Saturday 1 August 2015

ભારતના દશ પ્રેરણાદાયી શિક્ષકોને ઓળખો!



ભારતના દશ પ્રેરણાદાયી શિક્ષકોને ઓળખો!


                ભારતીય શાળાઓનું એ વરવું ચિત્ર છે કે એક તરફ શિક્ષકોની ભારે અછત છે અને બીજી તરફ અપૂરતી અને બિનસરકારક તાલીમો છે. યુનેસ્કોના ગ્લોબલ મોનિટરિંગ રિપોર્ટ (સર્વ માટે શિક્ષણ-2015) ની હકીકતો મુજબ દુનિયાના 21થી 85 દેશોના બાળકોમાં અડધા બાળકો પાયાના ખ્યાલો શીખી શકતા નથી. (આ દેશમાં ભારતનો પણ સમાવેશ છે!)
                આ રિપોર્ટ મુજબ વિશ્વમાં પ્રાથમિક શિક્ષણ માટે 2011થી 2015 સુધીમાં 5.2 બિલિયન શિક્ષકોની જરૂરત રહેશે. પણ ખાટલે મોટી ખોડ વિષમતા ઉપરના જેવી છે. ભારતમાં આનો ઉપાય એ જ છે કે તાલીમ પ્રેરિત(motivation) અને અધ્યાપનમાં રત બને તેવા શિક્ષકોની મોટાપાયે ભરતી કરવામાં આવે. આવા શિક્ષકોથી જ એક કાંકરે બે પક્ષી મારી શકાય તેમ છે. ગુણવત્તા પણ સુધરે અને અછત પણ દૂર થઈ જાય. જો કે, આ માત્ર બોલવામાં અને લખવામાં જ સરળ છે. સરકાર દ્વારા આનો અમલ હાલમાં તો દેખાતો નથી એવા સમયે મને સાંભરે છે ભારતના એવા કેટલાક શિક્ષકો કે જેમણે પોતાની પાસે જે કઈં આવડત અને સાધન છે તેના વડે દીવો પ્રગટાવવાની કોશિશ કરી છે. ઓળખીએ તેઓને.
                1) આદિત્યકુમાર: વિજ્ઞાનના સ્નાતક આદિત્યકુમારે પોતાની જિંદગીને લખનૌની ઝૂપપટ્ટીના બાળકોને ભણાવવા માટે સમર્પિત કરી છે. આ કામ માટે તે દરરોજ 60 કિ.મી. ની સાયકલ સવારી કરે છે! મફતમાં પોતાનો સમય અને શક્તિ વાપરનાર કુમારની સાઇકલ જ તેની હરતીફરતી શાળા છે. લગભગ બે દશકાથી કાર્યરત તેની આ સાઇકલ શાળા અભ્યાસક્રમની કોઈ ચોક્કસ તરાહને અનુસરતી નથી છતાં આદિત્યકુમાર(સાઇકલ ગુરુ) પોતાના શિક્ષા યજ્ઞને અવિરતપણે આગળ ધપાવી રહ્યાં છે.
                2) રાજેશકુમાર શર્મા: નવી દિલ્હીમાં પોતાનો કરિયાણા સ્ટોર્સ ચલાવતા શર્મા શહેરના મેટ્રો ઓવરબ્રીજ નીચે દરરોજ બે કલાક ઝૂપડપટ્ટીના 30 બાળકોને ભણાવે છે. છેલ્લાં ત્રણ વર્ષથી આ તેની નિશુલ્ક પ્રવૃત્તિ રહી છે. કોઈ ખાસ સુવિધા વિના તે પોતાના જ્ઞાનને પછાત બાળકોને સિંચવાનું કામ કરી રહ્યાં છે.
