનલ કરાયું! અંતે પણ આ લોકો ચાર સેમ પૂરા કર્યા પછી પણ ગુજકેટ અને નીટમાં ફીટ થવા દોડતા જ રહ્યાં.
        ધોરણ નવ અને દસમાં ભણાવનારા આખું વર્ષ પરીક્ષા લેવાના કે મૂલ્યાંકનની માથાકૂટમાંથી જ બહાર નહીં આવ્યા. સાઠ વિદ્યાર્થીઓમાં જાતજાતની આવડત અને કુશળતા શોધવાના આ પ્રથમ પ્રયાસે કેટલાયને હાર્ટ એટેક લાવી દીધો! તો વળી ઘણાબધાએ  સરસ રીતે પત્રકોમાં સ્વૈચ્છિક ગુણાંકન(!) કરીને બધું થાળે પાડી દીધું! બીજી તરફ નાપાસ નહી કરવાના અને ડાયરેક્ટ પરીક્ષા આપવાના પ્રકલ્પથી ધોરણ ૧૦, ૧૨ની બોર્ડની પરીક્ષામાં બેસનારાઓ એટલા બધા વધી ગયા કે પુરવણી તપાસનારા શિક્ષકો ઘટી પડ્યા ! પહેલા સરકારે સેલ્ફ ફાઇનાન્સ શાળાઓને એટલી બહેકાવી કે હવે તેના જ સંચાલકો શિક્ષણ ખાતાને એમ કહીને હંફાવી રહ્યાં છે કે, તમે અમારા શિક્ષકોને પગાર નથી ચૂકવતા, તેમની પસંદગીનો અમારો હક્ક છીનવી લો છો તો જાવ જાહેર પરીક્ષાના પેપર તપાસવા અમે પણ શિક્ષકો નહી મોકલીએ, થાય તે કરી લો! આ બેની લડાઈમાં ત્રીજા (શિક્ષકો) ફાવવાનો તો સવાલ નહોતો પણ ઉલટા તેઓ વધારે રિબાયા.
        આ વર્ષે જાણે શિક્ષણ ક્ષેત્રે એટલા બધા સ્પેશિયાલિસ્ટ(!) ડૉક્ટરો વધી ગયા કે જાત જાતના ઈલાજની ગોળી અને ઈંજેક્સન્સ ખાઈ ખાઈને વિદ્યાર્થીઓ અને શિક્ષકોનેય શક્તિને બદલે અશકિત આવી ગઈ છે. નવા પરિવર્તનોથી નવી શક્તિ, નવો ઉત્સાહ આવવાને બદલે શિક્ષકો વિદ્યાર્થીઓને કહેતા રહે છે  કે, અલ્યાઓ! તમે બરાબર ભણજો અમારું તો હવે પૂરું થયું! આ બાજુ બિચારા વિદ્યાર્થીઓ આખું વર્ષ ભણવા કરતાં મૂલ્યાંકન(પરીક્ષા)માં જ એવા ડૂબેલા રહ્યાં કે તેઓ તરવાનું જ ભૂલી ગયા. ખોબો ભરીને અમે એટલું હસ્યા કે કૂવો ભરીને અમે રોઈ પડ્યા!! ક્યા કરે ?!
        ભૂતકાળના વિદ્યાર્થીઓ જ્યારે મળે છે ત્યારે શાળાજીવનના મધૂરા સંસ્મરણોને અચૂક વાગોળે છે. પણ હવે છેલ્લા બે-ત્રણ વર્ષ પહેલાના વિદ્યાર્થીઓ મળે છે ત્યારે એવી વાતો ઓછી થઈ ગઈ છે. કેમ કે હવે શાળા-કોલેજોમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની સૌથી મહત્વની પ્રવૃત્તિ રહી હોય તો તે પરીક્ષા લેવાની અને રિઝલ્ટ આપવાની. સર્વાંગી વિકાસ માટેની સામૂહિક પ્રવુત્તિઓ કે કાર્યક્રમો હવે મોસમ બનીને નહી માત્ર માવઠું બનીને આવે છે. ક્યારેક જ!
