Wednesday 14 August 2019

સ્પર્ધાત્મક યુગમાં શિક્ષણ ભયભીત છે!

              રાત્રે સુઈએ ત્યારે મન ચિંતા કરતાં કરતાં ઊંઘી જાય છે, એવી આશા સાથે કે આવતી કાલ સવારે કઇંક મઝાનું બનશે. સવારે ઊઠીને છાપું હાથમાં લઈએ ત્યારે એમાં મઝા આવે તેવું સાવ ઓછું અને હતાશ કરે તેવું જ વધારે હોય છે. આખા દિવસની ભાગદોડ પછી પાછા રાત્રે સુવા જઈએ ત્યારે આવા (આગ, અકસ્માત, પૂર, આપઘાત, હિંસા જેવા) સમાચારોની ચિંતામાં મન ગરક થઈ જાય છે. શિક્ષણ જગતમાં પણ આ બધાની પરોક્ષ અસરો પડતી જ હોય છે. ત્યાં પણ ક્યાંક પરિણામોનો ભય છે તો ક્યાંક અપેક્ષાઓના ડરથી આખું વાતાવરણ ડહોળાઈ જાય છે. શિક્ષકો, વાલીઓ અને સંચાલકોની અપેક્ષા અને નિયમ પાલનમાં રહેલો છૂપો ડર એ બાળકોના મનમાં ફંગોળાયા કરે છે. આ ભયને દૂર કરવાનું કામ આસાન છે ખરું? કોણ કરે?
                એક જાણીતો પ્રસંગ યાદ કરીએ. એક દિવસ બાળક (વિદ્યાર્થી) એડિસન પોતાના હાથમાં એક બંધ કાગળ લઈને ઘરે પરત ફરે છે. આવીને માતાને કહે છે: મારા શિક્ષકે કહ્યું છે કે આ કાગળ માત્ર તારી માતાના હાથમાં જ આપજે. એ કાગળ વાંચતાં વાંચતાં થોમસ એડિસનની માતાની આંખ ભરાઈ આવી. એડિસને પુછ્યું, ‘માં, એમાં શું લખ્યું છે?’ માતાએ મોટેથી કહ્યું, ‘તમારો પુત્ર જીનીયસ છે, આ શાળા તમારા પુત્રને માટે ઘણી નાની છે અને તેને ભણાવી શકે તેવા ઉત્તમ શિક્ષકો અહીં નથી. મહેરબાની કરી તમે જ તેને ભણાવજો!
                અને પછી એની માતાએ બરાબર એવું જ કર્યું. પૂરા સમર્પણ ભાવ સાથે ઘરમાં જ જાણે શાળા શરૂ કરી. ઘણા વર્ષો વીતી ગયા ને માતાનું મૃત્યુ થયું. હવે એડિસન એક પ્રસિદ્ધ વૈજ્ઞાનિક તરીકે સ્થાપિત થઈ ચૂક્યા હતા. એક દિવસ ઘરમાં બેઠા બેઠા જૂની ફાઈલો-કાગળો ફેરવતાં હતા ત્યારે નાનપણમાં એમની માતાને જે કાગળ આપવા જણાવ્યુ હતું તે હાથ લાગ્યો. તેમણે તે ઉઘાડયો ને તેમાં લખેલો સંદેશ વાંચ્યો: તમારો દીકરો માનસિક રીતે સાવ નબળો છે, હવેથી અમે તેને શાળામાં રાખી શકીએ તેમ નથી!’

