Saturday, 11 January 2020

Appointment !

મિત્રો,
હળવી શ્રેણીની આ વાતચીત
આપ સૌને ચિંતામાંથી હળવા થવામાં સહાયક બનશે. વાંચો ત્યારે...




Wednesday, 11 December 2019

My Student's Research Work

Dear friends,

I believe in activity based education, so every year I give a research task to my students groups. What one of them did? Here a matter published in City Bhaskar. Please read it. 

હાલના અને પૂર્વે થયેલાં કેટલાક રસપ્રદ સંશોધન કાર્યોનું અખબારી પ્રકાશન આ રહ્યું!








કવિતા - રમૂજી સંવાદ


Saturday, 23 November 2019

નવી શિક્ષણ નીતિના ડ્રાફ્ટ વિશે

             ભારતમાં આર્થિક વિકાસ માટે જેમ પંચવર્ષીય યોજનાઓ અમલમાં આવે છે તેમ દેશના શૈક્ષણિક માળખાની રૂપરેખા નક્કી કરવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઘડવામાં આવે છે અને અમલમાં મૂકાય છે. ભારતમાં સૌથી પહેલી શિક્ષણનીતિ 1968માં ઇન્દિરા ગાંધી દ્વારા રજૂ કરવામાં આવી અને ત્યારબાદ બીજી 1986માં રાજીવ ગાંધી દ્વારા રજૂ કરવામાં આવી હતી.
                1947થી 2017 સુધીમાં બે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઉપરાંત અનેક શૈક્ષણિક કમિશનો રચાયા અને તેમણે કરેલી ભલામણોમાંથી જરૂરી ભલામણોનો અમલ કરવાના જે તે સરકારોએ પ્રયત્ન કર્યા. 1961થી એક સ્વાયત્ત શૈક્ષણિક સંસ્થા તરીકે અસ્તિત્વમાં આવેલી NCERTએ પણ શિક્ષણ સુધારણા માટેના પ્રયોગો અને પ્રયત્નો કર્યા છે. આ સંસ્થા આજે પણ કેન્દ્ર અને રાજ્ય સરકારને જરૂરી સૂચનો કરતી રહે છે. 2010માં અટલ બિહારી બાજપેઈ દ્વારા 6થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ માટે દેશ વ્યાપી સર્વ શિક્ષા અભિયાનની યોજના શરૂ કરવામાં આવી.


