Saturday, 1 August 2015

મિત્રો,
ત્રીજી મે, 2015ના રોજ મારા ત્રણ પુસ્તકોનું વિમોચન થયું હતું. આ ખાસ કાર્યક્રમ માટે પ્રા. અશ્વિનભાઈ  દેસાઇ (સાહિત્યકાર, લેખક અને વિશ્લેષક) અને પૂ. મીનાક્ષીબેન દેસાઇ (શાળા સંચાલક અને કેળવણીકાર) નું આતિથ્ય પ્રાપ્ત થયું હતું.  આ પુસ્તકોનો ટૂંક પરિચય અહીં મૂક્યો છે..




Saturday, 28 February 2015

Exams



બોર્ડ પરીક્ષાની સાથે પ્રવેશ પરીક્ષાઓ પર નજર રાખો!

        માર્ચ મહિનો પૂરો થાય પછી શિક્ષણ જગતમાં નવા પ્રવેશોની સિઝન શરૂ થતી હોય છે. ધોરણ 10 અને 12ની પરીક્ષા પછી સ્નાતક(ડિગ્રી) અભ્યાસક્રમની પસંદગી અને પ્રવેશની ફિકરમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ પડી જતાં હોય છે. કેટલાક મહત્વાકાંક્ષી વિદ્યાર્થીઓ એ માટે ઇન્ટરનેટ દ્વારા ખૂણે ખૂણે પહોંચીને માહિતી મેળવી લેતાં હોય છે, પરંતુ મોટાભાગના મા-બાપો જે તે અભ્યાસક્રમ વિશે મોડા જાગનારાઓ અને અજાણ હોય છે. આવા લોકો એવું માનતા હોય છે કે નવા પ્રવેશ માટે બોર્ડની પરીક્ષા પૂરી થાય પછી જ આગળ વધવાનું હોય છે, પણ એ તેઓનું અજ્ઞાન કે અધૂરપ હોય છે. ઘણા અભ્યાસક્રમોમાં જવા માટે બોર્ડ પરીક્ષાના આગળના વર્ષ કે થોડા માસ પહેલાથી તૈયાર રહેવું પડે, કેમ કે તે માટેની અરજી કરવાનો સમય વર્ષની મધ્યમાં આવતો હોય છે. આજે તેમાની કેટલીક પરીક્ષાનો પરિચય કરીએ.
        1) JEE (Joint Entrance Exam.) : એન્જિનિયરિંગ ડિગ્રીના પ્રવેશ માટે ભારતના તમામ વિદ્યાર્થીએ આપવી પડતી આ પ્રવેશ પરીક્ષા છે. IIT, NIT તેમજ પ્રાદેશિક એન્જિ. કોલેજોમાં પ્રવેશ મેળવવા માટીની આ પરીક્ષા બે ભાગમાં લેવાય છે. JEE Main   અને JEE Advance. પ્રથમ પરીક્ષા 4/4/15ના રોજ લેવાશે. જેમાં પાસ થનાર દોઢ લાખ વિદ્યાર્થીઓ બીજી પરીક્ષા માટે લાયક ઠરશે! આ બીજી પરીક્ષા 24/5/15ના રોજ લેવાશે. 
        આ પરીક્ષા CBSE દ્વારા સંચાલિત હોય છે, જેની જાહેરાત નવેમ્બર-ડિસેમ્બરમાં આવતી હોય છે. આ પરીક્ષા અંગ્રેજી અને હિન્દીમાં આપી શકાય છે અને માત્ર બે પ્રયત્નોમાં પાસ કરવાની હોય છે.
        2) NATA (National Aptitude Test for Architecture) : દેશની સરકારી, અર્ધસરકારી કે ખાનગી આર્કિટેક્ચર (એન્જિ.) કોલેજોમાં પ્રવેશ મેળવવા માટેની આ પરીક્ષા છે. આ માટેના પ્રવેશપત્ર માર્ચ મહિનાથી ઉપલબ્ધ થતાં હોય છે અને માર્ચથી ઓગષ્ટ સુધીમાં કોઈપણ કામના દિવસે આ પરીક્ષા આપી શકાય છે. તેમાં અવલોકન શક્તિ, ચિત્ર કૌશલ્ય, સૌંદર્ય દ્રષ્ટિ જેવા ગુણોની ચકાસણી થાય છે. જે વિદ્યાર્થી ધોરણ-12માં ગણિત વિષય સાથી 50 ટકાથી વધુ ગુણ મેળવે તે આ પરીક્ષામાં બેસી શકે છે. આ પરીક્ષામાં પાસ થવાનો માપદંડ 40 ટકા (80/200) છે.