        સંચાલકો અને વાલીઓને પણ હવે ઊંચી ઊંચી(મોટી મોટી!) પરીક્ષાઓનો ચસ્કો લાગ્યો હોવાનું જોવા મળ્યું છે. સાતમાનું ગણિત આવડે નહીં ને AIEEE, GRE, NEET વગેરેની તૈયારી શરૂ થઈ જાય! પ્રાથમિકનો પાયો મજબૂત કરવા પર ધ્યાન આપવાને બદલે આ લોકો ઉચ્ચતર શિક્ષણની ફિકર કરવા માંડ્યા છે ભવિષ્યનું આયોજન હોય, પણ પાયો મજબૂત નહીં હોય તો શું? એવું સમજાવતા કહીએ તો કહે છે કે, ‘...કઈં નહીં. સરકારે જ કીધું છે કે પ્રાથમિક શિક્ષણમાં કોઈને નાપાસ નહી કરવાના! બધી ચિંતા સરકારે જ દૂર કરી દીધી પછી અમારે હવે દૂરનું જ વિચારવાનુ રહેને બોલો?’
        આ તરફ વેકેશન પડવાનું એટલે સરકારે શિક્ષકોને માટે અણગમતી(!) પ્રવૃત્તિ તૈયાર રાખી છે. પાંચ દિવસની નિવાસી તાલીમ. એ પણ બે તબક્કામાં. ગુજરાતનાં કોઈ શિક્ષકને પુછો તો એવું જ તારણ મળશે કે શિક્ષકોને સમજાય તેવું હોમવર્ક કર્યા વિના થયેલા આ તાલીમી આયોજનમાં શિક્ષકો અપગ્રેડ થવાને બદલે વધારે ગૂંચવાતા જ હોય છે! આ તાલીમ સાથે સંકળાયેલા સૌને અધુરાપણાનો અહેસાસ થતો હોય છે પણ છતાં બધાને અંતિમ ઓડકાર તો સંતોષ નો જ આવે છે કે હાશ પત્યું !!
        છેલ્લા બે-ત્રણ વર્ષથી શાળાઓમાં એક પરિવર્તન દેખાય છે તે એ કે વેકેશનની આવી તાલીમ આવે તે પહેલા તો સંચાલકો અને આચાર્યો ધોરણ દસ, બારના વર્ગો શરૂ કરી દે છે. આવતા વર્ષનું અત્યારથી ભણીએ તો આવતા વર્ષે કોર્સ વહેલો પૂરો થઈ જાય ને?! તમે કોઈ સંચાલકને પૂછો કે આવું કેમ? તો કહેશે, બીજા બધા જ કરે છે ને!ક્યારેક લાગે છે કે  સંચાલકો અને વાલીઓને પણ શિક્ષણ પ્રક્રિયાને જેમ તેમ દોડાવી જવામાં બહુ રસ જણાય છે.
          યથા રાજા તથા પ્રજા એ ઉક્તિ અનુસાર સરકારના એક નિર્ણયથી આખી શિક્ષણવ્યવસ્થા પ્રભાવિત થાય. હવે સરકારને શિક્ષણમાં શા માટે, અને કેટલો રસ હોય તે વિચારવાનું કામ મુશ્કેલ નથી. પોતાની સત્તા અને પ્રભાવ રાખવાની હોડમાં સૌ નીતિ-નિર્ધારકો પડી ગયા છે. સંચાલકોને પોતાની શાળા-કોલેજની ફિકર છે, તો સત્તાધીશોને પોતાની ખુરશી(સત્તા)ની ફિકર છે. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરથી લઈને શાળામાં શિક્ષક-આચાર્યની નિમણૂક કરવા સુધીની જોગવાઈ ગુજરાત સરકારે કરી દીધી છે. સરકાર એક તરફ ખર્ચ ઘટાડવાને બહાને ખાનગી શાળા-કોલેજોને ઉત્તેજન આપી રહી છે અને બીજી તરફ સંચાલનમાં પોતાની હઠ ચલાવી રાખવા માંગે છે.(એમાં કદાચ સંચાલકોની દાનત પર સરકારને શંકા છે.) જો કે શિક્ષણને રાજકારણનું આશ્રય સ્થાન બનાવવાનો દુષ્ટ વિચાર આવનારા સમયમાં નવા પ્રશ્નો સર્જે તો નવાઈ નહીં.
          યુનિવર્સિટી શિક્ષણમાં આ વર્ષે એક સાથે બે કોર્સ ભણવાનો નવો વિચાર તો આવ્યો, પણ પરીક્ષાના પેપરો ફૂટવાના છબરાડઓએ કોલેજ શિક્ષણનો ક્લાયમેક્સ બગાડી નાંખ્યો. વીર નર્મદ દ.ગુ.યુનિવર્સિટીની વરીયાવ કોલેજે તો પરીક્ષાની ચોરીમાં સત્તાધીશોને નાકે દમ લાવી દીધો! ને સુરત શિક્ષણ સમિતિની શાળાના છબરડામાં તો એવુંય થયું કે ધોરણ છ થી આઠના વિદ્યાર્થીઓ ભણ્યા જૂનો અભ્યાસક્રમ અને પ્રશ્નપત્રો આવ્યા નવા અભ્યાસક્રમના. ખરું થિયું!!