                3) ખુરશીદ: પ્રથમ નામની સંસ્થા સાથે સંકળાયેલ સ્વયંસેવક ખુરશીદે પશ્ચિમ બંગાળના રાણીપૂર ગામના બાળકોને ત્યારે ભણાવવાનું શરૂ કર્યું, જ્યારે તે પોતાને માટે કામ શોધવાના પ્રયત્નોમાં અસફળ રહ્યો. ગામડાના ઘર પછવાડે આવેલા વરંડા (પરસાળ)માં તે પોતાના વર્ગો ચલાવે છે. રાણીપૂરના બાળકોનો તે રોલ મોડેલ  બની ચૂક્યો છે, અને પોતે કોલેજ શિક્ષણમાં જોડાવા આતુર છે.
                4) આનંદકુમાર: પોતાના સુપર 30 કાર્યક્રમથી જાણીતા બનેલા ગણિતજ્ઞ આનંદકુમાર એક વૈશ્વિક  ચહેરો છે. પટણામાં IIT-JEE ની પ્રવેશ પરીક્ષા માટે ગરીબ વિદ્યાર્થીને મફતમાં શિક્ષણ આપી રહ્યાં છે. આ કામ તેઓ છેલ્લાં 14 વર્ષથી કરી રહ્યાં છે. શિક્ષણના ક્ષેત્રમાં પોતાની કામગીરી બદલ તેમને ટોરોન્ટો યુનિ. ખાતે બ્રિટિશ કોલમ્બિયા વિધાનસભા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
                5) બાબર અલી: પશ્ચિમ બંગાળના મુર્શીદાબાદમાં ગરીબ બાળકો માટે ચલાવાતી શાળામાં વિશ્વના સૌથી યુવા આચાર્ય તરીકે 16 વર્ષનો બાબર અલી કાર્યરત છે. તે બાળકોને માત્ર ભણાવવા જ નથી ઈચ્છતો પણ તીવ્ર ગરીબીમાંથી  બહાર નીકળવા પોતાને પણ સતત શીખવતો રહે છે. તેણે થોડા સમય પહેલા જ ધોરણ 12ની પરીક્ષા પૂર્ણ કરી છે.
                6) ગગનદીપ સિંહ: નબળી દ્રષ્ટિવાળા તેમજ દ્રષ્ટિ વિનાના બાળકોની જિંદગીમાં અજવાળું પારવાનો પ્રયત્ન કરી રહ્યાં છે જેસલમેરના ગગનદીપ સિંહ. દરેક બાળકને માટે અલગ અભ્યાસક્રમ તૈયાર કરવા ઉપરાંત તે વાળકના વાલીઓને તેમના વિકાસમાં સંપૂર્ણ સહયોગ કરવા માટે વાલી-માર્ગદર્શનના કામ ઉપર ધ્યાન એકત્રિત કરી રહ્યાં છે. ગગને દ્રષ્ટિની ખામીવાળા માટેની રાષ્ટ્રીય સંસ્થામાંથી ખાસ તાલીમ મેળવી છે. તેથી તે બ્રેલ લિપિ દ્વારા શીખતા બાળકોને પણ ખાસ સહયોગ આપે છે.
                7) સુગતો મિત્રા: 2013નો TED પુરસ્કાર મેળવનાર ભારતીય સુગતો મિત્રા પોતાના ક્લાઉડ સ્કૂલ કાર્યક્રમ દ્વારા બાળકો એકબીજાને સ્વયં શીખવે તેના પર કામ કરી રહ્યાં છે. તેઓનું માનવું છે કે વૈધિક દેખરેખ વિના પણ બાળકોમાં જાતે શીખવાની ક્ષમતા હોય છે. તેમનું કહેવું છે કે, ઓછામાં ઓછા માનવીય માર્ગદર્શન તથા આનંદદાયક અને પ્રેરક વિષય વસ્તુ દ્વારા કોઈપણ ઉંમરના બાળકને પાયાની ગણતરીની આવડત શીખવી શકાય છે.