                એ જ ક્ષણે એડિસને અનુભવ્યું હતું કે તેની માતાએ ઘણા વર્ષો પહેલાં તેને માટે શું કર્યું હતું. તેમણે પોતાની ડાયરીમાં લખ્યું: થોમસ આલવા એડિસન એક નકામું બાળક હતું, પણ એક હીરો માતાને લીધે સદીનો જીનીયસ વ્યક્તિ બન્યો! એક જાણીતી ઉક્તિ છે કે, ‘અવિચારી રીતે બોલાયેલા શબ્દો તલવારની જેમ છેદી કાઢે, પણ ડહાપણભર્યા શબ્દો ઘાને રૂઝવી કાઢે. એડિસનના એ શિક્ષકે લખેલા મૂળ શબ્દો જ તેની માતાએ રજૂ કર્યા હોત તો શું થાત તેની કલ્પના કરી જુઓ. તો કદાચ દુનિયાને વીજળીના દીવા (બલ્બ) અને બીજી અનેક શોધ ન મળી હોત, ખરું ને? એ માતાનો આભાર કે જેમણે એડિસનમાં ભય વધારનારા અને હતાશ કરે તેવા એ શબ્દોને જાણે સુંદર આભૂષણ બનાવવા માટે જુદા જ આકારમાં ઢાળી દીધા હતા!
                ધારોકે તમે શિક્ષક હોવ અથવા વાલી હોવ તો તમારા નબળાં વિદ્યાર્થી (કે સંતાન)ની સ્થિતિ વિશે શું બોલશો? કોના ઉપર દોષારોપણ કરશો? બાળકને ભયભીત કરશો કે ભય ઘટાડવા માટે એડિસનની માતા જેવો રસ્તો લેશો? ગુજરાતીમાં એક જાણીતી કહેવત છે જીભ તારે, ને તે જ મારે નકારાત્મક વિચારોને ઊર્ધ્વગામી બનાવીને ચરિતાર્થ કરી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ એડિસનની માતાએ આપ્યું. સચ્ચાઈ એ છે કે માતા લોકપ્રિય ન થઈ, પણ પુત્ર પ્રસિદ્ધિ પામ્યો. માંનુ બલિદાન અને મનોવૈજ્ઞાનિક સમજ જેવી તેવી હશે કે?
                બાળક નાનું હોય અને શાળાએ જવાનું આવે ત્યારે એ રડે તો સમજી જવાનું કે તેનામાં ભયનું બીજારોપણ થયું છે. ઘરમાં ખુશ અને પ્રસન્ન રહેતો વિદ્યાર્થી શાળાએ જતી વખતે નિસ્તેજ ચહેરાવાળો થાય તો સ્પષ્ટ છે કે શાળામાં જવામાં એને મઝા કે ખુશીની લાગણી નથી થતી. આ ભય કોનો છે અને શાનો છે એ જાણવું વાલીની પ્રથમ ફરજ છે. પરંતુ એમ થવાને બદલે ઊલટું તેને ઘણીવખત ઢોંગીમાં ખપાવી દેવામાં આવે છે. અહીં વાલી નાદાન બની રહે છે!
                આપણી સમાજ વ્યવસ્થામાં ઘણાબધાં વડીલો ભય બીના પ્રીત નાહીંમાં માનનારા છે, અને આવા લોકો ડર કે આગે જીત હૈનો સ્થૂળ અર્થ પકડીને શિશુ અને તરુણોને વધુ ને વધુ ભયભીત બનાવવાનું દુષ્કૃત્ય કરતાં રહે છે. સંતાનની જે અધૂરપ છે તે તેની અક્ષમતાને (કે રસ-રુચીના અભાવને) લીધે છે એ સમજવાને બદલે તેને ધાક-ધમકી-થપ્પડ કે બરાડાથી વધારવાની કોશિશ કરે છે. જેનામાં ગણિતના પાયાના ખ્યાલોની સમજ અધૂરી છે તેવા સંતાનને મોંઘા અને અતિ વિદ્વાન શિક્ષકને સોંપવા જેવી વાત થઈ. આ કિસ્સામાં સંતાન વધુ ભયભીત થશે કે ખુશ થશે? વિચારી જુઓ.
                ભારતમાં ઈજા અને ટી.બી.પછી અપમૃત્યુનું જો કોઈ કારણ હોય તો તે આપઘાતનું છે અને આપઘાત પાછળનું મહત્ત્વનું પરિબળ ભય છે. કશુંક અધુરપતાનો સતત અહેસાસ ભયના કુંડાળાને વિસ્તારતો જ રહે છે અને અંતે એ દુર્ઘટના બનીને છવાઈ જાય છે! એડિસનના શિક્ષકે સામન્યીકરણ કરીને રસ્તો શોધી કાઢ્યો હતો કે તમારો દીકરો સાવ નબળો છે પણ માએ વિશિષ્ટ પરિણામને પામવા ભય પેદા કરે તેવા શબ્દોને દૂર ફંગોળી દીધા હતા.
                હવે વિચારીએ ભય પેદા કેવી રીતે થાય છે? વાલી અથવા શિક્ષકો ગુરુતાગ્રંથિથી પીડાતા હોય એટલે કે હું જે કહું તે શ્રેષ્ઠ જ હોય, મને જે આવડે તે જ ફાઇનલ અથવા મેં જે કહ્યું તેના સિવાય ઉકેલ જ ન હોય જેવા વિધાનો વારંવાર ઉચ્ચારનારા વાલીઓ કે શિક્ષકો વિદ્યાર્થીઓ (સંતાનો) માં ધીમે ધીમે ભયને ઉછેરતાં હોય છે. આ લોકોની ગુરુતાગ્રંથિ વિદ્યાર્થીઓમાં લઘુતાગ્રંથિ વધારવાનું નિમિત્ત બનતી હોય છે.
                બીજું કારણ આનાથી વિરુદ્ધનું છે. વાલીઓ કે શિક્ષકો સ્વયં લઘુતાથી પીડિત હોય તો તેઓ નવું કરવા ઉત્સાહી તો નથી જ હોતા પરંતુ પોતાના વિદ્યાર્થીઓ કે સંતાનોને પણ એ માટે પ્રોત્સાહિત નથી કરતાં. તેઓની એવી રજૂઆત હોય તો પણ તેને દૂર હડસેલી દે છે! ના...ના..આ ન થશે, આવું કરવામાં જોખમ છે, આમ કરવાનું તારું ગજું નથી જેવા વિધાનો તેઓ ઉચ્ચારતા હોય છે. આવી વૃત્તિ પણ કિશોરો કે તરુણોને હતાશ અને ભીરુ બનાવી દે છે.
                આ ઉપરાંત, અન્ય વ્યક્તિઓ પાસેથી વારંવારની અતિ ઊંચી અપેક્ષાઓ કે હતાશાજનક ટીપ્પણીઓના અનુભવો પછી વિદ્યાર્થીઓ ભય સાથે જીવતા થઈ જાય છે. આવો ભય દેખાતો હોતો નથી. વર્ગમાં બેઠેલાં બાળકો હિમશીલાના ભાગ જેવા હોય છે જે બહાર દેખાય છે તેના કરતાં એમની અંદર ઘણુબધું છુપાયેલું હોય છે. આની ઓળખ જ વાલીઓ અને શિક્ષકોને માટે મોટો પડકાર છે.

-ડૉ. વિજય મનુ પટેલ-12-8-19

1 comment:

  1. Very true and for changing the mentality parents and teachers need to work together without blaming any one. It is also important to develop reading habit on regular basis in stead of technologies all the time. Even the Royal family in UK has still not introduced iPhones and iPads to their own kids and made them involved in play with nature and reading books. Together we can bring the change.

    ReplyDelete

Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...