          સારાંશમાં કહીએ તો વીતેલાં વર્ષમાં આપણું શિક્ષણ સરકારી કે ખાનગી, અધ્યાપનનું કે મૂલ્યાંકનું, અને નવું કે જૂનું? એવી ઘટમાળમાં જ અટવાતું રહ્યું. જે કઈં અને જ્યાં પણ ગૂચવાડો થતો ત્યારે તેને માટે જવાબદાર કોણ એ નક્કી કરવા માટે શિક્ષણ ક્ષેત્રના સૌ કોઈ બીજા તરફ જ આંગળી ચીંધતા જોવા મળ્યા. એક બીજા સાથે હાથ મિલાવવાનો અવસર તો મહદંશે ખોવાયેલો જ રહ્યો. બોર્ડની પરીક્ષાના પરીણામોમાં હવે કઇં નવું ન થાય અને આવતા વર્ષે નવું શું થશે તેની દ્વિધા સાથે પણ સૌના હૈયે એટલું આશ્વાસન જરૂર રહ્યું કે હાશ! આ વર્ષ તો પત્યું યાર !!

          -ડો. વિજય મનુ પટેલ (ગુજરાત ગાર્ડિયન અખબારમાં છપાયેલ લેખ 28/4/13)

Sunday, 24 March 2013

વિશ્વ શિક્ષણ ક્ષેત્રના દુ:ખદ-સુખદ સમાચારો



           દેશની શિક્ષણ વ્યવસ્થાથી હટીને જરા સરહદ-પારના દેશોની શિક્ષણ વ્યવસ્થા પર આજે નજર દોડાવવી છે. ચાલો, મારી સાથે. લાઈબેરીયા યુનિવર્સિટીમાં પોતાના શરૂઆતના થોડા દિવસો દરમ્યાન એક પુરુષ વિદ્યાર્થીએ ફામતા અડ્રેકિસને પૂછ્યું– તેં Sex 101 વર્ગ પસંદ કર્યો છે?’ તારો મતલબ શો છે?’ ફામતાએ સામો પ્રશ્ન કર્યો હતો. હકીકત એ છે કે Sex 101 એ બાબતનો નિર્દેશ કરે છે કે એને સ્વીકારનાર વિધાર્થીનીએ પાસ થવા માટે પોતાના પુરુષ અધ્યાપક સાથે શારીરિક સંબંધ બાંધવો જ પડે. યાને કે ગ્રેડ મેળવવા માટે પોતાની જાતને અધ્યાપક સાથેના જાતીય સંબંધથી અપગ્રેડ કરવી પડે! વિચિત્ર અને અનૈતિક લાગે તેવી આ રસમ માત્ર લાયબેરિયાની યુનિવર્સિટીમાં જ નહીં પણ આફ્રિકાના સમગ્ર સબ-સહરાન વિસ્તારની આ સામાન્ય બીના છે.
        એકશન એઇડ નામની સંસ્થાએ કરેલા સર્વેક્ષણ મુજબ પોતાના અભ્યાસકાળ દરમ્યાન લાઇબેરીયન યુનિવર્સિટીની ૮૫ ટકા વિદ્યાર્થીઓની શારીરિક રીતે કનડગત કરવામાં આવે છે અથવા તો તેમને સેક્સ માટે ફરજ પાડવામાં આવે છે. કેટલીક વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે જો તેઓ પોતાના પુરુષ પ્રાધ્યાપક સાથે આમ કરવા ઇનકાર કરે તો તેમને ફરીથી તે જ વર્ગમાં(રીપીટર તરીકે) ભણવાનું દબાણ કરવામાં આવે છે. પુરુષ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીનીઓને સીટી મારવી, અભદ્ર ભાષામાં કોમેન્ટ કરવી કે સ્પર્શ કરવા જેવી હરકતો એક સામાન્ય ઘટના બની છે. યુનિવર્સિટીની નબળી આંતરમાળખાકીય સુવિધા, સાંજ પછીના વર્ગો છતાં રાત્રી લાઇટનો અભાવ વગેરે જેવી વિષમતા સ્ત્રી શિક્ષણ માટે કોઈ રીતે પ્રોત્સાહક સ્થિતિ નથી.         