                આ બધા પ્રયત્નો છતાં ઘણા વર્ષો (એટલે કે 1986 પછીના) સુધી કોઈ નક્કર કહી શકાય તેવી શિક્ષણ નીતિ અમલમાં ન આવી. તેની આવશ્યકતા એટલા માટે હતી કે આટલા લાંબા અંતરાલમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અને દેશની આંતરિક વિકાસ પ્રક્રિયામાં જે ફેરફારો આવ્યા તેમાં શિક્ષણનું ક્ષેત્ર અસ્તવ્યસ્ત થયું હતું. બધું બદલાતું હતું પણ શિક્ષણ જાણે ગોકળગાય ગતિએ જ ચાલતું રહ્યું! આખરે શહેર અને ગામડાં માટે પ્રાથમિકથી લઇ ઉચ્ચ શિક્ષણ સુધીની શિક્ષણ વ્યવસ્થામાં ફેરફાર કરવા માટે 2017માં પ્રખર વૈજ્ઞાનિક કે. કસ્તુરીરંગનના વડપણ હેઠળ 11 સભ્યોની ટીમને નવી શૈક્ષણિક નીતિ માટેનો મુસદ્દો તૈયાર કરવાનું કામ સરકારે સોંપ્યું. આ નવા શૈક્ષણિક નીતિના મુસદ્દામાં શું છે એ પ્રશ્નના ઉત્તર માટે કેટલાક મહત્વના સૂચનો કે ભલામણો વિશે જાણીએ.
                નવી શિક્ષણ નીતિનો આ ડ્રાફ્ટ શાળા શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, વિશેષ ક્ષેત્ર (ટેક્નોલૉજી, કારકિર્દી, પ્રોદ્ધ અને ભાષા શિક્ષણ) અને પરિવર્તનશીલ શિક્ષણમાં વહેંચાયેલો છે. તેનો મુખ્ય ઉદ્દેશ આવનારા વીસ વર્ષ એટલે કે 2020 થી 2040 દરમ્યાન ગુણવત્તાલક્ષી શિક્ષણની ખાતરી આપવાનો છે. આ મુદ્દો શિક્ષણના મુખ્ય પાંચ અંગો પર પ્રકાશ પાડે છે: 1. પ્રવેશ 2. સમાન તક 3. ગુણવત્તા 4. ઉત્તરદાયિત્વ અને 5. આર્થિક અનુકૂળતા. નવી શિક્ષણ નીતિમાં શિક્ષણના માળખાને પાંચ, ત્રણ,  ત્રણ અને ચાર એ રીતે ૧૫ વર્ષમાં વિભાજિત કરવામાં આવ્યું છે એટલે  વિદ્યાર્થી 3 વર્ષથી લઈને 18 વર્ષનો થાય ત્યાં સુધીમાં તેનું વૈધિક શિક્ષણનું કામ પૂરું થઈ રહેશે. તેમાં પ્રથમ પાંચ વર્ષનો પૂર્વ પ્રાથમિક અને ધોરણ 1 અને 2 સુધીના પાયાના શિક્ષણનો તબક્કો, ત્યાર પછીનો 3 વર્ષ (ધોરણ 3થી 5) નો સજ્જતા (Preparatory) શિક્ષણનો તબક્કો, એના પછીના ત્રણ વર્ષ (ધોરણ 6થી 8)નો મધ્યમ તબક્કો રહેશે અને પછીના ચાર વર્ષ (ધોરણ 9થી 12) માધ્યમિક કક્ષાના ગણાશે. આ માત્ર શૈક્ષણિક તબક્કાઓ રહેશે જેનાથી શાળાના ભૌતિક મકાનમાં કોઈ ફરક નથી પડતો નથી.
                ધોરણ 2 થી 8 વર્ષના બાળકો બહુ ઝડપથી ભાષાઓ શીખવા સક્ષમ હોય છે તેથી પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક કક્ષામાં ભાષાઓના શિક્ષણ પર ભાર મૂકવામાં આવશે આ ડ્રાફ્ટમાં ત્રણ ઉચ્ચ કક્ષાની સંસ્થાની રચના ભલામણ કરવામાં આવી છે. એક સંશોધક યુનિવર્સિટી, બીજી શૈક્ષણિક યુનિવર્સિટી અને ત્રીજી ડિગ્રી આપતી સ્વાયત કોલેજો. મતલબ ઉચ્ચ શિક્ષણને વધુ સ્વાયત્ત બનાવવા પર ભાર આપવામાં આવ્યો છે. આ તમામનું સંચાલન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન કરશે. દેશમાં વડાપ્રધાનની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય શિક્ષા આયોગ બનાવવાની ભલામણ કરવામાં આવી છે, જેમાં દેશના નામાંકિત શિક્ષણવિદો, સંશોધકો, કેબિનેટ પ્રધાનો, રાજ્યના મુખ્યમંત્રીઓ અને વિવિધ ક્ષેત્રના તજજ્ઞો પણ હશે.