        3) BITSET : કમ્પ્યુટર પર આધારિત આ પરીક્ષા બિરલા ઈન્સ્ટિ. ઓફ ટેકનૉલોજિ, પિલાની (રાજસ્થાન) દ્વારા એન્જિનિયરિંગ, ફાર્મસી, માહિતી વ્યવસ્થાપન જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે લેવાય છે. આ પરીક્ષામાં બેસવા માટે વિદ્યાર્થીએ ધોરણ 12 સમકક્ષ પરીક્ષામાં 75 ટકાથી વધુ ગુણ મેળવવા જરૂરી છે. ઉપરાંત ગણિત, ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન વિષયોમાં 60 ટકાથી વધુ ગુણ જોઈએ.
        સળંગ ત્રણ કલાકની આ પરીક્ષા ચાર ભાગમાં વહેંચાયેલી હોય છે. આ વર્ષે આ પરીક્ષા 14/5/15 થી 29/5/15 દરમ્યાન લેવાશે, જેની અરજી કરવાની છેલ્લી તારીખ 20/2/15 છે.
        4) VITEEE (Vellore Institute of Technology) :  દ્વારા લેવાતી એન્જિ. ના પ્રવેશ માટેની પરીક્ષા છે. આ પરીક્ષામાં બેસવા માટે વિદ્યાર્થીએ ધોરણ 12માં ગણિત, ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન વિષયોમાં સરેરાશ 60 ટકાથી વધુ ગુણ જોઈએ. ચાલુ વર્ષે તે 8/4/15 થી 19/4/15 દરમ્યાન લેવાશે, જે માટેની અરજી કરવાની છેલ્લી તારીખ 27/2/15 છે.
        5) AIPMT (All India Pre-Medical Test) : આ પરીક્ષા દેશમાં આવેલી સરકારી મેડિકલ/ડેન્ટલ કોલેજોમાં પ્રવેશની જગ્યાઓ ભરવા માટે તથા દિલ્હી યુનિ., બનારસ હિન્દુ યુનિ. જેવી જુદા જુદા રાજયોની કોલેજોમાં પ્રવેશ માટે ઉપયોગમાં લેવાય છે. આ પરીક્ષાનું સંચાલન CBSE દ્વારા થાય છે. વર્ષે આ પરીક્ષા 3/5/15ના રોજ લેવાનાર છે. આ માટેની અરજીનું કાર્ય ડિસેમ્બરમાં જ પૂર્ણ થઈ જાય છે, છતાં લેટ ફી સાથે 31 જાન્યુ. સુધી અરજી થઈ શકે છે. આ પરીક્ષામાં વિજ્ઞાન સંબંધિત 180 વૈકલ્પિક પ્રશ્નો પૂછવામાં આવે છે.
        6) CLAT ( Common Law  Admission Test) :  ભારતની 14 રાષ્ટ્રીય કાયદા યુનિ.માં સ્નાતક અને અનુસ્નાતક પદવી મેળવવા માટે આ પરીક્ષા આપવી જરૂરી છે, જેનું સંચાલન લખનૌની રામમનોહર લોહીયા લૉ યુનિ. દ્વારા થાય છે.
        પ્રવેશપાત્રતા માટે ધોરણ 12માં 45 ટકાથી વધુ ગુણ (SC-ST માટે 40 ટકા) હોવા જોઈએ અને ઉંમર 20 વર્ષથી ઓછી હોવી જોઈએ. આ પરીક્ષા બે કલાક અને 200 ગુણની હોય છે. જેમાં ખોટા જવાબ માટે નકારાત્મક ગુણાંકન (માઇનસ) વ્યવસ્થા હોય છે. અરજી કરવાની છેલ્લી તારીખ 31/3/15 છે અને પરીક્ષા 10/5/15ના રોજ લેવાશે.
        7) NIFT (National Institute of Fashion Technology) : ધોરણ 12 પછી ફેશન ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છુક વિદ્યાર્થીઓની  GAT-General Ability Test, CAT- Creative Ability Test અને Situation Test દ્વારા પસંદગી કરવામાં આવે છે. આ પરીક્ષા માટે અરજીની અંતિમ તારીખ 10/1/15 હતી અને હવે પ્રથમ તબક્કાની પરીક્ષા 8/2/15ના રોજ અને બીજા તબક્કાની પરીક્ષા 22/2/15ના રોજ લેવાશે. જુથ ચર્ચા તથા મુલાકાત એપ્રિલ-મે માસમાં થશે.
        8) CPT (Common Proficiency Test) : પરીક્ષા દ્વારા ધોરણ 12 પછી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના વ્યવસાય તરફ જવા ઇચ્છતા વિદ્યાર્થીઓને પ્રવેશ માટે વર્ષમાં બે વખત તક મળે છે. કે માટે દર વર્ષની એપ્રિલ પહેલાં Institute of Chartered  Accountant of Indiaમાં નોંધણી કરાવવી પડે. ચાર સેશનમાં 200 ગુણની આ પરીક્ષા હવે 14/6/15ના રોજ હશે.
        9) NDA (National Defense  Academy) : દેશની સુરક્ષાના ભૂમિ, નૌકા અને હવાઈદળમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે આ પ્રવેશ પરીક્ષા આપવાની હોય છે. આ પરીક્ષાનું સંચાલન UPSC દ્વારા થાય છે. પ્રવેશ યોગ્યતા માટે ધોરણ 12ની પરીક્ષા વિજ્ઞાનના વિષયો સાથે પાસ કરેલી હોવી જોઈએ અને ઉંમર 16.5 વર્ષથી 19 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અરજી કરવાની અંતિમ તારીખ 23/1/15 હતી અને હવે આ પરીક્ષા 19/4/15ના રોજ લેવાશે.
        વાચક મિત્રો, આવી તો અનેક પરીક્ષાઓ જુદા જુદા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવે છે જેના વિશે અગાઉથી જાણકારી મેળવવી આવશ્યક છે. આવી પરીક્ષાના માળખામાં સમયાંતરે ફેરફારો થતાં રહે છે તેથી અન્ય સ્રોત દ્વારા પણ ચકાસણી કરો એ ઇચ્છનીય છે.