        આ સ્થિતિમાં અડ્રેકિસે યુનિવર્સિટીમાં જ વુમન ફોરમ નામનું જૂથ શરૂ કર્યું છે કે જે આવા બનાવોની જાણકારી મેળવી જે તે સત્તાધીશો સમક્ષ રજૂ કરીને ગુનેગારો સામે કડક પગલા લે. ઉપરાંત, આ ફોરમનું એક ધ્યેય પુરૂષોને શિક્ષિત કરવાનું પણ છે, કે જે સ્ત્રીઓના અધિકારને જાણે અને કનડગત ઘટાડે. ગત ફેબ્રુઆરીમાં એક મિટિંગ થઈ જેમાં આની જાગરૂકતા અંગે પ્રચાર-પ્રસાર કાર્ય આરંભાયુ છે. એક દેશની વિષમ પરિસ્થિતિમાં ઝાંસીની રાણી બનવા તરફ જઈ રહેલી વીરાંગના ફામતા અડ્રેકિસ ને આપણી હાર્દિક શુભેચ્છા.
        હવે વાત કરીએ વિકસિત દેશ ફ્રાંસની. થોડા દિવસ પહેલાં ફ્રાંસના શિક્ષણ પ્રધાન વિનસેન્ટ પેઈલોને એવું જાહેર કરી દીધું કે શાળાઓમાં ઉનાળુ વેકેશન આઠને બદલે છ અઠવાડિયાનું રહેશે! આમેય પેઈલોન શિક્ષણ સુધારણા માટે વધુ મક્કમ હતા. તેઓએ વધુમાં જણાવ્યુ હતું કે વિધાર્થીઓએ અઠવાડિયાના મધ્યે મળતી રાજા છોડી દેવી અથવા દરરોજના ટાઈમ ટેબલમાંથી ૪૫ મિનિટ ઘટાડીને શનિવારે સવારે વર્ગો ભરવાના રહેશે. આવા નિર્ણયથી સ્વાભાવિક રીતે જ જેમ ભારતમાં થાય છે તેમ ત્યાં પણ થયું. વાલીઓ અને શિક્ષકો વિરોધ દર્શાવવા શેરીમાં ઉતરી પડ્યા! જો કે ફ્રાંસના વિદ્યાર્થીઓ અઠવાડિયાના ચારને બદલે સાડા ચાર દિવસ ભણે એવી આશા સેવતા પેઈલોને સ્પષ્ટ કર્યું કે આનો અમલ ૨૦૧૫ પહેલાં થશે નહિ.
        ફ્રાંસ પાસે દિવસો લાંબા, પણ ટૂંકું શાળા જીવન છે એમ કહેતા ગયા વર્ષે ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખ ફ્રાંકોઇસ હોલાન્ડેએ શિક્ષણ વ્યવસ્થામાં ગૃહકાર્યમાં ઘટાડો કરવા તથા નબળા વિદ્યાર્થીઓને પણ ફરી પાછા તે જ વર્ગમાં ભણવું ન પડે તેવી સુધારણા બાબતે લોકોને વચન આપ્યું હતું. હોલાન્ડેના આયોજન મુજબ બુધવારના રજાના દિવસ સિવાય સવારે ૯ થી સાંજે ૪ વાગ્યા સુધીમાં બે કલાકનો ભોજન વિરામ આપીને અઠવાડિયામાં સાડા ચાર દિવસ શિક્ષણ કાર્ય ચલાવવાની ગણતરી છે. ફ્રાંસમાં શિક્ષણ માટે વિદ્યાર્થીઓ વર્ષમાં લગભગ ૮૪૭ કલાક શાળામાં ગળે છે. જ્યારે યુરોપના ઘણા દેશોમાં આ સમયગાળો ૭૭૪ કલાકનો છે. આમ છતાં, ગુણવત્તાની દ્રષ્ટિએ ફ્રાંસ પોતાના પડોશી દેશો અને અમેરિકા કરતાં પાછળ રહ્યું છે. આ સંદર્ભમાં બ્રિટીશ પત્રકાર પીટર ગમ્બેલ કહે છે કે તેઓ માટે શાળાના લાંબા કલાકો મોટી સમસ્યા છે. વળી તેઓનું શાળા શિક્ષણ જુનવાણી અને નિસ્તેજ બન્યું છે. તેઓના વર્ગખંડનું વાતાવરણ ખુબજ કઠોર જણાય છે. વિશ્વના વિકસિત દેશ વિશે પીટરે કહેલી વાતને ૮૦ ટકા પણ સાચી માનીએ તો વિકાસશીલ ભારતની શિક્ષણ વ્યવસ્થાથી તો આપણી છાતી ગજ ગજ ફૂલી જાય છે, બોલો હાચુ કે ની ?!