                મુસદ્દામાં માનવ સંસાધન વિકાસ ખાતું (MHRD) છે તેને બદલીને શિક્ષણ ખાતું (MoE) કરવાની વાત કહેવામાં આવી છે. હાલની ફરજિયાત અને મફત શિક્ષણની વય મર્યાદા 6 થી 14 છે જે બદલાઈને 3 થી 18 વર્ષની થશે અને એમાં શરૂઆતના વર્ષોમાં રમત અને પ્રવૃત્તિઓને પ્રાધાન્ય આપવામાં આવશે. માતૃભાષાના શિક્ષણ પર ભાર અપાશે. ઉપરાંત વિદ્યાર્થીઓ શિક્ષકો વચ્ચે વિકલ્પ સ્વરૂપે ઓનલાઈન એજ્યુકેશનની વ્યવસ્થા પર પણ વિચાર કરવાની ભલામણ છે કેમ કે, આ વ્યવસ્થાથી પ્રવેશ સંખ્યા  વધશે તથા ભણતરનો ખર્ચ ઘટશે એવું કમિટીનું માનવું છે. શિક્ષકોને તૈયાર કરવા માટેનો અભ્યાસક્રમ ચાર વર્ષનો ઈન્ટિગ્રેટેડ કરવામાં આવશે અને તે જે તે વિષય અને વિદ્યાશાખા આધારિત અમલમાં મુકવામાં આવશે. ઉચ્ચ શિક્ષણને વધુ વ્યવસાયિક બનાવવા પર આ મુસદ્દામાં ભાર અપાયો છે.
                જો કે આ ઠરાવની જોગવાઈઓમાં હજુ કેટલીક અસ્પષ્ટતા જણાય છે. અભ્યાસક્રમનો ભાર ઘટાડવાની વાત છે પણ એ ઉપરાંત શિક્ષણના શાસ્ત્રીય (સૈદ્ધાંતિક) પાસા, શિક્ષકો સંબંધિત મર્યાદાઓ વગેરે જેવી બાબતો વર્ગખંડ શિક્ષણ સાથે સીધી રીતે સંકળાયેલી છે છતાં તેની વિસ્તૃત સ્પષ્ટતા જણાતી નથી. વળી પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક શિક્ષણના તબક્કે વાંચન અને મૌખિક પ્રવૃત્તિ વિશે વધારાનો કલાક ફાળવવાની વાત છે, તો સાંભળવા, બોલવા અને લખવા જેવી અનેક બાબતો પર ખાસ ધ્યાન આપવાની જરૂર નથી લાગતી? દેશમાં અનેક ભાષાઓ અસ્તિત્વમાં છે. માતૃભાષા સિવાયની અન્ય ભાષાઓ પણ શીખવા માટે ભાર અપાયો છે પણ બહુવિધ ભાષા શીખવનારા શિક્ષકો મળશે ખરા? આ મુસદ્દામાં શું શીખવવા કરતા કઈ રીતે શીખવું એના પર વધુ ભાર આપવામાં આવ્યો છે.
                રાજ્ય સરકારની શિક્ષણમાં શું ભૂમિકા હશે એની સ્પષ્ટતા પણ ખાસ દેખાતી નથી. વળી મુસદ્દામાં શિક્ષણ પાછળ જીડીપીના 20% ખર્ચની જોગવાઈની વાત છે પણ નજીકના ભવિષ્યમાં આ શક્ય જણાતું નથી. કોર્પોરેટ જગતને પોતાની સામાજિક જવાબદારીના ભાગરૂપે કેટલુંક ભંડોળ શિક્ષણ તરફ વાળવાની વાત કરી છે પણ આમ કરવાના ભયસ્થાનો પણ છે જ.
                ભારત અતિ વૈવિધ્ય ધરાવતો દેશ છે એટલે તેને માટે કોઈપણ પ્રકારની સમાન અને સુગ્રથિત નીતી નક્કી કરવી એ લોઢાના ચણા ચાવવા જેવુ મુશ્કેલ કામ છે. નવી શૈક્ષણિક નીતિનો આ ડ્રાફ્ટ હજી થોડા ફેરફારો સાથે થોડા સમય પછી નવી રાષ્ટ્રીય નીતિ-2019 તરીકે રજૂ થશે. એમાં શક્ય છે થોડી અધુરપ રહે પણ ખરી. એમ છતાં એ અગાઉની શૈક્ષણિક નીતિ કરતા વધુ સારી અને ઉર્ધ્વગામી હશે એટલું નક્કી છે. આપણે સૌ તેને સ્વીકારીને નવા ભારતના નિર્માણમાં સહયોગ આપીએ.
  