ડૉ. વિજય મનુ પટેલ
 

Sunday, 26 October 2014

તહેવારો નહીં, આપણે શુષ્ક બની રહ્યાં છીએ..!



                  એક નિ:સાસો સંભળાયો, દિવાળીમાં હવે કઈં રોમાંચ નથી લાગતો. બીજાએ સૂર પુરાવ્યો હતો, હા યાર, બધુ શુષ્ક લાગે છે આ વખતે. અનુભવ એવો હતો કે ફટાકડા ઓછા સંભળાતા હતા, બજારોમાં માત્ર સાંજ સિવાય ખાસ ગિર્દી નહોતી દેખાતી. શેરી-મહોલ્લામાં પણ પાંચ દિવસમાં માંડ એકાદ દિવસ થોડી ચહલપહલ જણાઈ હતી. માત્ર પેલા જેવા થોડા લોકોએ જ પોતાની અનુભૂતિને શબ્દોમાં વ્યક્ત કરી હશે, જ્યારે ઘણા બધાએ તહેવારોના ઓસરતા ઉત્સાહને મનમાં જ દબાવી રાખ્યો હતો.
                કેમ આવું થયું હશે? આ પ્રશ્નનો ઉત્તર એક ન જ હોઈ શકે. ઘણાં બધા હશે. કોઈ મોંઘવારીને તો કોઈ મંદીને આ માટે જવાબદાર ગણતું હશે. બીજા કેટલાકે પર્યાવરણ ફેરફારના કારણને આગળ ધર્યું હશે. શક્ય છે કે કોઇકે આજના શિક્ષણને પણ આવી શુષ્કતા માટે જવાબદાર ઠેરવ્યું હોય! એટલે જ આ પ્રશ્નના અનેક ઉત્તરો મળવાના. બધામાં થોડી થોડી સચ્ચાઈ પણ હશે, છતાં એક પરિવર્તન મને જે જણાયું છે તે વિશે કહું તે પહેલા થોડા વર્ષો પહેલાની દિવાળીને યાદ કરીએ.