                ડૉ. સુગતો મિત્રા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત વૈજ્ઞાનિક અને શિક્ષણવિદ્દ છે. 25 જેટલી શોધ તેમને નામે છે. NIIT (વૈશ્વિક IT Learning Corpo.)ના ચીફ સાયંટીસ અને ન્યુ કેસલ યુનિવર્સિટી, યુ.કે.ના પ્રોફેસર તરીકે કાર્યરત છે. તેઓ USAનો મેન ઓફ પીસ એવોર્ડ, યુ.કે. નો સોશિયલ ઈનોવેશન એવોર્ડ અને ભારત સરકાર તરફથી તેમના હોલ ઇન વૉલ કાર્યક્રમ માટે દેવાંગ મહેતા એવોર્ડ મેળવી ચૂક્યા છે.
                8) ફાધર જુલિયન: કર્ણાટકના ચિત્રદુર્ગા જિલ્લાના એક એક બાળકને કમ્પ્યુટર આવડે એવા ધ્યેય સાથે ફાધર જુલિયન એક બસમાં પોતાનો વર્ગ ચલાવે છે. અર્થાત પૈડા પર વર્ગ!! આ બસમાં પાટલીઓ અને ટેબલ ગોઠવવામાં આવ્યા છે, અને તેમાં સૂર્ય શક્તિથી ચાલે તેવા 10 લેપટોપ પણ ગોઠવવામાં આવ્યા છે. આ અજોડ બસ એકસાથે 20 વિદ્યાર્થીઓના બેચને નિશુલ્ક શિક્ષણ આપે છે. વર્ષ 2012 થી શરૂ થયેલી આ યાત્રા, સરકારી શાળાના 2000થી વધુ બાળકોને પ્રશિક્ષિત કરી ચૂકી છે.
                9) ઉત્તમ ટેરોન: ગૌહાટી(આસામ)ની આસપાસના દસ અને પોતાના ગામ પામોહીના બાળકોને ભણાવવાની જવાબદારી સાથે ઉત્તમ ટેરોન પોતાના રાજ્યની સો ટકા સાક્ષરતા માટે મથી રહ્યાં છે. 2003માં પારિજાત એકેડમીથી પોતાના કાર્યની શરૂઆત કરનાર ઉત્તમનું ભારપૂર્વક માનવું છે કે શિક્ષણ એ બાળકનો જન્મસિદ્ધ છે અને ગરીબ કે ધનિક કોઈપણ બાળક પ્રાથમિક શિક્ષણથી વંચિત ન રહેવો જોઈએ.
                10) સુદ્ધાંશું વિશ્વાસ: પંચાણુ વર્ષના સ્વાતંત્ર્ય સેનાની આજની તારીખે પણ રાષ્ટ્રની સેવા કરવા તત્પર છે. છેલ્લા ચાર દશકામાં સુદ્ધાંશુંએ સુંદરવન અને આસપાસના અંતરિયાળ ગામડાઓમાં લગભગ 20 મફત શાળાઓ શરૂ કરી છે. પોતાની શ્રી રામકૃષ્ણ સેવાશ્રમ સંસ્થા દ્વારા તેઓએ ઘણા અનાથ લોકોનું જીવન ઉજાળ્યું છે અને નિરક્ષરતાને હાંકી કાઢવાના પોતાના પ્રયત્નોને સતત ચાલુ રાખ્યા છે.
                આ અનોખા શિક્ષકોને ઍવોર્ડ મળે કે ન મળે કોઈ ફર્ક નથી પડતો. માનવ સેવાની જ્યોત પ્રગટાવવાની લગની જ એમનું મોટું પ્રેરક બળ છે. અહીંથી  આ અને એમના જેવા સૌને આપણે સલામ તો કરીએ જ.


-ડૉ. વિજય મનુ પટેલ-ગુજરાત ગાર્ડિયન અખબારમાં પ્રકાશિત લેખ

2 comments:

  1. These personalities are gems in the form of coal. Their values are hidden and not recognized by others.

    ReplyDelete
    Replies
    1. Yes Anand, Definitely right. Real Hero behind Curtain !!

      Delete

Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...