-ડૉ. વિજય મનુ પટેલ 

Friday, 25 October 2019

મતલબી અવોર્ડ્સ: બચકે રહેના રે બાબા!


               ગુજરાતીમાં એક કહેવત છે: વા જોઈને સૂપડું મૂકવું! ખેતીના વ્યવસાયમાં જ્યારે અનાજનો પાક તૈયાર થઈ જાય પછી તેની સફાઈ માટે સુપડા કે તગારા દ્વારા તેને ઊપણવાની ક્રિયા થતી. જેમાં કુદરતી પવનની લહેર દ્વારા અનાજના દાણામાંથી બિનજરૂરી કચરાને ઉડાડી દેવામાં આવતો! ત્યાર પછી તો યંત્રો દ્વારા આવી સફાઈ થવા માંડી એટલે આ કહેવત પણ હવે ખાસ સાંભળવા નથી મળતી. મને એનું સ્મરણ એક ખાસ સંદર્ભમાં થયું છે. જે તે સમયે જેવો પ્રવાહ ચાલતો હોય તેમાં જોડાઈ જવું એમ.
                એક આવો સંદેશો મળે છે: શ્રીમાન, અમારી સંસ્થા શિક્ષણના ક્ષેત્રમાં એક જાણીતી સંસ્થા(સંગઠન) છે. આપને જાણીને આનંદ થશે કે દર વર્ષે અમે જાણીતી હસ્તીઓ દ્વારા સફળ થયેલી વ્યક્તિઓનું સન્માન કરીએ છીએ. અગાઉ આવા અનેક વિદ્વાન વ્યક્તિઓનું (સામેલ યાદી!) અમે પ્રતિષ્ઠિત ઍવોર્ડ દ્વારા સન્માનિત કરી ચૂક્યા છીએ. અમને ખુશી છે કે આ વર્ષે એમાં તમારું નામ પણ વિચારણા હેઠળ છે. શિક્ષણક્ષેત્રે તમારી સિદ્ધિ અને ઉત્કૃષ્ટ સેવા બદલ અમો ગર્વ અનુભવીએ છીએ. કૃપા કરી આ સાથે સામેલ ફોર્મ ભરીને તમારા બાયોડેટા સાથે અમને મોકલી આપશો..
                 જ્યારે આવો સંદેશો કે પત્ર મળે ત્યારે શિક્ષક કે આચાર્યનો પ્રતિભાવ કેવો હશે? કેટલાક તો તે જ દિવસે કે તે જ સમયે વિશેષ કશું જાણ્યા વિના જ એમાં નોંધણી કરી દેશે, સાચું? શક્ય છે આપ પણ તેમાના એક હોવ! આવી જાહેરાતો ખરેખર સન્માનનીય ભાવના માટેની હોય છે ખરી? હકીકત એવી છે કે બહુધા આ લોકો સેવાને નામે વેપાર કરનારા હોય છે. ઍવોર્ડ કે પ્રસિદ્ધિ ભૂખ્યા લોકોને ઍવોર્ડ કે પ્રમાણપત્ર વેચવાનો તેમનો ધંધો હોય છે. આશ્ચર્યની વાત એ લાગશે કે આવા ઍવોર્ડ મેળવવા માટે તો લોકો કેટલા રૂપિયાયે ખર્ચી નાંખે છે!
                સોશિયલ મિડિયાનો પ્રભાવ, અન્ય માધ્યમો કરતાં પણ વિશેષ રીતે ફૂલ્યોફાલ્યો છે. દરેક ક્ષેત્રમાં ડિજિટલ માર્કેટિંગની બોલબાલા વધી રહી છે એટલે શિક્ષણ પણ તેમાંથી બાકાત રહી શકે નહીં. છેલ્લા થોડા સમયમાં શિક્ષક-આચાર્ય માટેના ઍવોર્ડની વિવિધ લોભામણી જાહેરાતોનો મારો ચાલ્યો છે. નવા પ્રયોગો કે સિદ્ધિઓ જણાવો અને અમે આપને સન્માનિત કરીશુંની જાહેરાતે દેશના અનેક શિક્ષકોને આકર્ષિત કર્યા છે.