                મને યાદ છે કિશોરાવસ્થામાં મેં મારી ઘણીખરી દિવાળીઓ શહેરને બદલે ગામડામાં ઉજવી હતી. ઘરમાં બધા જમીને પરવારે એટલે અમે ફટાકડા ફોડવાની પ્રતિક્ષામાં બેસી જતાં. બા, કાકા, કે કોઈ વડીલ આવીને ફટાકડા ભરેલી ટોપલી લાવે એટલે અમે ટોળે વળી જતાં! (આખી ટોપલીમાં કેટલા રૂપિયાના ફટાકડા હતા એમ તમે પૂછો તો કહું કે આશરે દોઢસો રૂપિયાના! તેય આખી દિવાળીના!) જે વડીલ હોય તે તનકતારાનું પેકેટ ખોલેને તેમાથી બે-ત્રણ તનકતારા, એક સાપની ડ્બ્બી, એક બપોરિયાની માચીસ, બે કોઠી, બે ચકરડી, એક(મગિયા) ફટાકડાની લૂમ... બસ આટલું બધાને વહેંચી આપે. અમારે હૈયે ખુશી તો સમાય નહી! દિવેલ પૂરેલો દીવો લઈને બારણે બેસી જતાં. વડીલો ઓટલા પર બેસે ને અમે ફટાકડા ફોડવાનું ચાલુ કરતાં. કોઠી-ચકરડી તો ઘડીમાં ખતમ થઈ જાય. પછી મગિયા ફટાકડાની લૂમ આખી ફોડવાને બદલે એક-એક ફોડતા અને તેય લાકડીમાં ફેરવીને! વળી, નહી ફૂટેલા ફટાકડાને ભેગા કરીને તેની અંદરના પાઉડર(દારૂ?!)ને એક કાગળ કે કોઠીમાં ભરીને સળગાવવાના ખતરનાક પ્રયોગો કરતાં! વીસ-પચીસ મિનિટમાં આ બધો કાર્યક્રમ પૂરો થઈ જતો. નવ વાગે એટલે સૂઈ જતાં! નવું વર્ષ હોય તો ચાર વાગ્યે ઊઠીને થોડા મગિયા ફટાકડા ફોડીને ન્હાઈ-ધોઈ બધાના ઘરે સાલમુબારક કહેવા નીકળી પડતાં. એમાં કેટલીક જગ્યાએથી એક-બે રૂપિયાની કડકડતી નોટ મળતી એનો આનંદ શબ્દોમાં બાંધી શકાય તેમ નથી જ!
                અને હા, દિવાળીના દિવસે આખા ગામના બાળકો અને વડીલો પાદરે મેડિયા(સળગતા દીવાને શેરડીના સાંઠામાં મૂકીને લઈ જવાની પરંપરા) લઈને નીકળતા ત્યારે મશાલ રેલી જેવુ દ્રશ્ય રચાતું. પાદરે ભેગા થતાં એ ત્રણસો માણસો પણ કુંભમેળાની માનવ મેદની જેવા વિશાળ લાગતાં. તળાવને કિનારે મેડિયા ખોસીને થોડા ફટાકડા અને રોકેટ(હવાઈ!) ઉડાડવાનો નજારો આજની દુનિયામાંથી ગૂમ થઈ ગયા છે, ગામડામાંથી પણ!
                કહેવાય છે કે શહેરની દિવાળી વધારે ભપકાદાર હોય છે. પણ શહેરોમાં ઘણાં વર્ષોથી રહેવા છતાં કોઈ દિવાળી અવિસ્મરણીય બની શકી નથી. અહીં કુટુંબદીઠ કદાચ દોઢસો નહી, દોઢ હજારનું દારૂખાનું ફૂટે છે, પણ એકલા એકલા જ ફોડવું પડે છે. દીવાઓને બદલે આધુનિક જમાનાની લાઇટ્સનો ઝગમઘાટ ફેલાય છે. થોડીઘણી રંગોળીઓ સજાવાય છે પણ માણસો પોતાના આંગણાથી બહુ બહાર જતાં નથી! નવા વર્ષે વહેલા નહી, મોડા ઉઠવાની રસમ હોય છે. એકબીજાને મળવા માટે કોઈ ખાસ આતુરતા હોતી નથી, ઊલટું, આવી ઝંઝટમાંથી બચવા માટે લોકો પ્રવાસમાં ઉપડી જાય છે!