        હવે વારો આપણાં પડોશી દેશ ભૂતાન વિશે. થીમ્પૂ એની રાજધાની, અને એમાં આવેલી છે જીગ્મે લોસેલ પ્રાથમિક શાળા. આ શાળાની દીવાલો, દાદર બધુ જ વનસ્પતિ અને વેલાઓથી ઢંકાયેલું છે અને ત્યાં લખાયેલું છે ‘Let nature be your teacher’ (કુદરતને બનાવો તમારો શિક્ષક!). ૨૦૦૫થી હેડ્માસ્ટર તરીકે કાર્યરત ચોકી દુકપ્પાનું કહેવું છે કે આ અમારું અનધિકૃત સ્લોગન છે. આમ તો અમારો દેશ પહાડોથી ઘેરાયેલો છે પણ અહીં શહેરમાં બાળકો પોતાને પ્રકૃતિથી અળગા મહેસૂસ કરે છે એટલે અમે બહારની દુનિયાને આ રીતે શાળાના પર્યાવરણમાં સામેલ કરી છે. એ યાદ રહે કે ૨૦૦૯થી ભૂતાને જાહેર ક્ષેત્રે હરિયાળી રાષ્ટ્રીય ખુશી કાર્યક્રમ(Gross National Happiness) હાથ ધર્યો છે, જે અંતર્ગત શિક્ષણમાં પણ ગ્રીન સ્કૂલ ગ્રીન ભૂતાનનો ખ્યાલ લાવવામાં આવ્યો છે.
        ગ્રીન શાળા માત્ર પર્યાવરણ સાથે સંબંધિત નથી પણ એક ફિલસૂફી છે. અમે બાળકોમાં ગ્રીન માઈન્ડને વિકસાવવાનો પ્રયત્ન કરીએ છીએ આ શબ્દો છે ભૂતાનના શિક્ષણ પ્રધાન ઠાકુરસિંગ પોવડેલના. થીમ્પુની આ શાળામાં શાકભાજીનો બાગ છે અને બાળકો ખેતીની આવડતો શીખે છે. દરેક વર્ગને પોતાનું એક ઝાડ છે જેની સંભાળ તેણે રાખવાની હોય છે. ગ્રીન સ્કીમ યોજના અંતર્ગત પ્લાસ્ટિક બૉટલ અને નાની ડાળખીઓમાથી બનાવેલા ઝાડુ દ્વારા વિદ્યાર્થીઓ દરરોજ સવારે શાળાની સફાઈ કરે છે. દુનિયાના મોટા અને વિકસિત રાષ્ટ્રો સંપોષિત વિકાસની ચર્ચા વધુ કરે છે ત્યારે વિકાસમાં પછાત એવા ભૂતાનની આ શાળા અંધારા ખૂણામાંનો દીવો બનીને ઝળહળી રહી છે. આપણે પડોશી ભારતવાસી શું વિચારીશું?
        આપણે ત્યાં જેમ કેટલાકને વેલેન્ટાઇન ડે કે અંગ્રેજી ભાષા અંગે વાંધો છે તેમ ઇન્ડોનેશિયામાં પણ વાંધો પડ્યો છે. આવતા વર્ષથી પ્રાથમિક શાળામાં અંગ્રેજીનું શિક્ષણ બંધ થઈ જશે! દેશના શિક્ષણ અને સંસ્કૃતિ ખાતા સાથે સંકળાયેલા પ્રધાન મુસ્લીયર કાસીમે જણાવ્યું હતું કે પ્રાથમિક શાળાઓમાં હવે અંગ્રેજીમાં પાઠો નહિ હશે કેમ કે વિદ્યાર્થીઓ ઇન્ડોનેશિયન ભાષાને બરાબર સમજી શકતા નથી. વધુમાં, સરકાર ઈચ્છે છે કે ઇન્ડોનેશિયન કલા-સંસ્કૃતિ અને ધર્મના શિક્ષણ પર વધુ ભાર અપાય. તેથી અંગ્રેજી ભાષા માત્ર જુનિયર હાઈસ્કૂલ(માધ્યમિક) કક્ષાથી જ શીખી શકાશે. દેશની પરીક્ષાના નબળા પરિણામોનું અવલોકન કરતાં જણાયુ છે કે વિદ્યાર્થીઓ પોતાની બહાસા ભાષાને બદલે અંગ્રેજી પાછળ વધારે પડતો સમય વ્યતીત કરતાં હતાં.