                તહેવારોમાં કે કોઈ ખાસ દિવસ માટે જેમ ઓનલાઈન શોપિંગવાળી કંપનીઓ બમ્પર અને લોભામણી જાહેરાત કરીને તગડી કમાણી કરી રહી છે તે જ રીતે આ લોકો સોશિયલ મિડિયા દ્વારા દેશના શિક્ષકો અને આચાર્યોને ઍવોર્ડની જાહેરાતથી લલચાવી રહ્યા છે. કેટલાક શિક્ષકો તો એવા પ્રયત્નમાં રહેવા લાગ્યા છે કે આવી ઍવોર્ડની કોઈપણ જાહેરાત આવે એટલે તેઓ વહેલામાં વહેલી તકે નોંધણી કરાવી જ દે! થોડી સામાન્ય વિગતો અને કામગીરી જણાવો એટલે બીજું કઇં નહીં તો ડિજિટલ પ્રમાણપત્ર તો મળી જ જાય! આવી એજન્સીઓ માત્ર ભારતની જ નથી, આંતરરાષ્ટ્રીય કક્ષાની પણ ઘણી એજન્સીઓ શિક્ષકો-આચાર્યો કે સંચાલકોને આકર્ષવા તૈયાર જ છે. ઓનલાઈન અરજી દ્વારા આવી સંસ્થાઓ માત્ર તમારી સામાન્ય માહિતી જ નહીં, પરંતુ ઇ-મેઈલ, મોબાઈલ નંબર અને તેનાથી લિન્ક થયેલી બધી જાણકારી મેળવી લે છે. ઉપરાંત, ઍવોર્ડ પછી ડોનેશન, મેમબેરશીપ ફી કે આર્થિક સહાયરૂપે નાણાંની માંગણી પણ થતી હોવાનું સાંભળ્યું છે.
                ખાસ કરીને સોશિયલ મિડિયામાં ચાલતા અનેક અંદરગ્રાઉન્ડ કૌભાંડોમાંનું આ પણ એક હોઈ શકે છે. જો કે ઍવોર્ડ આપનારી કેટલીક પોસ્ટમાં નાના અક્ષરોમાં સંદેશો લખ્યો જ હોય છે કે તમે જે રજૂ કરશો તેનો ઉપયોગ ભવિષયમાં કંપની (કે સંગઠન) પોતાના હેતુસર કરશે, વહેંચશે અને વાપરશે! પણ આવું વાંચવાનો સમય કેટલા પાસે હોય છે? તેથી સર્ટિફિકેટ કે ઈનામની લાલચ (કે લોભ) તેઓને ઉતાવળે નોમિનેશન કરાવી દેવામાં સફળ થઈ જાય છે!
                ભૂતકાળમાં પણ આવી એજન્સી કે જૂથો સામાજિક સેવા અને સન્માનને નામે પોતાનો પ્રચાર-પ્રસાર કરી ચૂકી છે. હવે જમાનો ડિજિટલ થયો છે અને સોશિયલ મિડિયાનો વ્યાપ વધી રહ્યો છે એટલે એ બધુ હવે આવા માધ્યમો થકી પણ લોકો સુધી પહોંચી રહ્યું છે. મારી પાસે દર વર્ષે આવી ઓછામાં ઓછી ત્રણેક એજન્સીઓ ઍવોર્ડ માટેનું ફોર્મ ટપાલ મારફતે મોકલાવે છે. કેટલાકમાં તો વળી અધધ કેટેગરી હોય છે! ઍવોર્ડનું આટલું બધુ વૈવિધ્ય જ વિશ્વસનીયતા પર શંકા પેદા કરે છે. સદભાગ્યે હું એમાં આજ સુધી ફસાયો નથી.
