Friday 26 July 2019

જિજ્ઞાસાવૃત્તિને વર્ગખંડમાં ઉછેરીએ!


            શિક્ષક, આચાર્યના એ નિવેદનથી નારાજ હતા કે, ‘...વિદ્યાર્થી મિત્રો, આવનારી વિશેષ પરીક્ષા આંતરિક મૂલ્યાંકન માટે ધ્યાનમાં લેવાશે નહીં. આ માત્ર જેટલું શીખ્યા છીએ તેની એક નાનકડી મૂલ્યાંકન કસોટી છે એટલું સમજવાનું છે. શિક્ષક વર્ષોના અનુભવી હતા એટલે એ નિરાશ થયા હતા કેમ કે આવું બોલવાથી વિદ્યાર્થીઓ પરીક્ષાને ગંભીરતાથી લેશે જ નહીં. એમના વિચાર મુજબ જેમાં માર્કસનો લાભ મળવાનો નથી તેવી પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ રસ લેતા જ નથી. માત્ર  ટાઇમપાસ સિવાય કશું જ નહિ કરે!
                શિક્ષક તરીકે એમનો અનુભવ ખોટો નહોતો જ. પણ પરીક્ષા લેવી જરૂરી હતી. પરીક્ષાના ગુણ ધ્યાનમાં લેવાશે એવું જૂઠું રટણ આચાર્ય કરવા તૈયાર નહોતા. જે  છે તે જ કહેવાની વાતે તેઓ મક્કમ હતા એ દ્રષ્ટિએ તેઓ પણ ખોટા નહોતા જ. ખેર, આ તો પરીક્ષાની વાત હતી અને શિક્ષણ જગતમાં સૌથી વધુ ચર્ચા પણ પરીક્ષાની જ થતી હોય છે એટલે આજે તેના વિશેની વાત અટકાવીને વિદ્યાર્થીઓની જિજ્ઞાસાવૃત્તિની કેળવણીની કરીએ.