        આપણે ત્યાં અંગ્રેજી માધ્યમમાં ભણાવવા તરફ વાલીઓનો ઝોક ધીમે ધીમે વેગ પકડી રહ્યો છે છતાં ભારતમાં આવો આક્રમક નિર્ણય લેવાય તેવી શક્યતા નથી કેમ કે આપણી પોતાની ભાષા કઈ એ બાબતે હજી ક્યાં આપણે એકમત છીએ? ખરું ને? અંતે, દુનિયાના આટલા પ્રશ્નો પણ તમારા મનમાં થોડા સ્પંદનો જગાવશે એવી આશા સાથે આજે અહીં જ અટકીએ.

                    -ડો.વિજય મનુ પટેલ (ગુજરાત ગાર્ડિયન અખબારમાં છપાયેલ લેખ 25/03/13)

Monday, 18 March 2013

સ્ટીવન સ્પિલબર્ગ: એક શિક્ષકથી કમ નથી !



        ભલે, દિવસભર કે આખું વર્ષ આપણી આસપાસ કામકાજની ભરમાર રહેતી હોય તો પણ મોટાભાગના લોકોને જે દુનિયાનું ઘેલું રહે છે તે છે મનોરંજનની દુનિયા. એ પછી હોલીવૂડ, બોલીવૂડ, કોલીવૂડ કે ટેલીવૂડ હોય. હમણાં આ ક્ષેત્રની એક મોટી હસ્તી ભારતની મૂલાકાતે આવી અને ભારતની ફિલ્મક્ષેત્રની મોટી મોટી ભારતીય હસ્તીઓની સાથે ગોષ્ઠિ પણ કરી. શિક્ષણની આ કૉલમમાં આજે એ હસ્તીની જ વાત કરવી છે જે શિક્ષણ જગતની નથી. ચાલો તો વાત માંડીએ હોલીવૂડ આઈકોન સ્ટીવન સ્પિલબર્ગ વિશેની.


        ડિસેમ્બર 18, 1946માં અમેરિકના સિનસિનાટી (ઓહાયો)માં માતા લીહ સ્પિલબર્ગની કૂખે જન્મનાર આ બાળક વિશે માતાએ કહ્યું છે કે- મોટાભાગના લોકો સપના જુએ છે. સ્ટીવન જુએ છે અને પછી પૂરા કરે છે.પોતાના પિતાનો 8 મિલિમીટરનો કેમેરો પકડીને ઘરઘથ્થુ ફિલમ બનાવવાની શરૂઆત કરનાર આજે દુનિયાના મોંઘામાં મોંઘો કેમેરો વાપરનાર બન્યો. એટલું જ નહીં દુનિયાનો શ્રેષ્ઠ અને સફળ દિગ્દર્શક-નિર્માતા બન્યો. તેની ફિલ્મ ચાલતી હોય ત્યારે બોક્સ ઓફિસ પર તેને ઓવેરટેક કરવાનું ગજું આજ સુધી દુનિયાના કોઈ દિગ્દર્શકના નશીબમાં આવ્યું નથી. તેમની પ્રતિભા વિશે તેના નજીકના સાથી જ્યોર્જ લુકાસ કહે છે કે- સ્ટીવન જેવા લોકો રોજ નથી આવતા. અને જો તેમ થાય તો તે અદભૂત હશે...તે તેની ઉંમરના ફિલ્મ નિર્માતાઓના જૂથમાં નહોતો. એ તો દૂ..ર...દૂ...ર તેઓથી પણ ઘણો આગળ હતો!