                 ઍવોર્ડ એ ખરેખર તો એવું ઈનામ છે જે વ્યક્તિની સાચી અને ન્યાયી સિદ્ધિના બદલામાં કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ લાભ મેળવ્યા વિના તેને આપવામાં આવતું હોય છે. આવું વિશ્વસનીય અને સમર્પિત કામ કોણ કરી શકે? સૌથી વધુ વિશ્વનીય સરકાર જ હોઈ શકે. બાકીની સંસ્થાઓ, જુથો કે મંડળો પોતાના લાભ માટે જ બીજાને મોટા ભા કરતાં હોય છે. બાકી શીલ્ડ કે સર્ટિફિકેટ વેચાય, ઍવોર્ડ નહીં! વા જોઈને સૂપડું મૂકનારા એમાં ભરમાય છે. અગાઉ કહ્યું તેમ ભારતમાં આવી ઘણી દુકાનો (એજન્સીઓ) પહેલા પણ હતી ને હવે વધી હોય તો નવાઈ નહીં.
                કોઈ વ્યક્તિ ઍવોર્ડ માટે એટલો બધો પાગલ (crazy) શા માટે થતો હશે એવો સવાલ ઘણાના મનમાં થતો હશે. ઍવોર્ડ માટે શિક્ષકોની દોડ વ્યક્તિગત પ્રતિષ્ઠામાં વધારો કરવાની હોય છે. પોતાના જુથ કે સમાજમાં પોતે કઇંક વિશેષ છે એવી નામના કમાવવા માટે તે આવા સન્માન તરફ આકર્ષાતા હોય છે. સંનિષ્ઠ અને પ્રયોગશીલ શિક્ષકો કે આચાર્યો આનાથી પ્રેરિત થાય અને યોગ્યતાનુસાર તેમને બહુમાન મળે તો કોઈ વાંધો ન હોઈ શકે, પણ પ્રમાણપત્ર મેળવીને તેને મોટી સિદ્ધિમાં ખપાવી દેવાની માનસિકતા ટીકાપાત્ર છે. ઉપરછલ્લી સિદ્ધિને મોટી ગણીને તેને જાહેર કરનારા એ ભૂલી જતાં હોય છે કે જ્યારે વ્યક્તિગત રીતે જાહેરમાં તેઓએ વિચારો પ્રસ્તુત કરવાના આવે છે ત્યારે તેમનું ખરું મૂલ્ય (વ્યક્તિત્વ) લોકો સમજી લેતા હોય છે.
                ઘણી વખત તો શૈક્ષણિક સંસ્થાઓ જ આ માટે શિક્ષક કે આચાર્ય પર દબાણ કરતી હોય છે. સ્પર્ધાત્મક યુગમાં સંસ્થાઓ પણ પોતાના ગુણ(merit) વધારવા આવું ઇચ્છતી હોય છે. તો વળી કેટલાક સંગઠનો પણ શૈક્ષણિક સંસ્થાઓ સાથે સારા સંબંધ વિકસાવવા આતુર હોય છે. (બંનેના હેતુ પાર પડે!!)
                અંતમાં, તકલાદી ઍવોર્ડ મેળવવાથી શિક્ષણક્ષેત્રની ગરિમા વધે છે કે નંદવાય છે એના પર મંથન કરવા જેવુ છે. જે શ્રેષ્ઠ શિક્ષક છે તે ઍવોર્ડના મોહતાજ નથી હોતા અને જે ગુણવત્તાલક્ષી શાળા-કોલેજો છે તેને પ્રગતિશીલ હોવાના પુરાવાની શી જરૂર હોય છે? એમ છતાં હું સ્પષ્ટ માનું છું કે યોગ્યતાની પરખ દ્વારા શિક્ષક, આચાર્ય કે શૈક્ષણિક સંસ્થાઓનું બહુમાન કે કદર થવા જ જોઈએ, હા, એમાં પૂરતી પારદર્શિતા અને કામની ગુણવત્તા જળવાવી જોઈએ બસ!

-ડૉ. વિજય મનુ પટેલ 

Thursday, 17 October 2019

મિત્રો,
આ વાંચીને હળવી શૈલીમાં મરક મરક કરો!!
Good luck.

Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...