                જે પરિવર્તનની વાત મેં કરી છે તે આ છે. શેરી-ગલી-મહોલ્લાઓ શુષ્ક એટલે બની ગયા છે કે માણસ હવે સંકોચાઈ ગયો છે! પોતાની દુનિયામાં સંબંધો વિકસાવવા કે વધારવાને બદલે તેણે તેમાં ધરખમ કાપ મૂકવા માંડ્યો છે. એને હવે સ્નેહીજનો, પાડોશીઓ, મિત્રો કે અપરિચિત વ્યક્તિઓ સાથે હાથ મિલાવવામાં, નમન કરવામાં કે ગળે મળવામાં કોઈ લાભ નથી દેખાતો! લાભ વિનાની કોઈપણ રીતરસમને આપણે શિષ્ટાચારમાંથી બાકાત કરી દીધી છે. એટલે આપણને દિવાળી જ નહીં, બધા તહેવારો શુષ્ક લાગવા માંડ્યા છે. સમૂહમાં રહેવાને આપણે ઝંઝટ સમજવા માંડ્યા છે. આજુબાજુવાળાઓ સાથે વસ્તુઓને વહેંચવાનું તો આપણે બંધ કરી જ દીધું છે, વિચારોને વહેંચવામાં પણ આપણે ગણતરીબાજ થઈ ગયા છીએ!
                જે શાણા-સમજુ લોકો સામાજિક સંબંધો જાળવવામાં માને છે તેઓને માટે દિવાળી જેવા દિવસોમાં ઘરે રહેવું જેલ જેવુ બની રહ્યું છે. કેમ કે, હવે માંડ બે-પાંચ જણા મુલાકાતે આવે છે. એકલપણાની દુ:ખદ અનુભૂતિ આનાથી વધુ શું હોઇ શકે? એકાદ આવા અનુભવ પછી આવા સમજુ લોકો પણ ખિન્ન હ્રદયે ઘર-સમાજથી દૂર નીકળી જવાના આયોજનને જ બહેતર વિકલ્પ માનવા માંડે છે. હા, સ્ત્રી-પુરુષ બેઉ કમાનાર હોય ત્યારે સ્ત્રીઓ સ્નેહમિલન, આગતા-સ્વાગતા કરવામાંથી છટક્વા માટે વધુ પ્રબળ ઇચ્છા ધરાવતી હોય એ શક્યતાને નકારી શકાતી નથી. જે હોય તે માણસોમાં આવેલા આ પરિવર્તનને લીધે શહેરો ખાલી ખાલી અને પર્યટન સ્થળો ભરેલા ભરેલા થઈ જાય છે. રોજિંદા સમયમાં માણસોને શાંતિથી એકબીજાને મળવાની ફૂરસદ હોતી નથી, ને જ્યારે ફૂરસદ હોય છે ત્યારે માણસો એકબીજાથી દૂર જવા લાગે છે. કેવી વિડંબણા કહેવાય! આમ, એકબીજાને મળવાનું(જન્મ-મરણ-લગ્ન સિવાય!)  લગભગ ઓછું થઈ રહ્યું છે તેથી નિ:સાસો નીકળી જાય છે, આ વખતે કઇં તહેવાર જેવું લાગતું નથી,યાર!
                આર્થિક સમૃદ્ધિ વધે તેની સાથે સામાજિક-સાંસ્કૃતિક પરિવર્તનો પણ આવે જ એ સત્ય છે. ફટાકડા ઓછા ફૂટે તો પર્યાવરણને ફાયદો જ છે. પણ માનવ-માનવ વચ્ચેનું અંતર વધે તો તે સુખ-સમૃદ્ધિનો અનુભવ કરાવી શકે ખરો? મારી એક વ્યંગ કવિતાથી સમાપન કરીએ.
આમ જુઓ કે તેમ-
માણસ જ માણસ.
કયાં છે તોયે માણસ?
આ તે કેવું ફારસ?
સપનું એક સંભળાવી ગયું રસ્તામાં,
કેટલું સસ્તામાં!
માણસ જ માણસ.
લાલ, ભૂરા, લીલા, પીળા,
મેઘધનુના રંગો જેવા.
એવા મઝાના મીઠાં મીઠાં
દીઠે કેવા સરસ!
તોયે કયાં છે માણસ?
ટોળામાં એકલપંડો માણસ,
એકલતામાં શૂન્ય....
પીળો પીળો ખરી પડેલો માણસ.
હુંયે માણસ વિનાનો માણસ?!

-ડૉ. વિજય મનુ પટેલ (27/10/14 ગુજરાત ગાર્ડિયનની 'શિક્ષણ સુત્ર' કૉલમમાં છપાયેલ લેખ)

Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...