        સ્ટીવને પોતાના બાળપણના  અનુભવોને લઈને ઘણી ફિલ્મો બનાવી. પોલ્ટરઘીસ્ટ, ઇ.ટી. અને અમ્પાયર ઓફ ધી સન એમાની હતી. તેની માતા કહે છે કે તમે જ્યારે ઇ.ટી. જોશો ત્યારે ડાઇનિંગ ટેબલ પર અમારા કુટુંબને નિહાળી શકશો. આમ એક રીતે તેઓ સામાન્ય માનવીથી વિશેષ નહોતા. છતાં તેમની વિશેષતા એવા ખુલ્લાપણામાં રહેલી છે કે જે ઘણુખરું આપણાં ભારતીયોમાં નથી. તેમણે પોતાની અંગત જિંદગીને પણ બહુ જ નિખાલસતા સાથે જાહેરમાં કહી છે. જેમ કે, તેમના માતા-પિતાના સંબંધ વિચ્છેદ, ધર્મ વિશે પોતાની દ્વિધા, પ્રથમ દુખદ લગ્નજીવન અને પછી છૂટાછેડા વગેરે. ઉપરાંત લિફ્ટ કે વિમાનમાં બેસવામાં ડર કે સેટ ઉપર કામ કરતા વિચારતી વખતે આંગળી ચૂસવાની નાની નાની બાબતોને પણ ખુલ્લા દિલે કહી છે. બાળકોને શિસ્તમાં રાખવા બાબતે તેઓ ઉદાર છે. પોતાના બાળકોને તેની માતા (પોતાની પત્ની) પથારીમાં સૂઈ જવાનું કહેતી ત્યારે તેઓ બાળકને  નીચે જઈ રમવાની સલાહ આપતા! (ભારતીય મા-બાપો સ્વાભાવિક રીતે જ તેમના પત્ની તરફી રહેવાના, ખરું ને?)
        સ્પિલબર્ગનું વ્યક્તિત્વ આટલું નિખાર પામ્યું એની પાછળ ઘણા કારણો છે. પ્રથમ છે જીવનના  નાનામાં નાના દુ:ખ (ભય) અને સુખ (આનંદ)ની ક્ષણોને નજીકથી ઓળખવા-માણવાની તેમની કાબેલિયત. બાળકોના ટોળામાં તે એક મોટું બાળક હતું કે જેને 12 વર્ષે ફિલમ બનાવાનો વિચાર આવે! બીજું, એનામાં હતી તકનિકી કુશળતા. સક્ષમ સ્ટોરીલાઇન સાથે પડદા પર લગભગ જીવંત કરી દેવાની તેની કુશળતા તેને અસામાન્ય દિગ્દર્શકનો દરજ્જો અપાવી ગઈ. તેમની ત્રીજી ખાસિયત હતી ધિક્કાર, આતુરતા, પ્રેમ, સમર્પણ, ભક્તિ વગેરે જેવી નાનામાં નાની સંવેદનાને પણ સીધે સીધી કેમેરામાં કેદ કરી લેવાની કુનેહ. આવી નાની ક્ષણો કે દ્રશ્યોએ  જ દુનિયાના પ્રેક્ષકોને થિયેટર અને થિયેટરની બહાર વિચારતા કરી મૂક્યા છે. એક દ્વાર તરફ મોઢું રાખીને ઉભેલા છોકરા પર થોડી ક્ષણો સુધી કેમેરો સ્થિર રહે ને પછી પ્રવેશદ્વાર તરફના પ્રકાશમાં હલચલ શરૂ થાય...ને પછી? પછી?...બસ, આ જે ક્ષણો હોય છે તે જ સ્ટીવનની કમાલ છે! આ તો મેં શબ્દ દ્વારા તમને એકાદ દ્રશ્ય સમજાવવાનો પ્રયત્ન કર્યો. બાકી જે છે તે તો તેની ફિલ્મોમાં છે.   
        એમના વ્યક્તિત્વની ચોથી વાત છે તેમના અનેક ક્ષેત્રોમાં રસ-રુચીની. આને લીધે તેઓ કોઈપણ વિષયવસ્તુને  સર્જનાત્મક રીતે ઢાળી શકતા હતા. વ્હેલ માછલી (Jaws-1975), પરગ્રહવાસી પ્રાણી (E.T.-1982), કે નામશેષ થયેલા ડાઈનોસોર્સ (The Jurassic Park-1993) પર ફિલ્મો બનાવે તો લાગે કે તેઓ માત્ર સાયન્સ ફિકસન ફિલ્મોના જ રચયિતા છે. પણ The Color Purple-1985 એ ગામડામાં રહેતી કાળી સ્ત્રીની વેદનાનું નિરૂપણ કરતી ગંભીર ફિલ્મ છે. એક ગોરી ચામડીના વ્યક્તિને એક કાળી સ્ત્રીની વેદના પર ફિલ્મ બનવાવનો વિચાર જ કઈં અસામાન્ય નથી?! તો Empire of the Sun જાપાન અને ચીન વચ્ચે બીજા વિશ્વયુદ્ધના થીમ પર આધારીત હતી. જેમાં પોતાના કુટુંબથી છૂટા પડી ગયેલા અને પછી કારાવાસમાં વેઠેલી બર્બરતાપૂર્ણ વ્યવહારની જીમની કથાને સ્ટીવને રજૂ કરી હતી. આમ, જુદા જુદા વિષયોની રુચી તેમને અનેક વિષયો પર અદભૂત ફિલ્મો બનાવવાની નિમિત્ત બની જેનો લાભ દુનિયાના પ્રેક્ષકોને પણ મળ્યો.