              
               બુદ્ધિ, પ્રયત્નો અને જિજ્ઞાસાવૃત્તિના માપદંડો શૈક્ષણિક સિદ્ધિ નક્કી કરનારા મુખ્ય પરિબળો છે. આપણે આપણાં વિદ્યાર્થીઓની ક્ષમતા જાણવા માટે ઘણો સમય વ્યતીત કરતાં હોઈએ છીએ છતાં તેમાં મહત્ત્વના પરિબળ જેવા જિજ્ઞાસાવૃત્તિ બાબતે બહુ ઓછું ધ્યાન આપીએ છીએ. 2018માં 6200 વિદ્યાર્થીઓએ ઉપર મિશિગન યુનિવર્સિટીના પ્રાચી શાહ દ્વારા થયેલાં સર્વેક્ષણમાં જણાયું હતું કે નર્સરીના જે બાળકો ખૂબ જિજ્ઞાસુ હતા તેઓના ગણિત અને વાંચનમાં ઊંચા ગુણાંક હતા!
              શિક્ષકો કે અધ્યાપકોનું જો કોઈ મહત્ત્વનું કામ હોય તો તે વિદ્યાર્થીઓની જિજ્ઞાસાવૃત્તિને જગાડવાનું છે. આનંદદાયક રીતે તેમની વૈચારિક ક્ષમતાને વિસ્તારવાનું આ કામ તાર્કિક ક્ષમતાના વિકાસ (Critical Thinking) તરીકે પણ ઓળખાય છે. આપણાં વર્ગખંડો કે જ્યાં વિદ્યાર્થીઓ પોતાને મુગ્ધ અને ઊર્જાવાન કરે તેવી પ્રવૃત્તિઓને વહેંચવા માટે ઉતાવળા હોય છે અને દરેક વિદ્યાથીઓ પોતપોતાની રીતે જિજ્ઞાસુ હોય છે. નવા સંશોધન મુજબ જુદા જુદા પ્રકારની જુજ્ઞાસાવૃત્તિ છે. જો શાળા-કોલેજ કક્ષાએ તેને પ્રોત્સાહિત કરવામાં આવે તો માત્ર વિદ્યાર્થીને મદદ કરવા માટે જ નહીં, પણ તેમના જીવનને ઉન્નત બનાવવામાં પણ ઉપયોગી થાય છે.
               સંશોધક ટોન કશ્ડેન કહે છે કે જિજ્ઞાસાવૃત્તિને માત્ર એક ગુણ તરીકે ગણી શકાય નહીં, તેને તો અનેક પરિમાણો છે. પોતાના સંશોધનકાળ દરમ્યાન તેમણે અને તેમની ટીમે પુખ્તવયની ચાર હજાર વ્યક્તિઓને સમાવતા ત્રણ સંશોધનો હાથ ધર્યા હતા. આ કાર્યમાંથી તેમણે જિજ્ઞાસાવૃત્તિના પાંચ પ્રકારો રજૂ કર્યા છે.
              પ્રથમ છે પ્રસન્ન શોધ જિજ્ઞાસાવૃત્તિ (Joyous exploration). જ્યારે આપણે કોઈ નવી જગ્યા, નવા પ્રકારની કલાકૃતિ વિશે જાણવા ઉત્સુક બનીએ છીએ ત્યારે જે મુગ્ધતા અને રોમાંચ જાગે છે તે આવી જિજ્ઞાસાવૃત્તિનું પરિણામ હોય છે. કઈંક એવું જાણવાની જુગુપ્સા કે ઉત્કંઠા જેની કલ્પના જ તે તરફ જવા પ્રેરિત કરે છે. એક વિદ્યાર્થી માત્ર સાંભળેલી વાતથી સુગર રોકેટ બનાવવા ઉતાવળો બને છે ત્યારે તેની જિજ્ઞાસાવૃત્તિ પ્રસન્ન શોધ તરફની છે.
             બીજી છે જરૂરિયાત પ્રેરિત જાણવાની જિજ્ઞાસાવૃત્તિ(Need to know). કોઈ ચોક્કસ પરિસ્થિતી કે સંજોગોમાં પહોંચ્યા પછી ઘડીક અટકી જવાય ત્યારે જે વૃતિ જાગે છે તે આ પ્રકારની છે. જેમ કે સુગર રોકેટ બનાવવાના પ્રોજેકટમાં જ્યાં અધૂરપ અનુભવાય અને તેની પૂર્તિ માટે નવું જાણવાની આવશ્યકતા આવી પડે તે. હવે એવી કઈ જાણકારી મેળવવી જ પડશે જેનાથી અધૂરપ પૂર્ણતામાં ફેરવાય. અહીં વ્યક્તિ વિકલ્પોની શોધ તરફ પણ વળી શકે છે.
                ત્રીજો પ્રકાર છે સામાજિક જિજ્ઞાસાવૃત્તિ (Social curiosity). જ્યારે કોઈ અન્ય વ્યક્તિ વિશે વધુ જાણવાની જરૂર પડે ત્યારે તેવી વ્યક્તિ સાથે વધુ મુલાકાત કે અવલોકન દ્વારા તમે એવી રીતે વર્તો છો જેમ કોઈ બિલકુલ નવી વ્યક્તિ સાથે મૈત્રી કરવા ઇચ્છતા હોવ! ચોથી છે ઉત્કંઠાના સ્વીકારની જિજ્ઞાસાવૃત્તિ(Accepting the anxiety). અહીં વ્યક્તિ અણગમતી લાગણીઓને સહન કરે છે એટલા માટે કે તેમાંથી કોઈ નવો અનુભવ મળે! જેમ કે કોઈપણ અન્ય સભ્યને ઓળખાતા ન હોવ છતાં તમે ક્લબના સભ્ય બનવા માટે પ્રેરિત થાવ છો. અહીં તમે કઈંક નવો અનુભવ મળે તે માટે અપરિચિતોમાં જવાનું પસંદ કરી લો છો.
                પાંચમી છે રોમાંચની શોધ માટેની જિજ્ઞાસાવૃત્તિ(Thrill seeking). અહીં વ્યક્તિ જોખમો ઉઠાવવા પ્રેરિત બને છે કેમ કે તેમાંથી એક નવો અને રોમાંચકારી અનુભવ મળશે. સાઈકલની રેસ જીતવા માટે સારી અને ઉપયોગી સાઇકલ ખરીદવા માટે વ્યક્તિ પોતાના શહેરને બદલે દેશ-વિદેશ સુધીની યાત્રા ખેડવાનું જોખમ ઉઠાવે છે. આ રોમાંચક જિજ્ઞાસાવૃત્તિ કહી શકાય.
                જિજ્ઞાસાવૃત્તિને સતેજ કરવા માટેની એક પદ્ધતિ હેતુ નિર્ધારણ (Goal Setting)ની છે. વિદ્યાર્થીઓને એક મોટા ધ્યેયની સિદ્ધિ તરફ જવા માટે નાના નાના (ટૂંકા ગાળાના) ધ્યેયો નક્કી કરવાનું કહેવામા આવે (જેમ કે આવતા અઠવાડિયે એક કાવ્યનો સવાલ મોઢે લખવાનો હોય) આ રીતે ક્રમશઃ જવાબો કે દાખલા તરફ વિદ્યાર્થીઓને પ્રેરિત કરવામાં આવે તો ધીમે ધીમે વિદ્યાર્થીઓએ સ્વયં ધ્યેયની પૂર્તિ તરફ જિજ્ઞાસુ બનશે. પ્રાથમિક શિક્ષણથી આવી ટેવ પાડવામાં આવે તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ તેમનામાં સંશોધન વૃત્તિ આપોઆપ વિકસશે.
                વર્ગખંડ શિક્ષણમાં દરેક વિદ્યાર્થી માટે, દરેક પરિસ્થિતિ મુજબ જિજ્ઞાસાવૃત્તિનો પ્રકાર બદલાતો રહે છે. આ દરેકના કયા વિશેષ લાભો છે તે બાબતે ભલે સ્પષ્ટ ન હોઈએ તો પણ તે વ્યક્તિને માટે કશુક પ્રાપ્ત કર્યાના બદલાનું નિમિત્ત તો જરૂર બને જ છે.


-ડૉ. વિજય મનુ પટેલ 

1 comment:

  1. શિક્ષકો કે અધ્યાપકોનું જો કોઈ મહત્ત્વનું કામ હોય તો તે વિદ્યાર્થીઓની જિજ્ઞાસાવૃત્તિને જગાડવાનું છે. આ કામ શિક્ષકો માટે પણ એટલું જ મુશ્કેલ છે! ઓશોએ કહ્યું છે કે જે સ્વયં જાગતો હોય તે જ બીજાને જગાડી શકે છે! આપ શું માનો છો?

    ReplyDelete

Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...