        અને એક અંતિમ ખૂબીની વાત પણ જાણીએ કે સ્પિલબર્ગની સફળતામાં હતી તેની દંભરહિત છબી. માત્ર પોતાને જ વધુ મહત્વ આપતી કે અતિ ગંભીર વિષયોવાળી ફિલ્મો બનાવવાનું તેમણે ટાળ્યું છે. જે ઓછું ભણાવે, તે અઘરું પેપર કાઢે તેવી ઉક્તિ શિક્ષણ જગતમાં પ્રચલિત છે. પરંતુ સ્ટીવન સામાન્ય લોકોને સમજાય તેવી ફિલ્મો બનાવવામાં માને છે. આ વિચારધારનું મૂળ તેની પૃષ્ઠ ભૂમિમાં રહેલું જણાય છે. તેમના જીવનના શરૂઆતના વર્ષો બહુ સાદગીપૂર્ણ હતા. સમૃધ્ધિના તેઓ વારસદાર નહોતા. તેમણે બહુ સારી ફિલ્મ સ્કૂલમાં પણ તાલીમ નહોતી લીધી. તેઓ અમેરિકાનું એક મધ્યમવર્ગી સંતાન હતા બસ. અને કદાચ એટલે જ તેમની ફિલ્મોને વિશાળ પ્રેક્ષકો પણ પ્રાપ્ત થયા છે. તેઓ કહે છે કે મારી ફિલ્મોમાં સામાન્ય માનવી, અસામાન્ય સ્થિતિમાં હોય છે એટલે લોકો પોતાની જાતને હિરો તરીકે બહુ આસાનીથી જોડી ડે છે!
        આ શિક્ષણની કૉલમ છે તો વાલીઓ અને શિક્ષક મિત્રો આપને માટે તેના જીવન સાથે સંકળાયેલો એક પ્રસંગ અહીં અચૂક ટાંકીશ: “… મારા  નાઈટ સૂટ સાથે જ  એક મધ્યરાત્રીએ મારા પિતાએ મને ઉઠાડીને પોતાની કારમાં બેસાડી દીધો હતો. મને શું થઈ રહ્યું હતું તે કશું સમજાતું નહોતું. એ ડરામણી સ્થિતિ હતી ને વળી મારી માતા મારી સાથે નહોતી. તેમણે કોફીનું થર્મોશ અને ધાબળો સાથે લઈને લગભગ અડધો કલાક ગાડી હાંકયે રાખી હતી. અને પછી રસ્તાની એક ધારે ગાડી થોભવી. મધ્યરાત્રીએ પણ ત્યાં થોડા લોકો હતા અને આકાશ તરફ મીટ માંડીને બેઠા હતા. અમે પણ જગ્યા શોધીને બેસી ગયા હતા. થોડીવાર પછી તેઓએ આકાશ તરફ ઈશારો કરી કહ્યું, જો, ઉલ્કા વર્ષાનો અદભૂત નઝારો! વેધશાળા દ્વારા જેની જાહેરાત થઈ હતી  એ અદભૂત અવકાશીય ઘટના હતી.
        બાળપણના આ સંસ્કારોએ સ્વાભાવિક રીતે જ દુનિયાને એક ઉમદા, સર્જનશીલ સ્પિલબર્ગ આપ્યો. આવી એક વ્યક્તિ ભારતદર્શને આવે એ આપણે મન લ્હાવો કહેવાય. એમનું કામ ફિલ્મો બનાવવાનું આપણું માનવીને માનવ બનાવવાવનું, એમને સામાન્યમાથી અસામાન્ય કર્યું તો આપણે પણ એમ જ કરવાનું હોય છે ને ? અંતમાં, આપ સૌ વાચકો મિત્રોની સાથે સાથે થોડું હું પણ તેમના વિશે જાણું એ માટે આ નાનકડો પ્રયાસ કર્યો છે.  આપ વાંચો, વિચારો અને બીજાને પણ વંચાવો કેમ કે ઉચ્ચ કોટિના માણસો ક્યારેક જ આવે છે આ ધરતી પર..!!

                       -ડો. વિજય મનુ પટેલ (ગુજરાત ગાર્ડિયન અખબારમાં છપાયેલ લેખ 18/3/13)

Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...